ભયને બદલે ધ્યેય પર દૃષ્ટિ


ઠેરવીએ ======================================

ક્ષણેક્ષણ ચોપાસ ભયનો વિચાર કરનારી વ્યક્તિનું ચિત્ત ભયના ખજાના જેવું હોય છે. એ કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે એમાં આવનારા ભયથી ગ્રસિત બની જાય છે. પહેલી વાર વિમાનનો પ્રવાસ કરે, તે પહેલાં એ મનમાં કેટલીય ગડમથલો અને ભય સેવતી હોય છે. એ વિચારે છે કે આ વિમાનના પ્રવાસમાં વૉમિટ થશે તો શું થશે ? એ વિચારે છે કે આ વિમાનને અકસ્માત થશે તો શું થશે ? આમ કાર્ય કરતાં પૂર્વે ભયનો વિચાર કરવાની મનને આદત હોય છે. આવી આદતને પરિણામે ઘણી વ્યક્તિ કાર્ય કરવાનું માંડી વાળે છે. સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરતાં પૂર્વે એવું વિચારે છે કે એ સફળ માનવીએ કેટલી બધી નિષ્ફળતાઓ મેળવી હતી. આવી નિષ્ફળતા મને મળે તો શું થાય ? એના કરતાં આવી માથાકૂટ છોડી દેવી બહેતર છે. એ કોઈ સજ્જન કે સંત બનવાનું વિચારતી નથી, કારણ કે એને આવા સજ્જનો અને સંતોએ જીવનમાં અનુભવેલાં કષ્ટો જ ભયભીત કરનારાં લાગે છે. કોઈ પણ કાર્ય પૂર્વે એનું મન શક્ય કે અશક્ય એવા કેટલાય ભયથી ગભરાઈ જાય છે અને પછી કાર્યની સિદ્ધિનો વિચાર માંડી વાળે છે, અરે ! કાર્ય કરવાનો વિચાર જ માંડી વાળે છે. મનમાં માત્ર આવનારા ભયનો વિચાર કરે છે. વળી, એ કાર્ય કરવાનું બંધ કરીને મનમાં એ કાલ્પનિક ભયથી બચી ગયાનો આનંદ અનુભવે છે. જેમણે ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ સર કર્યા હશે, અવકાશમાં ઊંચે ઊંચે ઉડ્ડયન કર્યાં હશે એવી વ્યક્તિઓ કાર્યનો વિચાર કરતી હોય છે, ભયનો વિચાર કરતી નથી. આમ ભયનો બહુ વિચાર કરવાને બદલે કાર્ય પર લક્ષ્ય ઠેરવવું જોઈએ. વિચાર કરવાથી ભય દૂર થશે નહીં, પ્રયાસ કે પ્રવૃત્તિ કરવાથી દૂર થશે.

કુમારપાળ દેસાઈ