જ. ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ અ. ૬ ફેબ્રુઆરી, ૧૯૬૪
![](https://vishwakosh.org/wp-content/uploads/2025/02/2nd-feb.jpg)
અમૃત કૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલ્લા રાજ્યના રજવાડા પરિવારના સાત ભાઈઓનાં એકનાં એક બહેન હતાં. તેમનો પ્રારંભિક અભ્યાસ ડોરસેટ ઇંગ્લૅન્ડ ખાતે તથા કૉલેજશિક્ષણ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ભારત પાછાં આવ્યાં. ભારત આવીને તેઓ સ્વતંત્રતાચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા, આથી ૧૯૧૯માં અમૃત કૌર મહાત્મા ગાંધીને મુંબઈ ખાતે મળ્યાં અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયાં. જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડથી તેઓ બ્રિટિશ રાજનાં પ્રખર વિરોધી અને આલોચક બન્યાં. ત્યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગયાં અને ભારતીય સ્વતંત્રતાઆંદોલનમાં સક્રિય થયાં અને સામાજિક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરી. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેઓને જેલવાસ થયો. ત્યારબાદ તેઓ ગાંધીજીનાં અંતેવાસી બન્યાં અને કઠોર જીવનશૈલી અપનાવી. તેમણે ૧૬ વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કર્યું ઉપરાંત મહિલાઉત્કર્ષ અને શિક્ષણપ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લીધો. બાળલગ્ન અને પરદાપ્રથાનો વિરોધ કર્યો. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં સ્વાસ્થ્યમંત્રી હતાં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓએ માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેઓને મૃત્યુ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર અપાયો હતો.
અંજના ભગવતી