મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસ પોતાનો ઘણોખરો સમય ઍથેન્સ મહાનગરની શેરીઓમાં કે બજારોમાં વાતચીત કરીને વિતાવતો હતો. આ જ એની વિચારશિબિર કે કાર્યશાળા હતી. એક દિવસ એક યુવાને આવીને પૂછ્યું, ‘અરે સૉક્રેટિસ, મેં તમારા મિત્ર વિશે એક ગંભીર, ગુપ્ત વાત સાંભળી છે. તમે જાણો છો ખરા ? હું તમને કહું ?’ સૉક્રેટિસે એને અટકાવતાં કહ્યું, ‘તારી વાત જરૂર સાંભળીશ, પણ એ વાત કહેતાં પહેલાં તારે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તારા ઉત્તરો યોગ્ય હશે, તો જરૂર તારી પાસેથી એ વાત સાંભળીશ.’ યુવાનને આશ્ચર્ય થયું. પોતે એક છાની વાત કહેવા આવ્યો અને વળી આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી ? યુવાને કહ્યું, ‘ભલે. પહેલાં તમે મને તમારા ત્રણ પ્રશ્નો કરો, પછી વાત કહું.’ ‘જો, તેં નજરોનજર એ જોયેલું છે કે પછી કોઈની પાસેથી સાંભળેલું છે. મારે એની સત્યતા જાણવી પડે.’ યુવાને કહ્યું, ‘મેં તમારા મિત્ર વિશેની વાત કોઈની પાસેથી સાંભળેલી છે.’ ‘ખેર, હવે બીજી બાબત એ છે કે એમાં મારા મિત્રની પ્રશંસા છે કે નિંદા છે ?’ યુવાનની જીભ જરા થોથવાવા લાગી. એણે કહ્યું, ‘વાત તો…જરાક… બરાબર નથી.’ સૉક્રેટિસે કહ્યું, ‘અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી ? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો ?’
યુવાને કહ્યું ‘ના રે ના, આવી વાતમાં લાભ તે શું હોય ?’ સૉક્રેટિસે પતાવ્યું, ‘તમે જે વાત કહેવા આવ્યા છો તે સત્ય નથી, સારી નથી, લાભદાયી નથી, તો પછી એમાં તમારો અને મારો સમય શા માટે બરબાદ કરવો ?’ આટલું બોલી સૉક્રેટિસ ઍથેન્સની શેરીમાં આગળ વધ્યા.
કુમારપાળ દેસાઈ