વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો


માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે. આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે. વાતચીત કરતી વખને જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે. સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનાર’ની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.