હેમવતી નંદન બહુગુણા


જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.