આપો =========================
પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવા મળશે. આવે સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેમને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.
કુમારપાળ દેસાઈ