Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જોની વૉકર

જ. ૧૧ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૩

હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર જોની વૉકરનો જન્મ ઇંદોરમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ બદરુદ્દીન જમાલુદ્દીન કાજી હતું. તેમના પિતા એક મિલમાં નોકરી કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડીને કામ કરવા માંડ્યું. જ્યારે ઇંદોરમાં મિલ બંધ પડી ત્યારે કામની શોધમાં સમગ્ર પરિવાર મુંબઈ આવી વસ્યો. મુંબઈમાં ખૂબ સંઘર્ષમય જિંદગી પસાર કરતાં બદરુદ્દીને કમાણી માટે નાનાંમોટાં જે કામ મળે તે કરવા માંડ્યાં. અંતે તેમને બસ-કંડક્ટરની નોકરી મળી, જેમાં તેમને મહિને ૨૬ રૂપિયાનો પગાર મળતો. નાનપણથી જ તેમને લોકોની નકલ કરવાનો અને અભિનય કરવાનો શોખ હતો. બસની મુસાફરી દરમિયાન તેઓ પોતાના કામ ઉપરાંત જાતજાતના સહજ અભિનયથી યાત્રીઓનું મનોરંજન કરતા. એક વાર જાણીતા અભિનેતા બલરાજ સહાનીએ તેમની બસમાં મુસાફરી દરમિયાન બદરુદ્દીનનો અભિનય જોયો અને પ્રભાવિત થયા. બલરાજ સહાનીએ ગુરુદત્તને બદરુદ્દીનને ફિલ્મમાં તક આપવાની ભલામણ કરી અને ગુરુદત્તે તેમની ફિલ્મ ‘બાઝી’માં બદરુદ્દીનને શરાબીની ભૂમિકા ભજવવાની તક આપી. બદરુદ્દીનના નસીબનાં દ્વાર ખૂલી ગયાં. ૧૯૫૦ અને ૧૯૬૦ના દશકમાં તેમની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. ગુરુદત્તે તેમને જોની વૉકર નામ આપ્યું. જોકે પોતાની આગવી શૈલીથી શરાબીનો અભિનય કરનાર જોની વૉકરે ક્યારેય શરાબને હાથ અડાડ્યો ન હતો.

જૉની વૉકરે તેમની ફિલ્મસફર દરમિયાન લગભગ ૩૦૦ ફિલ્મોમાં જાનદાર અને શાનદાર અભિનય કર્યો. જેમાં ‘જાલ’, ‘નયા દૌર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘મધુમતી’, ‘કાગઝ કે ફૂલ’, ‘મિસ્ટર એક્સ’, ‘સી.આઈ.ડી.’ વગેરે જેવી સુપરહિટ ફિલ્મો સમાવિષ્ટ છે. ‘સર જો તેરા ચકરાયે’, ‘એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં’ જેવાં હિન્દી ફિલ્મગીતો પરનો તેમનો અભિનય અત્યંત લોકપ્રિય થયો. હિન્દી ફિલ્મોના પ્રથમ કૉમેડિયન ગણાતા જોની વૉકરે તેમની આગવી નિર્દોષ કૉમેડી દ્વારા અસંખ્ય દર્શકો અને ચાહકોના ચહેરા પર હાસ્ય વિખેર્યું. આજે પણ તેઓ તેમના અભિનય દ્વારા લાખો લોકોના દિલોમાં વસે છે. હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાઓમાં તેમનું નામ મોખરે છે. તેમને ફિલ્મ ‘મધુમતી’ માટે સહાયક અભિનેતાનો અને ફિલ્મ ‘શિકાર’ માટે સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર ઍવૉર્ડ એનાયત થયો હતો.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં ૧૨૦૦નાં મૃત્યુ થયાં તથા ૩૬૦૦ જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં ૧૯૧૯માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રૉલેટ કાયદો પસાર કર્યો. લગભગ તમામ બિનસરકારી સભ્યો તથા મોટા ભાગના રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં સરકારે પોતાની બહુમતીથી કેન્દ્રીય ધારાસભામાં અન્યાયી રૉલેટ કાયદો માર્ચ, ૧૯૧૯માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે અપરાધીઓ સામે દાવો ચલાવવા ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી અદાલતની જોગવાઈ કરવામાં આવી. આ અદાલતે ફરમાવેલી સજા સામે અપરાધીને અપીલ કરવાની છૂટ ન હતી. આ ધારા મુજબ પ્રાંતિક સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતી તથા આ માટે કારણો આપ્યા વગર તેને યોગ્ય લાગે તેટલો સમય કારાવાસમાં રાખી શકતી. આવી વ્યક્તિને અપીલ કરવાનો કોઈ હક હતો નહિ.

આ ધારાના અમલ સામે મહાસભા તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો. મહાસભા તથા ગાંધીજીના આદેશ મુજબ આ જુલમી ધારા સામે ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯ના રોજ દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. કેટલાક લોકોએ જાન ગુમાવ્યા તથા લાખોની મિલકતને નુકસાન કરવામાં આવ્યું. રૉલેટ કાયદાના સૌથી ગંભીર પ્રત્યાઘાતો પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપતાં પરિસ્થિતિ વધારે બગડી. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯થી લોકોએ વિશાળ સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળો દ્વારા ધારાનો ઉગ્ર વિરોધ કર્યો. આના અનુસંધાનમાં માઇકલ ઓડવાયરે પંજાબના લોક-આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની ૮મી એપ્રિલે ધરપકડ કરીને પંજાબની સરહદ બહાર અજાણ્યા સ્થળે મોકલી દીધા. લોકોએ આના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅન્કો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસ ગોળીબારમાં થોડાં માર્યાં ગયાં તથા અમુક ઘવાયાં. અમૃતસરની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં માઇકલ ઓડવાયરે ૧૨મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કરી દીધું. લશ્કરી અધિકારી જનરલ ડાયરે તુરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો; પરંતુ હંટર કમિટીના અહેવાલ મુજબ આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હોવાથી મોટા ભાગના લોકોને તેની જાણ થઈ નહિ. તેથી અન્યાયી રૉલેટ કાયદા તથા સરકારી દમનનીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩-૪-૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી, પુરુષો તથા બાળકો મળીને આશરે ૧૦,૦૦૦ લોકો એકત્રિત થયા. જલિયાંવાલા બાગ તે ખરેખર બાગ નથી; પરંતુ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે. સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ
ગ્રંથ-7માંથી જલિયાંવાલા બાગ હત્યાકાંડ, પૃ. 639)

રમણલાલ ક. ધારૈયા