Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન

જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007

પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે સંગીતનો અભ્યાસ કર્યો હતો.

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથને આઠ વર્ષની ઉંમરે પહેલો વાયોલિનવાદનનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે વિવિધ ભાષાઓની ૧૭૦થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. કમલ હસન અભિનીત મૂક ફિલ્મ ‘પેસુમ પદમ’ તેમના પાર્શ્વસંગીતને કારણે લોકપ્રિય બની હતી. તેમણે જી. કે. વેંકટેશના સહાયક સંગીતનિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘શોભરાજ ફિલ્મ માટે સંગીત આપી મલયાળમ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે આખું જીવન ફિલ્મસંગીતની દુનિયામાં વિતાવ્યું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ઊંડું જ્ઞાન હતું. આથી તેમની રચનાઓ અદ્યતન લાગતી હતી. તેમણે મૅન્ડોલીન, વાયોલિન, વાંસળી અને વિવિધ લોકવાદ્યોનાં મિશ્રણવાળી રચનાઓ કરી. તેમણે સી. અશ્વથ સાથે કામ કર્યું અને અશ્વથ-વૈદી નામથી ઘણી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું. તેમણે આર. કે. નારાયણની ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકની શીર્ષક-ધૂન ‘થાના ના નાના’ બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય બની હતી. તેમની સંગીતયાત્રાને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિળનાડુ સરકારે ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ કલાઈમામણિ ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !

મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે. જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જીવનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણાના વ્યાજમાં સાર્થક જીવન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.

જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે, પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત શુક્લ

જ. 8 માર્ચ, 1915 અ. 23 ઑક્ટોબર, 1999

ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિવેચક, નિબંધકાર, પત્રકાર અને અનુવાદક યશવંત શુક્લનો જન્મ ઉમરેઠમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. તે સમયે ટ્યૂશનો કરી જાતે અર્થોપાર્જન કરતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. થયા પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી  ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા. ત્યારબાદ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં તેઓ પુસ્તકોની સમીક્ષાઓ લખતા તેમ જ ‘સંસારશાસ્ત્રી’ના ઉપનામથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા. તે દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે અને પછી મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૫માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(હાલની શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ)ના પ્રથમ આચાર્ય તરીકે ૧૯૫૫થી ૧૯૭૮ સુધી યશસ્વી કામગીરી કરી. આ દરમિયાન ૧૯૭૪માં એકાદ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ સંભાળ્યું. તેમણે મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના મુખ્ય સંપાદક તરીકે લાંબો સમય કામ કર્યું. તેઓ કેટલોક સમય નૅશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય હતા. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. તેઓ ‘સંદેશ’માં અવારનવાર વિવેચનલેખો લખતા.

‘કેન્દ્ર અને પરિઘ’ (૧૯૮૦), ‘ઉપલબ્ધિ’ (૧૯૮૨) અને ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) જેવા ગ્રંથોમાં અભ્યાસપૂર્ણ લેખો છે. આ ઉપરાંત ‘ક્રાંતિકાર ગાંધીજી’(૧૯૮૦)માં ગાંધીવિચાર વિશે બે વ્યાખ્યાનો સંગ્રહિત છે. તાર્કિકતા, સ્પષ્ટતા અને સુઘડતા તેમનાં ગદ્ય લખાણોની વિશેષતા છે. તેમણે અનુવાદક તરીકે પણ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ટૉલ્સ્ટૉય અને ઉમાશંકર જોશીની વાર્તાઓનું સંપાદન કર્યું છે. આ ઊંચી કોટિના વિદ્વાન, સાહિત્યકાર અને સમર્થ કેળવણીચિંતકને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં રણજિતરામ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા.