Categories
વાચન સમૃદ્ધિ

ધરમપાલ ગુલાટી

જ. ૨૭ માર્ચ, ૧૯૨૩ અ. ૩ ડિસેમ્બર, ૨૦૨૦

‘મસાલાના રાજા’ (spice king) તરીકે પ્રખ્યાત ધરમપાલ ગુલાટીનો જન્મ સિયાલકોટ(આજનું પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતા ચુન્નીલાલ ગુલાટી જે ‘દેગી મીર્ચવાલે’ તરીકે જાણીતા હતા. તેમની મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) નામની મસાલાની દુકાન હતી. ૧૦ વર્ષની વયે ધરમપાલ ભણતર છોડી, નાનીમોટી નોકરી કરી છેવટે પિતાની મસાલાની દુકાનમાં જોડાઈ ગયા, પરંતુ ૧૯૪૭ના ભાગલા વખતે તેમના કુટુંબને પાકિસ્તાન છોડી, ભારત ભાગી આવવું પડ્યું. દિલ્હીમાં રેલવેસ્ટેશન ઉપર ઘોડાગાડી ચલાવી, શેરડીના રસનો સંચો ચલાવ્યો અને બધાથી થાકી ૧૯૫૮માં કરોલ બાગમાં મહાશિયાં દી હટ્ટી નામની નાની મસાલાની દુકાન ખોલી. ચાંદની ચોક વિસ્તારમાં બીજી શાખા ખોલી. ૧૯૫૯માં નવી દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું જે સમયે ગૃહિણીઓ ઘરે ખાંડીને મસાલા બનાવતી, તે સમયે તેમણે દળેલા તૈયાર મસાલાઓ બજારમાં મૂક્યા. મહાશિયાં દી હટ્ટી નામ ઉપરથી MDH મસાલા નામ રાખવામાં આવ્યું. તેમના સમયગાળા દરમિયાન એમ.ડી.એચ. મસાલાએ અભૂતપૂર્વક વિકાસ કર્યો. હાલમાં તેમના ૧૮ ઉત્પાદન-એકમો કાર્યરત છે. જ્યાં લગભગ ૬૨થી વધુ જાતના તૈયાર મસાલાઓ તૈયાર કરી દેશવિદેશમાં મોકલવામાં આવે છે. એમડીએચની જાહેરખબરમાં ધરમપાલજી જ તેનો ચહેરો હતા. પરંપરાગત પાઘડી, સફેદ ભરાવદાર મૂછો, મોતીની માળા ધારણ કરેલા ધરમપાલજી બધી જ જાહેરખબરો, મસાલાનાં પૅકેટો ઉપર ચમકતા. ધરમપાલજીની ગણના એક દાનવીર તરીકે પણ કરવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૨૦ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા દિલ્હીમાં ગરીબ લોકો માટે ૨૦૦ પથારીની હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે મોબાઇલ હૉસ્પિટલ પણ કરવામાં આવી છે. દાન આપવા માટે પિતાના નામથી મહાશય ચુન્નીલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જોડકાનો વિરોધાભાસ (twin’s paradox)

ઘડિયાળના વિરોધાભાસ (clock paradox) તરીકે ઓળખાતો સિદ્ધાંત. વિશિષ્ટ સાપેક્ષતાવાદ અનુસાર ગતિશીલ પ્રણાલીમાં કાલશનૈ:ગતિ(dilation of time)ની આગાહી કરવામાં આવે છે, તેમાંથી આ રસપ્રદ પરિસ્થિતિ પરિણમે છે. ધારો કે જય અને વિજય નામના બે જોડિયા ભાઈઓ પૈકીનો જય અંતરિક્ષયાનમાં બેસીને પ્રકાશના વેગ(મૂલ્ય c)ના ૯૯% વેગથી અંતરિક્ષયાત્રાએ ઊપડી જાય છે. પૃથ્વીપટ ઉપર સમય જે વેગથી વહે છે, તેના કરતાં, પ્રચંડ વેગથી ગતિ કરતા અંતરિક્ષયાનમાં સમય ઘણો ધીમેથી વહે છે. પૃથ્વી ઉપર રહેલા વિજયના કરતાં ૦.૯૯c વેગથી ઊડતા અંતરિક્ષયાનમાં રહેલા જયની ઉંમરવૃદ્ધિ એક-સપ્તાંશ વેગથી થાય છે. જય અંતરિક્ષયાનની ઘડિયાળ અનુસાર ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પૂરી કરીને પૃથ્વી ઉપર પાછો ફરે છે, ત્યારે તેની ઉંમરમાં તેણે અંતરિક્ષયાત્રા શરૂ કરી તે દિવસથી ત્રણ વર્ષની વૃદ્ધિ થઈ છે. તે દરમિયાન પૃથ્વી ઉપર રહેતા તેના જોડિયા ભાઈ વિજયની ઉંમરમાં પ્રચલિત કાલગણના અનુસાર ૨૧ વર્ષનો વધારો, એટલે કે જયની હાલની ઉંમર કરતાં વિજયની ઉંમર ૧૮ વર્ષનો વધારો દર્શાવે છે.

બીજી તરફ જય એમ પણ કહી શકે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન એનું અંતરિક્ષયાન સ્થિર રહ્યું અને પૃથ્વીની સાથે વિજય અંતરિક્ષયાનથી વિરુદ્ધ દિશામાં અંતરિક્ષયાત્રાએ ઊપડી ગયો; અને વિજયની ઘડિયાળ મુજબ ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પછી જયના સ્થિર અંતરિક્ષયાન પાસે પાછો ફર્યો. એટલે વિજયની ઘડિયાળ ધીમી ચાલવી જોઈએ અને તે જયના કરતાં ૧૮ વર્ષ નાનો હોવો જોઈએ. આમ જયની સરખામણીમાં વિજયની ઉંમર ૧૮ વર્ષ વધારે થઈ અને બીજી તરફ ૧૮ વર્ષ ઓછી પણ થઈ ! આ વિરોધાભાસનું નિરાકરણ સહેલું છે; બંને જોડિયા ભાઈઓ છે એટલે એકબીજાની સાથે સરખામણી કરીને નક્કી કરી શકે છે કે કોની ઉંમર ૧૮ વર્ષ વધી છે ? આનો વિશિષ્ટ સાપેક્ષવાદ સાથે મેળ કેવી રીતે પડે ? આ દેખીતા વિરોધાભાસના ઉકેલ માટે એ હકીકતનો આધાર લેવો પડે છે કે જો આ બે જોડિયા ભાઈઓ એકબીજાની સાપેક્ષમાં એકધારી ગતિથી દૂર જતા હોય તો એમની વચ્ચેનું અંતર સતત વધતું રહે અને તેઓ એકબીજાને કદી પણ પાછા મળી શકે નહિ. એ બે પૈકીનો એક ભાઈ પોતાની ગતિ ઉલટાવીને પાછો ફર્યો છે, અને આમ કરવા જતાં પ્રવેગ અનુભવ્યો છે. આ અનુભવ અંતરિક્ષયાનમાં રહેલા જયને થયો છે, જેને અંતરિક્ષયાનના પ્રવેગનો ખ્યાલ આવે છે; તેમજ એ જાણે પણ છે કે વિજય નહિ પણ તે પોતે પહેલાં દૂર ગયો છે અને પછી પાછો ફર્યો છે.

પ્રમોદ અંગ્રેજી

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

વિજયગુપ્ત મૌર્ય

જ. ૨૬ માર્ચ, ૧૯૦૯ અ. ૧૦ જુલાઈ, ૧૯૯૨

પ્રાણીજીવન, કીટકજીવન અને વિજ્ઞાનનાં પુસ્તકો બાલભોગ્ય – કિશોરભોગ્ય શૈલીમાં આપનાર સાહિત્યકાર. તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતાં કેટલાંયે પુસ્તકો અને લેખો લખ્યા હતા. તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું. તેમનાં લગભગ દસેક ઉપનામ હતાં, પણ જાણીતા થયા ‘વિજયગુપ્ત મૌર્ય’ના નામે. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવિંસહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે લીધેલું અને કાનૂનનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું. ૧૯૩૩માં પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી તેઓ બ્રિટિશ અદાલતમાં ન્યાયાધીશ બન્યા. ૧૯૪૪માં ડૉ. વસંત અવસરે નામના સ્વાતંત્ર્યસેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું. જોકે તેઓ ત્યારે ન્યાયાધીશના હોદ્દા પર હોવાથી આ કેસ લડી શકે તેમ ન હતા. આથી તેમણે ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉ. અવસરેનો કેસ હાથમાં લીધો. આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. ત્યારબાદ તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને ૭૫ રૂ.ના પગારે ટાઇપિસ્ટ તરીકેની નોકરી લીધી. આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ તેઓએ ‘પ્રકૃતિ’ સામયિક માટે લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ ‘જન્મભૂમિ’ ગુજરાતી અખબાર માટે લખવાની તક મળી. તેઓએ ‘જન્મભૂમિ પ્રવાસી’ના છેલ્લા પાના પર પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી તે આખું પાનું સંભાળતા. જેમાં તેઓએ વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, બ્રહ્માંડ, વનસ્પતિજગત એવા વિવિધ વિષયો પર રસપ્રદ માહિતીવાળી સામગ્રી લખાણમાં મૂકી. તેમનું પહેલું પુસ્તક ‘પ્રિન્સ બિસ્માર્ક’ (૧૯૫૩) ચરિત્રલક્ષી હતું. ઈ. સ. ૧૯૮૩માં ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેઓએ ગુજરાતીમાં વિજ્ઞાનનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. તેઓના પુત્રો નગેન્દ્ર અને ભારદ્વાજે પિતાની કારકિર્દી અપનાવી અને તેમનું કાર્ય આગળ ધપાવ્યું.

અંજના ભગવતી