જ. ૨૪ એપ્રિલ, ૧૯૨૯ અ. ૧૨ એપ્રિલ, ૨૦૦૬

કન્નડ ચિત્રોના અભિનેતા મુથુરાજનો જન્મ કર્ણાટકના કોઈમ્બતૂર જિલ્લાના ગજનૂરમાં થયો હતો. પિતા પુત્તાસ્વામય્યા અને માતા લક્ષમ્મા નાટકોમાં નાનાં પાત્રો ભજવતાં હતાં. ૮ વર્ષની વયે ભણતર છોડી મુથુરાજ પણ નાટકોમાં અભિનય કરવા લાગ્યા. આમ ડૉ. રાજકુમારે અભિનય કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે ૧૯૫૪માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે પ્રથમ ચિત્ર ‘બેડર કણપ્પા’નું નિર્માણ કર્યું ત્યારે તેમને જ મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. ત્યારે પહેલી વાર તેમનું નામ મુથુરાજમાંથી બદલીને રાજકુમાર રખાયું હતું. તેઓ પૌરાણિક તથા ઐતિહાસિક પાત્રોની ભૂમિકા ભજવવામાં માહેર હતા. ભાગ્યે જ કોઈ એવા સંત હશે જેમની ભૂમિકા રાજકુમારે નહિ ભજવી હોય. એક અભિનેતા તરીકે તેમણે અભિનયની ખૂબીઓ અને બારીકીઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કર્ણાટકમાં સાવ સામાન્ય સ્તરના પ્રેક્ષકોમાં રાજકુમાર એક ભગવાન જેટલો આદર ધરાવે છે. કન્નડ ચિત્રઉદ્યોગ જ્યારે ભયાનક મંદીમાંથી પસાર થતો હતો ત્યારે તેમણે પોતે ચિત્રો બનાવ્યાં, તેનું વિતરણ કર્યું અને પ્રદર્શન પણ કર્યું હતું. ‘કનકદાસ’, ‘ભક્ત કુંબારા’, ‘રાઘવેન્દ્ર સ્વામી’ જેવાં ચિત્રો ઉપરાંત તુકારામ, કબીર, પુરંદરદાસ, નવકોટિ નારાયણ, તેનાલીરામ જેવા સંતોની ભૂમિકાઓ તેમણે સફળતાપૂર્વક ભજવી છે. ફિલ્મ ‘જેડારા બાલે’માં તેમણે દેશી જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવી હતી. એક અભિનેતા ઉપરાંત તેઓ એક પારંગત શાસ્ત્રીય સંગીત કલાકાર અને સાથે પાર્શ્વગાયક પણ હતા. તેમણે લગભગ ૨૦૫થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ૨૦૦૦ના ઑગસ્ટમાં કર્ણાટકનાં જંગલોમાં ચંદનચોર નામે કુખ્યાત અપરાધી વીરપ્પને તેમનું અપહરણ કર્યું હતું અને કેટલોક સમય પોતાને ત્યાં બંદી રાખીને તેમને સલામત મુક્ત કર્યા હતા. મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપી હતી. તેમનાં પત્ની પર્વતમ્મા પણ નિર્માત્રી છે. તેમના પુત્રો પણ કન્નડ ચિત્રોના અભિનેતાઓ છે. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, ૧૯૮૩માં પદ્મભૂષણ તેમજ ‘કર્ણાટકરત્ન’ ખિતાબ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમલા પરીખ