Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યાનાથ (એ.એન.)

ખોસલા ———-

જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪

સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સિંચાઈ સંબંધી અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમની સલાહ લેવામાં આવતી. તેમના અનેક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વ દબાણ અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ૧૯૫૧-૫૪ના સમયગાળામાં તેઓ આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના અધ્યક્ષપદે  હતા. ૧૯૫૪-૫૯ના સમય દરમિયાન રૂરકી યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું હતું. ૧૯૬૦-૬૨માં તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા ૧૯૫૯-૬૨ સુધી ભારત સરકારના આયોજન પંચના સભ્ય હતા. ૧૯૬૨-૬૭ના સમયગાળામાં  ઓડિશા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજજ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી. તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૫માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૭માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૭૪માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જીવનનું સાચું સરનામું મૃત્યુ છે

વ્યક્તિના જીવનસમગ્રનું સરનામું કયું ? ચહેરા અને મહોરાં ઓઢીને, દંભ અને આડંબર ધારણ કરીને તથા પ્રેમ અને પ્રપંચનો ખેલ ખેલીને માનવી જીવે છે. જીવનપર્યંત બહુરૂપીનો વેશ ધારણ કરીને સ્વયંને સતત છુપાવી રાખે છે. પોતે જે નથી, તે દેખાવા પ્રયત્ન કરે છે. જેમાં નથી માનતો, તેમાં પૂર્ણ શ્રદ્ધાનો ડોળ કરે છે. પોતે જે છે, તેને જાણવાની એ કોશિશ કરતો નથી, કારણ કે એ કોશિશ કરતાં એને ભય લાગે છે. ત્યારે વ્યક્તિના સમગ્ર જીવનની નિર્ણયાત્મક ક્ષણ કઈ ? એ ક્ષણ છે એના મૃત્યુની. એ ક્ષણે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એ ક્ષણે એ કોઈ દાવપેચ ખેલતો નથી અને કોઈ આડંબર સેવતો નથી. મૃત્યુની ક્ષણમાં એનું આખું જીવન સમાઈ જાય છે. એના દીર્ઘ જીવનનો હિસાબ આ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. જીવનસાફલ્યનો આનંદ કે વિફળતાનો વસવસો એ ક્ષણે પ્રગટ થાય છે. સંપત્તિ કે સત્તા પાછળ જિંદગી ગુમાવ્યાનાં આંસુ એની આંખમાં આવશે. એનો મોહ સરી જશે, બાહ્ય દેખાવ ભૂંસાઈ જશે અને એ બીજા સાથે કે સ્વયં સાથેના પ્રપંચથી અલગ થઈને માત્ર માનવી બની રહેશે. જીવનની સૌથી સાચી ક્ષણ એ મૃત્યુની ક્ષણ છે. એ દરેક માનવીના જીવનનું સાચું સરનામું છે. મૃત્યુની ક્ષણનો વિચાર કરીને જીવનની ક્ષણો પાસેથી હિસાબ લીધો હોત તો ? મૃત્યુની વેળાએ વિચારીને જીવનમાં વખતનો મહિમા કર્યો હોત તો ? મૃત્યુના અંતને વિચારીને સિદ્ધિ-સમૃદ્ધિ કે પરિગ્રહની દોડના અંતનો જીવનમાં ખ્યાલ કર્યો હોત તો ! મૃત્યુ એ સાચા જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ હિદાયતુલ્લાહ

જ. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૨

ભારતના વિદ્વાન ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ અને ભાષાશાસ્ત્રી મોહમ્મદ હિદાયતુલ્લાહે ઉપરાષ્ટ્રપતિ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ભારતનામુસ્લિમ સમાજના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજમાંથી તેઓ બૅરિસ્ટર એટ લૉ થયા હતા. ભારત આવીને તેમણે ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી હતી. ૧૯૩૦-૧૯૪૬ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪-૧૯૪૩ દરમિયાન તેઓએ સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. ૧૯૪૩-૧૯૪૬ દરમિયાન નાગપુરની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને ૧૯૪૬-૧૯૫૪ દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા હતા. ૧૯૪૬માં તેમને ‘ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી ૧૯૬૮-૧૯૭૦ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ૧૯૭૯-૧૯૮૪ દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ વ્યવસાયલક્ષી સંગઠનોમાં વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં, જેવાં કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજીઝમાં નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓએ સક્રિય કામગીરી બજાવી હતી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છત્તીસગઢ ખાતે ૨૦૦૩માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

અંજના ભગવતી