Categories
વાચન સમૃદ્ધિ

પદ્મિની

જ. ૧૨ જૂન, ૧૯૩૨ અ. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬

ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને નૃત્યાંગના દક્ષિણ ભારતના તિરુવનંતપુરમ્માં જન્મ્યાં હતાં. તેઓને બીજી બે બહેનો લલિતા અને રાગિણી હતી. નાની ઉંમરથી જ વિધિવત્ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તેઓએ તાલીમ લીધી હતી, ત્યારબાદ તેઓ કથકલી નૃત્ય પણ શીખ્યાં હતાં. તેઓ ત્રણે બહેનો ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે પણ ઓળખાતાં હતાં. ૧૬ વર્ષની ઉંમરે પદ્મિનીને હિન્દી ફિલ્મ ‘કલ્પના’માં નૃત્યાંગનાનો અભિનય કરવાની તક મળી હતી, ત્યારથી તેની કારકિર્દીનો આરંભ થયો. ત્યારબાદ તેઓને તમિળ, તેલુગુ, મલયાળમ અને હિન્દી – આ બધી ભાષાઓની ફિલ્મોમાં તક મળી. ચારેય ભાષા પરનો કાબૂ તથા સુંદર નૃત્યાંગના હોવાથી તેઓ ફિલ્મોમાં સહજ રીતે અભિનય કરતાં. ૧૯૫૦ની સાલમાં તેઓે ‘એઝાઇ પદુમ પદુ’ નામની તમિળ ફિલ્મમાં પ્રખ્યાત હીરો શિવાજી ગણેશન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ શિવાજી ગણેશન સાથે તેમની સૌથી વધુ સફળ ફિલ્મ ‘થિલાના મોહનમ્બલ’ હતી, જેને માટે તેઓને ૧૯૭૦ની સાલમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો તમિળનાડુ સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેઓએ દક્ષિણ ભારતના બીજા અભિનેતા એન. ટી. રામારાવ, એમ. જી. રામચન્દ્રન અને હિન્દી સિનેમાના રાજ કપૂર, શમ્મી કપૂર, સંજીવકુમાર, રાજકુમાર જેવા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’ માટે તેમને ૧૯૬૦માં ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેઓ આર્મી કૅમ્પમાં જઈને પોતાની નૃત્યકલાથી સૈનિકોનું મનોરંજન કરતાં હતાં. તેઓએ રાજકારણમાં પણ રસ લીધો હતો. ૧૯૬૧માં ડૉ. કે. ટી. રામચન્દ્રન સાથે લગ્ન કરી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં. ત્યાં તેઓએ શાસ્ત્રીય નૃત્ય માટેની સ્કૂલ ખોલી હતી. તેઓને ફિલ્મફેર, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને બીજા ઘણા ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવાૅર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે |

વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા |

શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે |

20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |

Categories
વાચન સમૃદ્ધિ

દિલનો અવાજ

અમેરિકાના એલાબામા રાજ્યના મોબીલે શહેરમાં જન્મેલા (૨૦૧૧) ટિમ કૂકના પિતા ડોનાલ્ડ બંદર પર કામ કરતા હતા અને માતા ગેરાલ્ડીન ફાર્મસીમાં નોકરી કરતાં હતાં. ઍપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઈ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના દિલના અવાજને મહત્ત્વ આપે છે. ઓબર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ૧૯૮૨માં તેઓ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમૅન થવાની તીવ્ર ઇચ્છા હતી. આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને ૧૯૮૮માં ડ્યૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમ.બી.એ. થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઈ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ. આથી કૉમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની. ઍપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ, પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડ્યું કે આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે ઍપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું. આજે ટિમ કૂક કહે છે કે આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી ઍપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આને કારણે મને સર્જનાત્મક જિનિયસ સાથે કામ કરવાની તક મળી અને અમેરિકાની આ મહાન કંપનીને આગળ વધારનારી એક્ઝિક્યુટિવ ટીમમાં સ્થાન મળ્યું.