Categories
વાચન સમૃદ્ધિ

હરજી લવજી દામાણી ‘શયદા’

જ. ૨૪ ઑક્ટોબર, ૧૮૯૨ અ. ૩૧ મે, ૧૯૬૨

તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલસ્વરૂપની કવિતાની શરૂઆત કરી હોવાથી તેઓ ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી જ્ઞાતિના, વતન ધોલેરાના  હરજીભાઈએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. તેઓએ ‘શયદા’ ઉપનામ ધારણ કરેલું. ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે તેઓએ ગુજરાતી ગઝલની રચના કરી. શયદાનો અર્થ ઉર્દૂમાં ‘પ્રેમ સાથે પાગલ’ થાય છે. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય બનાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે. ‘બે ઘડી મોજ’ (૧૯૨૪) સામયિકના તેઓ સ્થાપક-મંત્રી હતા. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. આ ઉપરાંત પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા. તેમના કાવ્ય-ગઝલ રચનાઓના ગ્રંથો ‘જય ભારતી’ (૧૯૨૨), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (૧૯૬૧), ‘દીપકનાં ફૂલ’ (૧૯૬૫), ‘ચિતા’ (૧૯૬૮) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (૧૯૯૯) છે, જેમાં ભાષાની સાદગી અને વિચારોની તાજગી તેમની ગઝલનો મુખ્ય વિષય છે.

તેમની નવલકથાઓમાં ‘મા તે મા’ (ભાગ ૧-૨), ‘અમીના’, ‘છેલ્લે રોશની’ (ભાગ ૧-૨), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ ૧-૨), ‘આઝાદીની શમા’ (ભાગ ૧-૨), ‘ખમ્મા ભાઈને’ (ભાગ ૧-૨) વગેરે હતી. આ ઉપરાંત તેઓએ ઘણાં નાટકો પણ લખ્યાં છે અને વાર્તાસંગ્રહો પણ લખ્યા હતા. તેમની યાદમાં ઇન્ડિયન નૅશનલ થિયેટર, મુંબઈ યુવા-ગુજરાતી ગઝલકાર – કવિઓને વાર્ષિક શયદા પુરસ્કાર આપે છે. મુંબઈમાં ચોપડીઓની ફેરીથી પોતાની કારકિર્દી શરૂ કરનાર શયદાએ ૫૦ જેટલાં પુસ્તકો લખી પોતાની ઉજ્જ્વળ કારકિર્દી પૂરી કરી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શારજાહ

સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું શહેર.

ભૌગોલિક સ્થાન : તે ૨૫° ૩૦´ ઉ. અ. અને ૫૫° ૩૦´ પૂ. રે. પર આવેલું છે. શારજાહ સંયુક્ત આરબ અમીરાત(UAE)માં આવેલાં દુબઈ અને અબુધાબી પછીનું ત્રીજા ક્રમનું મોટું શહેર છે. તે આરબ દ્વીપકલ્પ(peninsula)માં ઈરાની અખાતના ઉત્તર કિનારે આવેલું છે. તેનો વિસ્તાર લગભગ ૨૩૫ ચોકિમી. જેટલો છે અને વસ્તી લગભગ ૮,૯૦,૬૬૯ (૨૦૦૮) જેટલી છે. ૧૮મી સદીથી શારજાહ પર અલ્ કાસિમી (Al Qasimi) વંશનું શાસન ચાલે છે. હાલમાં સુલતાન બિન મહમ્મદ અલ્ કાસિમી (Sultan bin Mohamed Al-Qasimi) તેના શાસક છે. સંશોધકોના મત પ્રમાણે શારજાહ દુબઈ અને અબુધાબીની પૂર્વ તરફ આવેલું હોવાથી તે અલ્ શારેકાહ (Al Sharequah) તરીકે ઓળખાતું હતું, જે  પછી શારજાહ તરીકે જાણીતું થયું. શારજાહની સીમા પર દુબઈ અને અજમાન (Ajman) શહેરો આવેલાં છે. પાટનગર અબુધાબીથી તે ૧૭૦ કિમી. દૂર આવેલું છે. શારજાહની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી છે. વરસાદનું પ્રમાણ પણ ઘણું ઓછું અને અનિયમિત છે. અહીં જૂનમાં મહત્તમ તાપમાન ૪૯.૨  સે. અને ફેબ્રુઆરીમાં લઘુતમ તાપમાન ૨.૫ સે. જેટલું નોંધાય છે. ૨ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ સંયુક્ત આરબ અમીરાતનું સાત રાજ્યોનું બનેલું સમવાયતંત્ર અસ્તિત્વમાં આવ્યું. મજબૂત સમવાયતંત્ર હોવા છતાં પ્રત્યેક અમીરાત નોંધપાત્ર સ્વાયત્તતા ધરાવે છે. શારજાહ પણ સમવાયતંત્ર(federal)ના માળખામાં રહી પોતાની કાયદાકીય, રાજકીય, સંરક્ષણલક્ષી અને આર્થિક બાબતો માટે અન્ય અમીરાતો સાથે કામ કરે છે.

શારજાહ પબ્લિક ટ્રાન્સપૉર્ટ અહીં અવરજવર માટેની સુવિધા પૂરી પાડે છે. અહીં ઍર અરેબિયાનું વડું મથક આવેલું છે. શારજાહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. અહીં અનેક શાળાઓ, કૉલેજો તથા યુનિવર્સિટીઓ આવેલી છે. એમાં યુનિવર્સિટી ઑવ્ શારજાહ, અમેરિકન યુનિવર્સિટી ઑવ્ શારજાહ અને ટ્રૉય યુનિવર્સિટી મુખ્ય છે. ફૂટબૉલ અહીંની પ્રિય રમત છે. શારજાહમાં ક્રિકેટ-સ્ટેડિયમ પણ આવેલું છે. અહીં લગભગ ૨૧૮ જેટલી એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-મૅચો રમાયેલી છે. શારજાહ શહેર તેના અબુ શાગરા (Abu Shagara) વિસ્તારમાં વપરાયેલાં વાહનોના બજાર માટે ખૂબ જાણીતું છે. તે અખાતીય વિસ્તારમાં આવેલું આ માટેનું સૌથી મોટું બજાર ગણાય છે. અહીં નેચરલ હિસ્ટ્રી, વિજ્ઞાન, ઇસ્લામિક કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતાં અનેક મ્યુઝિયમો આવેલાં છે. યુનેસ્કો (UNESCO)  દ્વારા ૧૯૯૮માં શારજાહને ‘કલ્ચરલ કૅપિટલ ઑવ્ આરબ વર્લ્ડ’નો ખિતાબ એનાયત થયો હતો. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રૉલા સ્ક્વૅર (Rolla Square), શારજાહ ફૉર્ટ, સૂક અલ્ મરકાઝી (Souq Al Markazi) અથવા બ્લૂ સૂક (બજાર), મહાત્તાહ ફૉર્ટ (Mahattah Fort), અલ્ મૉન્ટઝા ફન પાર્ક (Al Montahazah Fun Park), અલ્ બહીરાહ કૉર્નિક (Al Baheirah Corniche) તથા શારજાહ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. અહીં અલ્ ખાન અને ખાલિદ લગૂનના વિસ્તાર નજીક બહુમાળી ઇમારતો આવેલી છે. યુનાઇટેડ આરબ અમીરાત(UAE)ના પ્રવાસન-ઉદ્યોગમાં શારજાહનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. દર વર્ષે અલ્ બહીરાહ કૉર્નિક ખાતે નૌકા-સ્પર્ધા યોજાય છે. તે પ્રવાસીઓનું આકર્ષણ બની રહી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન વર્મા

જ. ૨૩ ઑક્ટોબર, ૧૯૩૭ અ. ૨ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના ખ્યાતનામ અભિનેતા તરીકે જાણીતા દેવેન વર્માનો જન્મ કચ્છમાં થયો હતો. અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનાં માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ બલદેવસિંહ વર્મા હતું. તેમના પિતા રાજસ્થાની અને માતા કચ્છી હતાં. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર હતા. તેમણે નૌરોસજી વાડિયા કૉલેજ ફોર આર્ટ્સ ઍન્ડ સાયન્સ (યુનિવર્સિટી ઑફ પુણે) ખાતે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી અભ્યાસ કરી રાજ્યનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બોલિવુડના દિગ્ગજ અભિનેતા અશોકકુમારની પુત્રી અને પ્રીતિ ગાંગુલીની બહેન રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું મૂળ નામ દેવેન્દ્ર વર્મા હતું. જે તેમણે કૉલેજમાં હતા ત્યારે બદલીને દેવેન વર્મા કર્યું હતું. ૧૯૬૧થી ૨૦૦૩ સુધીમાં દેવેન વર્માએ કુલ ૧૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુમરાહ’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘બહારેં ફીર ભી આયેગી’, ‘યકીન’, ‘મેરે અપને’, ‘ફિર કબ મિલોગી’, ‘કોરા કાગઝ’, ‘દો આંખે’, ‘દીવાર’, ‘દૂસરા આદમી’, ‘બેશરમ’, ‘ડોન’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘પ્રેમવિવાહ’, ‘મગરૂર’, ‘ગોલમાલ’, ‘નિયત’, ‘કુદરત’, ‘પ્યાસા સાવન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘બંધન કચ્ચે ધાગોં કા’, ‘જાગ ઊઠા ઇન્સાન’, ‘અલગ અલગ’, ‘પ્રેમપ્રતિજ્ઞા’, ‘દીવાના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કલકત્તા મેઇલ’ જેવી ઘણી ફિલ્મો યાદગાર બની રહી. ખાસ કરીને તેમને બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને ગુલઝાર જેવા બોલિવુડના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કૉમિક ભૂમિકા કરવા મળી હતી. દેવેન વર્માને ૧૯૯૨માં ‘મામાજી’ નામની અને ૧૯૯૩માં ‘ઝબાન સંભાલ કે’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, જે તેમણે સરસ રીતે નિભાવી હતી. આ સિવાય તેમણે ‘યકીન’ (૧૯૬૯) અને ‘ચટપટી’ (૧૯૯૩) જેવી ફિલ્મનું નિર્માણ તો ‘બડા કબૂતર’ (૧૯૭૩) જેવી ફિલ્મનું દિગ્દર્શન અને ‘નાદાન’ (૧૯૭૧), ‘બેશરમ’ (૧૯૭૮) અને ‘દાનાપાની’ (૧૯૮૯) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સુપેરે કર્યું હતું.

દેવેન વર્માને ૧૯૭૯નો ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનનો ઍવૉર્ડ ‘ચોર કે ઘર ચોર’ ફિલ્મ માટે, ૧૯૮૧માં કૉમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફિલ્મ ‘જુદાઈ’ માટે, ૧૯૮૩નો બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર ઍવૉર્ડ ‘અંગૂર’ ફિલ્મ માટે પ્રાપ્ત થયા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્યકલાકાર ઍવૉર્ડ ૧૯૭૬માં ‘ચોરી મેરા કામ’ અને ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’ માટે પણ પ્રાપ્ત થયો હતો. પુણેમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ હાર્ટઍટેક અને કિડનીની નિષ્ફળતાને કારણે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી