Categories
વાચન સમૃદ્ધિ

જંગલી બિલાડી (Jungle cat)

સસ્તન વર્ગની માંસાહારી (Carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. જંગલી બિલાડીની વિવિધ જાતોમાં ભારતમાં મળતી સામાન્ય જાતિ Felis chaus છે : જેની ઉપજાતિઓ attinis, kutas, praleri અને kelaarti મુખ્ય છે. તે ભારતના વિવિધ વિસ્તારોમાં વિવિધ નામે ઓળખાય છે. શરીર ૬૦ સેમી. કરતાં સહેજ વધારે અને પૂંછડી ૨૫થી ૩૦ સેમી. જેટલી લાંબી હોય છે. અમુક જાતો ૫૦ સેમી.થી ૮૦ સેમી.ની લંબાઈ પણ ધરાવે છે. વજન આશરે ૬થી ૭ કિગ્રા. હોય છે. લાંબા પગ અને પ્રમાણમાં નાની પૂંછડી જંગલી બિલાડીને એક અનોખું સ્વરૂપ આપે છે. એની આછી નીલી આંખો એના લુચ્ચા દેખાવમાં વધારો કરે છે. શરીર પર રેતાળ ભૂરાથી પીળાશ પડતા ભૂરા રંગની રુવાંટીનું પડ આવેલું હોય છે. પૂંછડીના છેડે કાળી પટ્ટી અને ટોચ પર કાળું ટપકું આવેલું હોય છે. કાન છેડેથી સાંકડા અને પીળાશ પડતા કથ્થાઈથી કાળા-કથ્થાઈ રંગના હોય છે, જે તેને ઘરેલુ બિલાડીના પૂર્વજ હોવાનું દર્શાવે છે. કાન લાલાશ પડતા અને એના છેડે કાળા વાળની કુર્શાકા આવેલી હોય છે. શરીરની વક્ષસપાટી પર આછા અવશિષ્ટ પટ્ટા આવેલા હોય છે, જે દરેક જાતિમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. શુષ્ક પ્રદેશમાં જોવા મળતી જાતિના શરીરનો રંગ મુખ્યત: આછો રેતાળુ હોય છે, જ્યારે આર્દ્ર વિસ્તારની જાતિ લાલાશ કથ્થાઈ રંગની હોય છે. શરીરના ઘેરા રંગમાં પણ ફેરફાર જોવા મળે છે; પરંતુ દરેક જાતિમાં એક ઘેરી લીટી આંખની કિનારીના છેડેથી કાન સુધી અને એક ઘેરું ટપકું આંખની નીચે હંમેશાં જોવા મળે છે. બિલાડીના મુખ પાસે મૂછો જેવા વાળ હોય છે.

જંગલી બિલાડી ખુલ્લા અને શુષ્ક વિસ્તારો જેવા કે ઘાસના પ્રદેશો, નાનાં જંગલો કે નદીના કિનારે અને કળણભૂમિમાં જોવા મળે છે. ભારત સિવાય ઉત્તર આફ્રિકાથી દક્ષિણ-પશ્ચિમ એશિયા થઈ ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને ઇન્ડોચાઇનાના વિસ્તારોમાં જોવા મળે છે. ભારતીય જાતિ Felis chaus સામાન્યત: દ્વીપકલ્પ(peninsula)ના વિસ્તારમાં હિમાલયથી કન્યાકુમારીમાં જોવા મળે છે. ઉત્તર ભારતીય જાતિ નાની અને વજનમાં હલકી નાની પૂંછડી ધરાવે છે. હિમાલયની જાતિ શરીર પર જાડા રુવાંટીના પડને કારણે જુદી પડે છે. દક્ષિણ ભારતીય જાતિના શરીર પર ભૂખરી રુવાંટીના પડમાં નાનાં કાળાં અને સફેદ ટપકાં જોવા મળે છે. ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલોમાં વર્ષ દરમિયાન એકસરખો પુષ્કળ ભેજ અને તાપમાનનો ફેરફાર ૧૮થી ૩૫ સે. હોવાને કારણે જંગલી બિલાડીને વધારે માફક આવે છે. આ ઉપરાંત તે સમશીતોષ્ણ પાનખર જંગલોમાં પણ જોવા મળે છે. એનું આશ્રયસ્થાન ખડકો કે ચટ્ટાનોનાં પોલાણમાં અથવા જૂનાં એકાકી મકાનોમાં હોય છે. આ પ્રાણી મુખ્યત: સવારે કે સાંજે બહાર નીકળે છે. તે ખૂબ જ ચપળ હોય છે અને એની ગતિ નાના ચિત્તા જેવી ઝડપી હોય છે. તે હંમેશાં માણસ સાથેનો સંપર્ક અથવા સંઘર્ષ ટાળે છે. તેનાં જડબાં અને ગરદનના સ્નાયુઓ સુવિકસિત હોય છે. દાંત માંસ કાપવા અને ચીરવા માટે અનુકૂળ હોય છે. આગળના દાંત નાના હોય છે. અગ્ર દાઢ અને નીચલા જડબાની પ્રથમ દાઢની ધાર તીક્ષ્ણ હોય છે અને કાતરનાં પાંખિયાંની જેમ કાપે છે. આ દાંતને છેદક (carnassial) દાંત કહે છે. તે ખોરાક રૂપે નાનાં સસ્તન પક્ષી અને અમુક સંજોગોમાં ગામડાંનાં મરઘાં પણ આરોગે છે. શરીરના કદના પ્રમાણમાં તે વધારે શક્તિશાળી અને મજબૂત હોય છે, જે મોટા પ્રાણીને પણ હરાવવાની શક્તિ ધરાવે છે. જંગલી બિલાડીમાં બચ્ચાંઓનો જન્મ મુખ્યત: જાન્યુઆરીથી એપ્રિલ અને ઑગસ્ટથી નવેમ્બર દરમિયાન જોવા મળે છે. એકસાથે માદા સામાન્યત: ૩ અને અમુક સંજોગોમાં ૫ બચ્ચાંને જન્મ આપે છે. માદાના શરીરમાં ગર્ભ ૬૦ દિવસ સુધી વિકાસ પામે છે. જન્મેલાં બચ્ચાંની આંખ ૧૧થી ૧૫ દિવસ પછી ખૂલે છે. જંગલી બિલાડીનાં બચ્ચાંને સહેલાઈથી સંપર્ક દ્વારા પાલતુ બનાવી શકાય છે. આ જાતિ ઉપરાંત સિલ્વેસટરીસ લાયર્બાકા આફ્રિકામાં જોવા મળે છે. સિલ્વેસટરીસ જાતિ એશિયા વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત ઑકરેટા (ocreata) અને ઓર્નાટા(ornata) જાતિ પણ ત્યાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન

Categories
વાચન સમૃદ્ધિ

શીખ ધર્મ

ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ.

શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં શીખ ધર્મની સ્થાપના ઈ. સ.ના ૧૬મા સૈકામાં ગુરુ નાનકે (૧૪૬૯-૧૫૩૯) કરી. તેમાં હિન્દુ-ઇસ્લામ ધર્મોનાં શુભ તત્ત્વોનો સમન્વય થયેલો જણાય છે. પંજાબમાં ગુરુ નાનકના જન્મસમયે રાજકીય જુલમ, અજ્ઞાન, અસત્ય અને વહેમ ફેલાયેલાં હતાં. તેમણે સમભાવપૂર્વક હિન્દુ-મુસ્લિમ સૌને માર્ગદર્શન આપ્યું અને પ્રેમ અને નિર્ભયતાથી સૌના પ્રેમ અને આદરપાત્ર બન્યા. ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુરુ, મુસલમાનકા ફકીર’; ‘બાબા નાનક સબકા સાંઝા (સખા)’ જેવાં સૂત્રો પ્રચલિત થયાં. એકેશ્વરવાદ, ભ્રાતૃત્વ, ઐક્યની ભાવના, મૂર્તિપૂજા કે વ્રત-ઉપવાસ જેવા ક્રિયાકાંડ કરતાં આચારની શુદ્ધિનો ઉપદેશ અને ‘એક સત્’ નામ – ઈશ્વરના નામનો જપ કરવો – એ આ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. ગુરુ અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય પંથ બન્યો. અને ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે એનો વિકાસ પરિપૂર્ણ થયો એમ કહેવાય. તેમણે ‘પંજ પ્યારે’ રૂપે પાંચ અડગ શિષ્યોની વરણી કરી. શીખોને પાંચ ‘ક’ રાખવાનો આદેશ અપાયો : કચ્છ, કેશ, કડું, કંઘી અને કિરપાણ. દરેક શીખના નામમાં ‘સિંહ’ અને મહિલાના નામમાં ‘કૌર’ જોડવાનો આરંભ થયો.

અમૃતસરનું સુવર્ણમંદિર

શીખ ધર્મના ૧૦ ગુરુઓ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાના અવસાન-સમયે ‘ગુરુ ગ્રંથસાહેબ’નો વિધિપુર:સર અભિષેક કર્યો. અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ગુરુનું સ્થાન મળ્યું. તે શીખ ધર્મનો મુખ્ય – મૂળભૂત ગ્રંથ છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક કરેલું. તેમાં ગુરુઓનાં લખાણ, ભક્તો અને સંગીતકારોની રચનાઓ પણ છે. પ્રભાતમાં તેનું જે પાનું ખોલે અને શબ્દ (‘શબદ’) વાંચવામાં આવે તે શીખો માટે તે દિવસની આજ્ઞા બને છે. શીખ ધર્મમાં સદગુરુનો મહિમા ઘણો છે. પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. મનુષ્યયોનિ સર્વશ્રેષ્ઠ છે. તેથી મનુષ્ય તરીકે જન્મ મળ્યા પછી મનુષ્યે મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યજીવનનું લક્ષ્ય છે કે અહંકારરૂપી દીર્ઘ રોગમાંથી મુક્ત થવું. અને એ માટે ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ, નામજપ, સત્સંગ વગેરે કરવાં. પ્રામાણિકપણે મહેનત કરીને ખાવું અને એમાંથી બીજાને પોતાના હાથે આપવું એ જ ધર્મનો માર્ગ છે. શીખ ધર્મમાં તમાકુનો, નશો કરનારી વસ્તુઓના સેવનનો, પરસ્ત્રીગમનનો, પુત્રીને દૂધ પીતી કરવાનો તથા સતી થવાની પ્રથાનો નિષેધ છે. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને વધારે મહત્ત્વ આપે છે. આવકના દશાંશનું દાન કરવું, મહેનત કરી ગુજરાન ચલાવવું, જ્ઞાતિભેદ ન રાખવો, સૌને માન આપવું, સ્ત્રીપુરુષને સમાન ગણવાં, શસ્ત્ર વાપરવામાં કુશળતા પ્રાપ્ત કરવી, સત્ય-મધુર વચન બોલવું, કાર્યારંભે પ્રભુનું સ્મરણ કરવું વગેરે આચારોનું વિધાન છે. શીખોમાં પ્રભુનું ‘વાહિ ગુરુ’ નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. ‘વાહિ ગુરુ’નો અર્થ છે ‘વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો.’

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શીખ ધર્મ, પૃ. ૩૦૨)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જળ-મુરઘી

(Water Hen/Moor Hen)

સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે ૩૨ સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને પાંખો કાળાશ પડતી કથ્થાઈ અને સ્લેટિયા રંગની હોય છે. તેનું પેટાળ ઘેરા રાખોડી રંગે શોભે છે. માથાની નીચેનો ભાગ, ડોક અને છાતી પણ ઘેરા કાળાશ પડતા રાખોડી રંગનાં હોય છે. પડખામાં સફેદ આડો પટ્ટો હોય છે. ચાંચ લાલ, પણ અણી તરફ પીળી હોય છે. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ હોય છે. પગ લીલા રંગના હોય છે. પૂંછડી નીચેથી સફેદ અને વચમાં કાળા પટ્ટાવાળી હોય છે.

તે સંતાકૂકડીઓ કે જળમુરઘા જેવી શરમાળ હોતી નથી. તે તેની ડોક તાલબદ્ધ રીતે આગળપાછળ ડોલાવતી તરતી જોવા મળે છે. તે પાણીની અનુકૂળતા પ્રમાણે સ્થાનિક મુસાફરી કરે છે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જળમુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યામાં સારો એવો વધારો થાય છે. પાણીમાંથી ઊડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડીને હવામાં ઊંચકાય છે, ત્યારે પગ લબડતા રાખે છે. ભય લાગે ત્યારે ભાગવાને બદલે વનસ્પતિમાં છુપાઈ જાય છે. ડૂબકી મારવામાં તે હોશિયાર છે. તેને તેની ટૂંકી પૂંછડી અવારનવાર ઊંચીનીચી કર્યા કરવાની ટેવ હોય છે. ભારત-એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને બીજા ટાપુઓમાં તે જોવા મળે છે. તે પાણીમાં જ મોટા ભાગે ફરે-ચરે છે. નદી કે તળાવના બંધિયાર પાણીના ઉપરવાસમાં ઊગેલા ઘાસના વનમાં તે વધુ સંતાઈ રહે છે. પાણીની વનસ્પતિ અને તેનાં બીજ, કૂંપળો તેમજ પાણીનાં જીવડાં અને તેમની ઇયળો તેનો મુખ્ય ખોરાક હોય છે. નર અને માદા સરખાં હોય છે. તે ‘કુટ્રક-કુટ્રક-કુક-કુક’ જેવો અવાજ કરતું સંભળાય છે. તેનો પ્રજનનકાળ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાનો ગણાય છે. પાણીના ઘાસ-ચીયા કે બરુનાં રાડાંનો તરતો માળો ગીચ ઘાસમાં કરે છે. તેમાં તે બદામી કે પીળાશ પડતાં ૫થી ૧૪ ઈંડાં મૂકે છે. તેના કપાળનો લાલ રંગ માળાની ઋતુમાં જ ઘેરો બને છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ કનીજિયા