Categories
વાચન સમૃદ્ધિ

ઉમા રાંદેરિયા

જ. 3 નવેમ્બર, 1927 અ. 7 ઑક્ટોબર, 2007

જાણીતા અનુવાદક ઉમાબહેનનો જન્મ અમદાવાદમાં નાગર પરિવારમાં થયો હતો. માતા સૌદામિનીબહેન અને પિતા ગગનવિહારી મહેતા. સર લલ્લુભાઈ સામળદાસ તેમના દાદા થાય. પિતા ગગનવિહારી મહેતા ‘ટેરિફ કમિશન’ના અધ્યક્ષ, પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય અને 1952-58 દરમિયાન અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિમાયા હતા. પિતા અને દાદાનો શૈક્ષણિક અને સંસ્કારવારસો ઉમાબહેનને પણ મળ્યો હતો. પિતાના વ્યવસાયને કારણે 1952 સુધી તેમનો નિવાસ કૉલકાતામાં હતો. માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ સમગ્ર શિક્ષણ તેમણે બંગાળી ભાષામાં લીધું. 1946માં કલકત્તા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક બન્યાં. 1946થી 1948 સુધી અમેરિકામાં કૉર્નેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે તે સમયે નાદુરસ્ત તબિયતને કારણે પદવી પ્રાપ્ત કર્યા વિના જ સ્વદેશ પરત આવ્યાં. પિતા અમેરિકામાં ભારતના રાજદૂત નિયુક્ત થતાં 1952માં બે માસ માટે વૉશિંગ્ટનમાં નિવાસ કર્યો. 1953થી 1983 સુધી મુંબઈમાં રહ્યાં અને 1983થી અમદાવાદમાં સ્થાયી થયાં. તેઓ અર્થશાસ્ત્રી પ્રિયવદન રાંદેરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1973થી 1978 સુધી ઉમાબહેને રશિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલીક કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો છે. તેમણે અનુવાદ કરેલી જાણીતી કૃતિઓમાં ‘નવા યુગનું પરોઢ’ (2005), ‘રૂદાલી અને બીજી બાળવાર્તાઓ’, ‘કેટલીક બાળકથાઓ’, ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘દૂરનો માણસ અને બીજી વાર્તાઓ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નવા યુગનું પરોઢ’ એ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો અનુવાદ છે. આ અનુવાદ માટે તેમને 2005નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા નહેરુ હઠીસિંહ

જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઊર્મિલા ભટ્ટ

જ. 1 નવેમ્બર, 1933 અ. 22 ફેબ્રુઆરી, 1997

રંગભૂમિ, ફિલ્મ અને ટીવીના પરદે જાજરમાન અભિનય આપનાર ઊર્મિલા ભટ્ટનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. એમણે વડોદરામાં જ નૃત્યનાટકની તાલીમ લીધી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતમાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ત્યારબાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસ ખાતે અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી. ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. 1960માં રાજકોટની સંગીતકલા અકાદમીમાં લોકનૃત્યકાર તરીકે જોડાયાં. માર્કંડ ભટ્ટ જેવા નામી કલાકાર સાથે નાટકોમાં અભિનય કર્યો અને 1965માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે માર્કંડ ભટ્ટ સાથે ફિલ્મોમાં અભિનય પણ આપ્યો હતો. તેમણે ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલાં જાણીતાં નાટકોમાં ‘ભગવદજ્જુકીયમ’, ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’, ‘નંદિની’, ‘મરચન્ટ ઑવ્ વેનિસ’, ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘ધરા ગુર્જરી’, ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘મા’, ‘ઘૂંઘટપટ’ વગેરેનો સમાવેશ થાય છે. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધા 1962માં તેમણે શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક મેળવ્યાં હતાં. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મો, 75થી વધુ ગુજરાતી ફિલ્મો અને 10થી 15 રાજસ્થાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બે દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે બંગાળી, ભોજપુરી, હરિયાણવી વગેરે ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન, સિમલા દ્વારા તથા 1981માં ત્રિવેણી, વડોદરા દ્વારા તથા 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. સ્ત્રીનિકેતન, વડોદરાના પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં જ તેમની હત્યા થઈ હતી.