Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ હિદાયતુલ્લાહ

જ. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૨

ભારતના વિદ્વાન ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ અને ભાષાશાસ્ત્રી મોહમ્મદ હિદાયતુલ્લાહે ઉપરાષ્ટ્રપતિ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ભારતનામુસ્લિમ સમાજના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજમાંથી તેઓ બૅરિસ્ટર એટ લૉ થયા હતા. ભારત આવીને તેમણે ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી હતી. ૧૯૩૦-૧૯૪૬ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪-૧૯૪૩ દરમિયાન તેઓએ સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. ૧૯૪૩-૧૯૪૬ દરમિયાન નાગપુરની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને ૧૯૪૬-૧૯૫૪ દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા હતા. ૧૯૪૬માં તેમને ‘ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી ૧૯૬૮-૧૯૭૦ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ૧૯૭૯-૧૯૮૪ દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ વ્યવસાયલક્ષી સંગઠનોમાં વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં, જેવાં કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજીઝમાં નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓએ સક્રિય કામગીરી બજાવી હતી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છત્તીસગઢ ખાતે ૨૦૦૩માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

આર્થર સી. ક્લાર્ક

જ. ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭ અ. ૧૯ માર્ચ, ૨૦૦૮

સર આર્થર ચાર્લ્સ ક્લાર્ક એક બ્રિટિશ લેખક, દરિયાઈ જીવનના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ હતા. તેમનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. ખેતરમાં રખડવાની સાથે તેમને આકાશદર્શન, અશ્મિ એકત્ર કરવાનો અને અમેરિકન સાયન્સ ફિક્શન ‘પલ્પ’ મૅગેઝિન વાંચવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં તેઓ જુનિયર ઍસ્ટ્રૉનોમિકલ ઍસોસિયેશનમાં જોડાયા અને યુરેનિયા સોસાયટીના જર્નલમાં સેવાઓ  આપી હતી. તેઓ ૧૯૩૬માં લંડન ગયા અને ત્યાંના શિક્ષણ બોર્ડમાં પેન્શન ઑડિટર તરીકે જોડાયા હતા. ક્લાર્ક આજીવન અવકાશયાત્રાના સમર્થક હતા. ૧૯૫૦માં તેમણે ‘ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ’ નામનું અવકાશ ઉડાનની મૂળભૂત બાબતોની રૂપરેખા આપતું પુસ્તક લખ્યું હતું. ક્લાર્ક એક ઉત્સાહી સ્કૂબા ડાઇવર હતા અને અંડરવૉટર એક્સપ્લોરર્સ ક્લબના સભ્ય પણ હતા. તેમની પાસેથી ૨૬ નવલકથાઓ, ૧૭ વાર્તાસંગ્રહો અને ૧૮ જેટલાં અન્ય પુસ્તકો પ્રાપ્ત થયાં છે. ક્લાર્કે વિજ્ઞાનસાહિત્યનાં ખાસ પ્રકારનાં કાર્યો માટે ડઝનથી વધુ વાર્ષિક સાહિત્યિક પુરસ્કારો જીત્યા હતા. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને  અન્ય સન્માનો માટે  ૧૯૬૩નો સ્ટુઅર્ટ બેલેન્ટાઈન મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૯૫૬માં તેમની ટૂંકી વાર્તા ‘ધ સ્ટાર’ને હ્યુગો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૬૧માં તેમણે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો-કલિંગ પુરસ્કાર જીત્યો હતો. ક્લાર્કને તેમની ‘અ મિટિંગ વિથ મેડુસા’, ‘રેન્ડેઝ્વસ વિથ રામા’ અને ‘ધ ફાઉન્ટેન્સ ઑફ પેરેડાઇઝ’ જેવી નવલકથાઓને નેબ્યુલા અને હ્યુગો જેવા ઍવૉર્ડથી નવાજવામાં આવી હતી. ૧૯૮૮માં તેમને યુનિવર્સિટી ઑફ બાથ દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમણે વિજ્ઞાનસાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હેનલેઇન ઍવૉર્ડ જીત્યો હતો. ૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ શ્રીલંકાએ ક્લાર્કને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રીલંકાભિમાન્ય (શ્રીલંકાનું ગૌરવ) એનાયત કર્યો હતો. આજે યુનાઇટેડ કિંગ્ડમમાં વિજ્ઞાન સાહિત્યલેખન માટે આર્થર સી. ક્લાર્ક પુરસ્કાર વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યુત ઠાકર

જ. ૧૫ ડિસેમ્બર, ૧૯૨૯ અ. ૬ જૂન, ૨૦૨૩

રાજકીય સમીક્ષક અને કાબેલ પત્રકાર વિદ્યુત ઠાકરનો જન્મ ઉમરેઠમાં થયો હતો. ગુજરાતના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષણવાળા લેખનમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. તેમના પિતાનું નામ કૃપાશંકર અને માતાનું નામ તારાબહેન હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠ અને ધરમપુરમાં તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધું હતું. જાહેર જીવનમાં પહેલેથી જ રસ ધરાવતા હતા. કૉલેજમાં વિદ્યાર્થી ચળવળોમાં આગેવાની લઈ હડતાળ પડાવેલી. કારકિર્દીની શરૂઆતમાં બૅન્કની નોકરી કરી, ત્યારબાદ ‘સંદેશ’માં જોડાયા અને પત્રકારત્વક્ષેત્રે કાર્યરત થયા. ૧૯૫૬માં પ્રજાસમાજવાદી પક્ષ સંચાલિત ‘નવગુજરાત’ દૈનિકમાં ઉપસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા. આ આંદોલન દરમિયાન તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેની સાથે જેલવાસ ભોગવ્યો. ૧૯૭૦-૭૧માં ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવ’ કાર્યક્રમ નિમિત્તે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો. બીજે વર્ષે અમદાવાદ શહેર કૉંગ્રેસના મંત્રી બન્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. ૧૯૮૨થી ૧૯૮૯ સુધી રતુભાઈ અદાણીના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ત્યારબાદ શ્રી ચીમનભાઈ પટેલના જનતા દળમાં સક્રિય બન્યા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ‘ગુજરાત લઘુઉદ્યોગ નિગમ’ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. અમદાવાદનાં જાણીતાં દૈનિકો અને સામયિકોમાં તેમણે નિયમિત રાજકીય કટારલેખન કર્યું. તેઓએ બાળપણથી ખૂબ વાંચન કર્યું હોવાથી તેમનાં લખાણો ઉત્તમ કક્ષાનાં બન્યાં. વિશ્વની રાજકીય ગતિવિધિના ઊંડા અભ્યાસી એવા વિદ્યુત ઠાકર ગુજરાતની સ્થાપના સમયથી કાર્યરત પત્રકારોમાંના એક હતા અને તેઓ લગભગ ૫૦ વર્ષ આ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે ચાર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમને ‘રમણભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ