Categories
વાચન સમૃદ્ધિ

ચીમનલાલ ચકુભાઈ

જ. ૧૧ માર્ચ, ૧૯૦૨ અ. ૨૦ નવેમ્બર, ૧૯૮૨

ભારતના બંધારણમાં મહત્ત્વનો ફાળો આપનાર તથા ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ચીમનલાલનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામમાં થયો હતો. પિતાનું નામ ચકુભાઈ. બે વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. અપરમા રંભાબહેને તેમનો ઉછેર કર્યો. પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી બાકીનો અભ્યાસ તેમણે મુંબઈ પૂરો કરેલો. ત્યારબાદ પિતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાં જોડાવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. અભ્યાસમાં તેમની તેજસ્વિતાને કારણે તેમને શિષ્યવૃત્તિઓ મળી. એમ.એ. અને એલએલ.બી.માં તેમના ઉત્તમ પરિણામને કારણે કે. ટી. તેલંગ સુવર્ણચંદ્રક તથા ઇન્વેરારિટી સુવર્ણચંદ્રક એનાયત થયા. તેઓ બે વર્ષ ‘દક્ષિણા ફેલો’ તરીકે નિમાયા. ૧૯૨૮માં તેઓ સૉલિસિટર બન્યા.  આઝાદી પહેલાં મુંબઈ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. ૧૯૪૬માં તેઓ મુંબઈ કૉર્પોરેશનમાં ચૂંટાયેલા અને સતત છ વર્ષ સુધી ચૂંટાઈને તેમણે મુંબઈની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૪૮માં બંધારણસભાના સભ્ય બનતાં કાયદા અને બંધારણના નિષ્ણાત તરીકે પોતાની કાબેલિયત દર્શાવી. તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા. ૧૯૩૯થી ૧૯૫૧ સુધી સતત બાર વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ વિકાસ પામી. ‘પ્રબુદ્ધજીવન’નું તંત્રીપદ સ્વીકાર્યા બાદ તેમાં સતત ચિંતનાત્મક લેખન કર્યું.

ચીમનભાઈ જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા તથા સમાજસેવક તરીકે ખ્યાતિ ધરાવે છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ઉપેન્દ્ર ધીરજલાલ દેસાઈ

જ. ૧૦ માર્ચ, ૧૯૨૫ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧

કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશવિજ્ઞાનક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમનો જન્મ અમદાવાદમાં બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. ૧૯૪૧માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિત સાથે ૧૯૪૫માં બી.એસસી. કર્યું. ૧૯૪૮માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. તે સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં સ્થાપેલી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં તેઓ સંશોધનકર્તા તરીકે જોડાયા. તેમના સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. ૧૯૫૯માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસામાં જોડાયા. તેઓ ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્યરત બન્યા. ૧૯૬૩માં ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (Incospar) અને થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લોન્ચિંગ સ્ટેશન(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહ્યો. ત્યાર બાદ તેમણે અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો અને નાસામાં કાર્યરત રહ્યા. અમેરિકાએ અવકાશમાં છોડેલા ઍપોલો-IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી તેમણે સંભાળી હતી. તેમના સહયોગથી ભારતમાં પણ પહેલું રિસર્ચ રૉકેટ થુમ્બા સ્ટેશનેથી છોડવામાં આવેલું. ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશસંશોધનને લગતા લેખો લખ્યા છે. સ્વાવલંબી, પરોપકારી અને સાદગીસભર જીવન જીવનાર ડૉ. દેસાઈ અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા. વિજ્ઞાનક્ષેત્રે કરેલા બહુમૂલ્ય પ્રદાન બદલ ૧૯૮૧માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ ઝાકિરહુસેન

જ. ૯ માર્ચ, ૧૯૫૧ અ. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪

તબલાવાદનની કલાના ઉસ્તાદ અને તે દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ઝાકિરહુસેનનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા ઉસ્તાદ અલ્લારખાં પંજાબ ઘરાનાના ખ્યાતનામ અને પારંગત તબલાવાદક હતા. તેમની તબલાવાદનની કલા ઝાકિરહુસેનને વારસામાં મળી હતી. શિશુવયથી જ પિતાને મળવા આવતા પ્રસિદ્ધ ગાયકો-વાદકોને મળવાનું થતું. પિતાના સ્ટુડિયોમાં પોતાનું રેકૉર્ડિંગ ચાલતું હોય ત્યારે બાળ ઝાકિરને પોતાની નાની આંગળીઓ વડે તબલાં વગાડવાની તક મળતી. ઝાકિરહુસેનને પિતા અલ્લારખાં ઉપરાંત પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબરખાં વગેરે જેવા મહાન વાદક કલાકારોની સંગત કરીને ઘણું શીખવા મળ્યું. તેઓએ તેમના પુરોગામી અને સમકાલીન ધુરંધર કલાકારોને ખૂબ સાંભળ્યા, ખૂબ શીખ્યા અને તબલાંના તાલની વિવિધ ખૂબીઓમાં પારંગત બન્યા. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા. પશ્ચિમનાં વાજિંત્રો સાથે સંગત કરીને તેમણે જે સંવાદ સાધ્યો તે અજોડ છે. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે અવનવા પ્રયોગો કરવામાં પણ તેઓ રસ ધરાવતા. લોકોને આનંદ આપે તેવી સંગીતની નવીનતાને તેઓ સ્વીકારતા. અમદાવાદમાં દર વર્ષે યોજાતા સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિકના શાસ્ત્રીય સંગીતના સમારોહમાં તેમના તબલાવાદનનું આયોજન કરવામાં આવતું જે ખૂબ લોકપ્રિય નીવડતું. તેમણે અનેક પ્રશસ્તિપત્રો, ઇનામો, વિશિષ્ટ પદકો અને સુવર્ણચંદ્રકો મેળવ્યાં છે. ૧૯૮૮માં તેમને સંગીતક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર અને ૨૦૦૨માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ગ્રેમી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં ‘પદ્મવિભૂષણ’ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

શુભ્રા દેસાઈ