Categories
વાચન સમૃદ્ધિ

અતુલચંદ્ર ઘોષ

જ. ૨ માર્ચ, ૧૮૮૧ અ. ૧૫ ઑક્ટોબર, ૧૯૬૧

ભારતની આઝાદીની ચળવળના બંગાળના એક અગ્રણી રાજકીય નેતા. તેમનો જન્મ ખાંડઘોષા, બર્દવાન, બંગાળમાં થયો હતો. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં, પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડેલું. ૧૯૦૮માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી. નિબારણચંદ્ર દાસગુપ્તાના સાથમાં તેમણે બંગાળના પુરબિયા જિલ્લામાં તેલ્કાપાડા ગામ ખાતે ‘શિલ્પાશ્રમ’ની સ્થાપના કરી, જેમાં ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૨૧માં વકીલાત બંધ કરી, અસહકારની ચળવળમાં જોડાયા, ત્યાંથી જાહેરજીવનની શરૂઆત થઈ. આઝાદીને પ્રેરક કામો શરૂ કર્યાં. બંગાળી સાપ્તાહિક પત્ર ‘મુક્તિ’ના તે સંપાદક હતા. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ૧૯૨૧-૩૫ દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને ૧૯૩૫-૪૭ દરમિયાન તેના પ્રમુખ હતા. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. આ ઉપરાંત ૧૯૩૨, ૧૯૪૫માં પણ કારાવાસ ભોગવેલો. ૧૯૪૭માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ તેમાં જે ઢંઢેરો આ સંસ્થાએ બહાર પાડેલો તેમાં ગાંધીજીની વિચારણાનો પડઘો સ્પષ્ટપણે જોવા મળે છે. માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે ૧૯૫૦-૫૨ દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની સાથે સક્રિય રહેલું હતું. સંતાનોને તેમણે સ્વતંત્રતા અને સ્વદેશીના સંસ્કારો આપ્યા હતા. તેમનાં પત્ની લાવણ્યપ્રભા ઘોષ પણ આઝાદીની ચળવળનાં સૈનિક હતાં. અતુલચંદ્ર ઘોષનું અવસાન કૉલકાતામાં થયું હતું. લોકો પ્રેમથી તેમને ‘માનભૂમ કેસરી’ નામે સંબોધતા અને તેમનાં પત્નીને ‘માનભૂમ જનની’ તરીકે સંબોધતા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

રાલ્ફ એલિસન

જ. ૧ માર્ચ, ૧૯૧૪ અ. ૧૬ એપ્રિલ, ૧૯૯૪

અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્વેત સાહિત્યકાર. તેમનો જન્મ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં થયો હતો. ૧૯૨૧માં રાલ્ફ તેમની માતા સાથે ગેરી, ઇન્ડિયાના રાજ્યમાં રહેવા ગયા, પણ ત્યાં માતાને કોઈ કામ ન મળતાં પાછા ઓકલાહોમા આવ્યા જ્યાં રાલ્ફ બસબૉય, બૂટ-પૉલિશ કરવાવાળા, હોટલમાં વેઇટર તથા દાંતના ડૉક્ટરને ત્યાં કામ કરવા લાગ્યા. તેમને સંગીતમાં ઘણો રસ હોવાથી પિતાના મિત્ર પાસેથી પૈસા લઈ ટ્રમ્પેટ અને સેક્સોફોન શીખવા માટે ટસ્કેગી સંસ્થામાં ૧૯૩૩થી ૧૯૩૬ સુધી શિક્ષણ લીધું. પણ ત્યારબાદ સાહિત્યનો શોખ હોવાથી વાચન કરવાથી સાહિત્યસર્જન કરવા પ્રેરાયા. ૧૯૩૬માં ન્યૂયૉર્ક નગરના બીજા અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રોજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (૧૯૫૨) નામની એક નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેમને આ નવલકથા માટે ૧૯૫૩માં નૅશનલ બુક ઍવૉર્ડ પણ મળેલો. તેમના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (૧૯૬૪) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે  અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર ઑફ હ્યુમેનિટીઝ તરીકે ફૅકલ્ટીના કાયમી સભ્ય રહ્યા. તેમની લેખનશૈલી પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેન્ચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ જોવા મળે છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગોઇંગ ટુ ધ ટેરીટરી’ (૧૯૬૬) અને ટૂંકી વાર્તા ‘લાઇંગ હોમ’ (૧૯૯૬) મરણોત્તર પ્રકાશન પામેલી.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ગિરીશચંદ્ર ઘોષ

જ. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૪૪ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૧૨

જાણીતા બંગાળી અભિનેતા, દિગ્દર્શક અને લેખક ગિરીશચંદ્ર ઘોષનો જન્મ કૉલકાતાના બાગબજારમાં થયો હતો. તેમનાં માતાપિતા નીલકમલ અને રાયમણિનું તેઓ આઠમું સંતાન હતા. પિતા પાસેથી તીક્ષ્ણ બુદ્ધિ અને જીવન પ્રત્યેનો વ્યાવહારિક અભિગમ અને માતા પાસેથી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ તેમને વારસામાં મળ્યાં હતાં. જીવનની શરૂઆતમાં જ તેમણે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ૧૮૬૨માં શાળા છોડ્યા બાદ તેમણે એક બ્રિટિશ કંપનીમાં બુકકીપિંગમાં એપ્રેન્ટિસશિપ મેળવી હતી. આ સમયગાળામાં ઈશ્વરચંદ્ર ગુપ્તા સાથે તેમનો પરિચય થવાથી તેમણે નાટકો, ગીતો અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ગિરીશચંદ્ર ઘોષે ૧૮૭૩માં ગ્રેટ રાષ્ટ્રીય રંગભૂમિની રચના કરી હતી અને ૧૮૭૭માં ત્યાં તેમના પ્રથમ નાટક ‘આગમણિ’નું મંચન કર્યું હતું. ત્યારબાદ તેમણે મિનર્વા થિયેટરમાં પણ કામ કર્યું હતું અને તેઓ મૅનેજરપદ સુધી પહોંચ્યા હતા. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણકથા આધારિત કુલ ૮૬ નાટક લખ્યાં હતાં. તેમનાં ખૂબ જાણીતાં નાટકોમાં ‘બુદ્ધદેવચરિત’, ‘પૂર્ણ ચંદ્ર’, ‘કલાપહાર’, ‘અશોક’, ‘ચૈતન્યલીલા’, ‘રૂપ-સનાતન’, ‘નિમાઈ સંન્યાસ’ અને ‘પ્રહલાદચરિત’નો સમાવેશ થાય છે. ગિરીશચંદ્ર ઘોષ રામકૃષ્ણ પરમહંસને પહેલી વાર તેમના પાડોશી કાલીનાથ બોઝના ઘેર મળ્યા હતા. ૨૧ સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રી રામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા હતા. રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ હેઠળ તેમના નાટક ‘નાસીરામ’માં તેમણે રામકૃષ્ણના ઉપદેશોનો ખૂબ જ ઉપયોગ કર્યો. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રી રામકૃષ્ણ’માં ગિરીશચંદ્ર અને રામકૃષ્ણને લગતાં ઘણાં દૃશ્યો છે. વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના સંપર્કમાં આવ્યા બાદ ગિરીશચંદ્ર તેમના એક પ્રકારના આશ્રયદાતા સંત બન્યા હતા. તેમણે ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું  હતું. બંગાળી રંગભૂમિના સુવર્ણયુગ સાથે ગિરીશચંદ્ર ઘોષનું નામ સુવર્ણ અક્ષરે જોડાયેલું છે.

અશ્વિન આણદાણી