Categories
વાચન સમૃદ્ધિ

સારંગ બારોટ

જ. ૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮

ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ પણ ગુજરાતી સાહિત્યમાં સારંગ બારોટ તરીકે જાણીતા છે. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં આવેલી કલાભવન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૪૧-૧૯૫૦ દરમિયાન મુંબઈ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે કાર્ય કર્યું હતું. તેમણે લેખનની શરૂઆત ૧૯૫૦થી કરી અને આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ લખી જેમાં કૌટુંબિક પ્રશ્નોની છણાવટ મુખ્ય વિષય રહ્યો. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો પણ અગ્રસ્થાને રહેલા છે. તેમની રચનાઓમાં ‘અગનખેલ, ‘રેનબસેરા’ (ભાગ ૧ અને ૨), ‘નંદનવન’, ‘બાદલછાયા, ‘કુર્યાત્ સદા મંગલમ્, ‘નદી, નાવ, સંજોગ, ‘વિલાસવહુ’, ‘સૂર્યમુખી’, ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ અને ‘ધીરા સો ગંભીર’ મહત્ત્વની ગણી શકાય. વાર્તાસંગ્રહોમાં ‘અક્ષયપાત્ર’ (૧૯૫૨), ‘મોહનાં આંસુ’ (૧૯૫૨), ‘વિમોચન’ (૧૯૫૩), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (૧૯૫૪), ‘મેઘમલ્હાર’ (૧૯૬૩) અને ‘ગુલબંકી’ (૧૯૬૭) નોંધપાત્ર છે. સામયિકોના દીપોત્સવી અંક માટે પણ તેમણે અનેક વાર્તાઓ લખેલ છે. તેમની ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ ઘણી પ્રશંસા પામી છે. તેમણે લખેલાં નાટકોમાં ‘પ્રેમસગાઈ’ (૧૯૬૭) અને ‘એક ડાળનાં પંખી’ (૧૯૭૯) ધ્યાનાકર્ષક ગણાય.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ સુંદરજી પઢિયાર

જ. ૩ એપ્રિલ, ૧૮૭૦ અ. ૨ જુલાઈ, ૧૯૧૯

વિચારપ્રધાન ગદ્યના લેખક અને સમાજસુધારક અમૃતલાલનો જન્મ ચોરવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વયે માતા કસ્તૂરબાઈનું અવસાન થતાં તેઓ પિતા અને ફોઈઓની નજર નીચે ઊછર્યા. માત્ર છ જ ચોપડી ભણ્યા છતાં તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોવાથી લખવાનો શોખ તેમને શાળામાંથી જ લાગ્યો. કામગીરીના પ્રારંભમાં તેમણે કઠિન દિવસો વિતાવવા પડ્યા. ફક્ત ચણા ફાકીને પણ ચલાવવું પડેલું. શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં છાપાં-માસિકો વાંચી સંભળાવવાની નોકરી કરીને તેમની પાસે પ્રથમ પુસ્તક પ્રગટ કરાવ્યું. વિધવાઓની કરુણ સ્થિતિ વર્ણવતું ‘આર્યવિધવા’ (૧૮૮૧) અને ત્યાર બાદ ‘અમૃતવચનો’ (૧૯૦૦) જેવી પ્રારંભિક કૃતિઓ બાદ ‘સંસારમાં સ્વર્ગ’ (૧૯૦૨) અને ‘સરસ્વતીચંદ્ર’ ભાગ ત્રીજા અને ચોથાને અનુસરતી નવલકથા આપી જેનાથી સાહિત્યકાર તરીકે તેમને પ્રતિષ્ઠા મળી. તેમણે ‘સ્વર્ગ’ નામધારી સંખ્યાબંધ કૃતિઓ રચી જેમાં ધર્મસામાન્યની ભૂમિકા પર રહી નીતિમત્તા વગેરે મૂલ્યપ્રધાન જીવનનો મહિમા સ્થાપિત કર્યો. સ્વામી બ્રહ્માનંદજી પાસે તેમણે વૈદક અને યોગનો અભ્યાસ કર્યો હતો. નિર્ધનો અને અપંગોની શુશ્રૂષા અર્થે તેમણે આજીવન લગ્ન ન કરવાનું પ્રણ લીધું. ૧૯૧૮માંના દુકાળ સમયે સંકટગ્રસ્તોને બહુમૂલ્ય સેવા આપી. ઉત્તરાવસ્થામાં તેઓ ભાગવતભક્તિ તરફ ઢળ્યા હતા. ‘શ્રીમદ્ ભાગવતનો ટૂંકસાર’ તથા ‘પ્રેમ, પ્રેમ અને પ્રેમ’ એમની ભક્તિપ્રધાન બનેલા જીવનની રચનાઓ છે. તેમનું જીવન અને લેખન બંને સાદાં, સાત્ત્વિક ધર્માચરણયુક્ત હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈને જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. કવિ ન્હાનાલાલે આ સૌજન્યશીલ અને સાધુચરિત પુરુષને ‘સૌરાષ્ટ્રના સાધુ’ની ઉપમા આપી છે. કૉલેરાને કારણે મુંબઈમાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

જ. ૨ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૩ જૂન, ૧૯૯૦

ભારતીય કલાકાર, નાટ્યકાર, અદાકાર, સંગીતકાર અને અંગ્રજી ભાષામાં કવિતા લખનાર કવિ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમના પિતાજીએ હૈદરાબાદ કૉલેજની સ્થાપના કરી, તેમનાં માતાજી કવયિત્રી હતાં અને બંગાળી ભાષામાં કવિતાઓ લખતાં. હરીન્દ્રનાથ ૧૯ વર્ષના હતા ત્યારે ‘ધ ફિસ્ટ ઑફ યૂથ’ નામનું તેમની કવિતાઓનું પ્રથમ પુસ્તક છપાયું હતું. આ પુસ્તક તેઓએ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, પણ તેમાં લખેલ કવિતાઓ ભારતીય સંસ્કૃતિ પર હતી. તેઓનાં લગ્ન કમલાદેવી ચટ્ટોપાધ્યાય જોડે થયાં હતાં, જે એક સમાજવાદી હતાં. તેઓ ઑલ ઇન્ડિયા વુમન્સ કૉન્ફરન્સ અને ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટસ બોર્ડનાં અધ્યક્ષ હતાં. હરીન્દ્રનાથ અને કમલાદેવીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તેઓ છૂટાં પડી ગયાં. હરીન્દ્રનાથે ‘રેલગાડી’, ‘સૂર્ય અસ્ત હો ગયા’, ‘તરુણ અરુણસે રંજિત ધરણી’ જેવી કવિતાઓ લખી અને સ્વરબદ્ધ કરી. રવીન્દ્રનાથ ટાગોર પણ તેમની કવિતાની પ્રશંસા કરતા હતા. બાળકો માટે તેમણે હિન્દી ભાષામાં ઘણી કવિતાઓ લખી છે. ૧૯૫૧ની ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં વિજયવાડા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે  સત્યજિત રેની ત્રણ ફિલ્મોમાં, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ તથા ‘બાવર્ચી’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ૧૯૮૪માં મુંબઈ દૂરદર્શન ‘આડોશ પડોશ’ નામની ટીવી સિરિયલમાં તેઓએ ભાગ લીધો હતો.

૧૯૭૩માં પદ્મભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.