Categories
વાચન સમૃદ્ધિ

દાદા પાંડુરંગ આઠવલે

જ. ૧૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૫ નવેમ્બર, ૨૦૦૩

સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી આધ્યાત્મિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનો પ્રભાવ પાડનાર પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં થયો હતો. માતા પાર્વતી, પિતા વૈજનાથ અને દાદા લક્ષ્મણની છાયા હેઠળ તેમના જીવનનું ઘડતર થયું હતું. તેઓ પૂર્વ અને પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી આદિ ભાષાઓ અને વિવિધ સમાજવિદ્યા અને વેદો ભણ્યા હતા. આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. મુંબઈમાં તેઓએ વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભાગવત પાઠશાળામાં પ્રવચનો કર્યાં હતાં. ૧૯૫૪માં જાપાનમાં યોજાયેલ વિશ્વના દાર્શનિકોની સભામાં ‘ભક્તિ બળ છે’ તે વિષય પર તાત્ત્વિક નિરૂપણ કર્યું હતું. આ માટે તેઓએ ભારતમાં પ્રબળ આંદોલન જગાવ્યું હતું, જેથી યુવાનો વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ વિનામૂલ્યે લઈ શકે. આ માટે તેઓએ થાણેમાં તત્ત્વજ્ઞાનની વિદ્યાપીઠ સ્થાપી. ઉપરાંત સમાજના વિવિધ સ્તરે સાંસ્કૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓએ ઋષિકૃષિ સંસ્થાઓ સ્થાપી હતી, જેના દ્વારા ગૃહઉદ્યોગ તથા ઋષિ સંસ્કૃતિ – બંનેના સમન્વય રૂપે શિક્ષણ અપાય. પાંડુરંગે ભારતનાં લાખો ગામડાંઓમાં સામૂહિક ખેતી, માછીમારી તથા વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા. આ નિરક્ષર માછીમારો તથા ખેડૂતોને ગીતા સમજાવી અને તેના શ્લોકો મોઢે કરાવ્યા. તેમના સ્વાધ્યાયીઓ દ્વારા પણ આ કામને વેગ મળ્યો. આથી ખેડૂતો અને માછીમારોના જીવનમાં પરિવર્તન થયું. ઈ. સ. ૧૯૮૨માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલ્સની પંચશતાબ્દી પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. એમની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સંખ્યા ધરાવતાં કેન્દ્રો સ્થાપી ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયત્ન કર્યા. સદવિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં.

આઠવલેને મૅગ્સેસે ઍવૉર્ડ, ટેમ્પલટન ઍવૉર્ડ તથા પદ્મભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. માનવસેવા માટે તેઓને ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ હેઠળ રૂ. ૪.૩૨ કરોડ જેટલી રકમ મળી હતી. નિરક્ષર અને અબુધ ગ્રામજનો માટે તેઓએ કરેલી સેવાપ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ ‘આંતરનાદ’ બનાવવામાં આવી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

દીપક શોધન

જ. ૧૮ ઑક્ટોબર, ૧૯૨૮ અ. ૧૬ મે, ૨૦૧૬

રોશન હર્ષદલાલ શોધન ભારતના જાણીતા ટેસ્ટ ક્રિકેટર હતા. તેઓ ‘દીપક’ ઉપનામથી જાણીતા હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્રિકેટ રમવાની શરૂઆત તેમણે ૧૯૪૨માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી. અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીયસ્તર પર રમાતી રણજી ટ્રૉફી ટીમમાં પસંદગી પામ્યા અને કૉલેજના ‘રાષ્ટ્રીય ખેલાડી’ બની ગયા. તેમણે સૌરાષ્ટ્ર સામે રમતાં ૯૦ રન આપી અને ૭ વિકેટ ઝડપી અને ગુજરાતની ટીમને વિજયી બનાવી અને આ પ્રદર્શનને કારણે કૉલેજમાં પ્રખ્યાત બની ગયા. રણજી ટ્રૉફી ઉપરાંત તેમણે ત્રણ વર્ષ મુંબઈ યુનિવર્સિટી, ત્રણ વર્ષ સંયુક્ત યુનિવર્સિટીઝ અને એક વર્ષ  ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વેસ્ટ ઝોન વતી પાકિસ્તાન સામે રમતાં તેમણે અણનમ ૮૭ રન બનાવ્યા અને આ દેખાવને કારણે તેઓ ૧૯૫૨માં ભારતીય ટેસ્ટ ટીમમાં અનામત ખેલાડી તરીકે પસંદગી પામ્યા. વિજય હઝારે કૉલકાતાની ઇડન ગાર્ડન ખાતેની મૅચ માટે ઉપલબ્ધ ન થવાથી દીપક શોધનને ટેસ્ટ મૅચ રમવાની તક મળી.

આઠમા ક્રમે રમવા આવી તેમણે પ્રથમ ટેસ્ટમાં જ ૧૧૦ રન કરી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો. ત્યારબાદ તેમની પસંદગી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડનાર ભારતીય ટીમમાં થઈ અને પહેલી ટેસ્ટમાં તેમણે અનુક્રમે ૪૫ અને ૧૧ રન નોંધાવ્યા. ત્યારપછીની ત્રણ ટેસ્ટ મૅચ તેઓ રમી ના શક્યા અને છેલ્લી મૅચમાં જ્યારે તેમને લેવામાં આવ્યા ત્યારે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે રમી ન શક્યા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેમણે અણનમ ખૂબ ઉપયોગી ૧૫ રન બનાવ્યા હતા. ત્યાર પછી ક્રિકેટમાં રાજકારણને લીધે તેમની આશાસ્પદ કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો. ૧૯૬૧માં તેમણે ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમણે પશ્ચિમ વિભાગની શાળાકીય ક્રિકેટ પસંદગી સમિતિના ચૅરમૅન અને BCCIની અખિલ ભારતીય શાળા ક્રિકેટ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. ક્રિકેટ ઉપરાંત તેઓ બૅડમિન્ટન, વૉલીબૉલ, ગોલ્ફ, ટેનિસ, ટેબલ ટેનિસ તથા ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. તેઓએ સરદાર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સમાં ક્રિકેટ કોચ તરીકે સેવાઓ આપી હતી. ૮૭ વર્ષની વયે ફેફસાંના કૅન્સરને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું હતું. ૧૯૯૧-૯૨માં ગુજરાત સરકારે ક્રિકેટની રમતમાં તેમના યોગદાન બદલ અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. ૧૯૯૭માં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નગરભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સ્મિતા પાટીલ

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬

હિન્દી અને મરાઠી ચલચિત્રોનાં અભિનેત્રી તરીકે જાણીતાં સ્મિતા પાટીલનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનાં માતા વિદ્યા પાટીલ સામાજિક કાર્યકર હતાં. તેમના પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં હતાં. અભિનયની કોઈ વિશેષ તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે કોઈ પણ પાત્રમાં પોતાના વ્યક્તિત્વને ડુબાડી દેવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતાં સ્મિતા પાટીલ ચલચિત્રજગતના આકાશમાં અલ્પ સમય માટે ચમકી ગયેલાં તેજસ્વી તારિકા હતાં. આર્ટ ફિલ્મ ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં જે બે  નોંધપાત્ર અભિનેત્રીઓ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને પ્રાપ્ત થઈ તેમાં એક શબાના આઝમી અને બીજાં સ્મિતા પાટીલને ગણાવી શકાય.

કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે જ મુંબઈ દૂરદર્શન પર સમાચારવાચક તરીકે ફરજ બજાવતાં સ્મિતા પાટીલને ખ્યાતનામ દિગ્દર્શક શ્યામ બેનેગલે પ્રથમ વાર ‘ચરણદાસ ચોર’ નામની ફિલ્મમાં તક આપી હતી. દેખાવે નમણાં એવાં સ્મિતા પાટીલની ‘નિશાન્ત’માંની ભૂમિકા નાની પણ યાદગાર હતી. દૂધની સહકારી ડેરીના વિષય પર બનાવાયેલી બેનેગલની ફિલ્મ ‘મંથન’માં એક હરિજન યુવતીને તેમણે એવી સહજતાથી પડદા પર રજૂ કરી હતી તેથી શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષક તેમને પ્રાપ્ત થયું હતું. સ્મિતા પાટીલે ‘ભૂમિકા’, ‘ચક્ર’, ‘આક્રોશ’, ‘ગમન’, ‘બાઝાર’, ‘અર્થ’, ‘મંડી’ જેવી આર્ટ ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો હતો. સાથોસાથ ‘શક્તિ’, ‘નમકહલાલ’, ‘કયામત, ‘કસમ પેદા કરનેવાલે કી’, ‘ડન્સડાન્સ’, ‘બદલે કી આગ’, ‘અમૃત’ વગેરે વ્યાવસાયિક ચલચિત્રોમાં પણ તેમણે સરસ કામ કર્યું હતું. એમની હયાતીમાં જ ફ્રાન્સ ખાતે તેમનાં ચલચિત્રોનો ‘પુનરવલોકન’ (retrospect) કાર્યક્રમ યોજાયો હતો. આવું માન જૂજ અભિનેત્રીઓને મળ્યું છે. કુલ ૬૬ જેટલાં ચલચિત્રોમાં યાદગાર ભૂમિકા ભજવી ગયેલ સ્મિતા પાટીલનું ૩૧ વર્ષની વયે બ્રેઇનહેમરેજને કારણે નિધન થયું હતું. હિન્દી અને મરાઠીની સાથોસાથ તેમણે બંગાળી, કન્નડ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં કામ કરીને પદ્મશ્રી સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી