Categories
વાચન સમૃદ્ધિ

ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ

રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કશુંક વિચારતો હોય છે. એ વિચારને  આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે. એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે. ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જરા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં રત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મૂકતી હોય છે, પણ યંત્રવત્ રીતે. એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે છે કે જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે. એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દાઝયો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ. સ. ૧૬૪૨થી ઈ. સ. ૧૭૨૭) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે. નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. ૧૬૬૫ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો. એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, ‘અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.’ સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !,

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર

વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.

કુમારપાળ દેસાઈ