Categories
વાચન સમૃદ્ધિ

વિષાદયોગનો મર્મ

‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મારી હારથી આનંદ

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જિંદગી યાત્રા બનતી નથી !

પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈનીય સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને ! આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે. પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુર્વૃત્તિનો કચરો પડ્યો હોય તો  એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે.