Categories
વાચન સમૃદ્ધિ

પહેલાં તમારી જાતને પૂછો !

સાધક બોધિધર્મ પાસે એક યુવાને આવીને પૂછ્યું, ‘ગ્રંથો ઘણા વાંચ્યા, સંતોનાં ચરણ સેવ્યાં. ઘણું ઘણું કર્યું, કિંતુ એક પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે.’

બોધિધર્મે કહ્યું, ‘કયો પ્રશ્ન તમને આટલા બધા કાળથી પરેશાન કરે છે ?’

યુવાને કહ્યું, ‘‘મારી એક જિજ્ઞાસા આજ લગી વણછીપી રહી છે અને તે એ કે ‘હું કોણ છું ?’ એ પ્રશ્નનો ઉત્તર અથાગ પ્રયત્નો કરવા છતાં પામ્યો નથી.’’

બોધિધર્મે આ સાંભળતાં જ હાથ ઉગામ્યો અને યુવકને જોરથી થપ્પડ મારીને કહ્યું, ‘ચાલ્યો જા અહીંથી. આવા બેહૂદા પ્રશ્નો કરી મારો સમય વેડફીશ નહીં.

યુવક વિચારમાં પડ્યો. જ્ઞાની અને સાધક એવા બોધિધર્મનું વર્તન અકળ લાગ્યું. પ્રશ્નના પ્રત્યુત્તરમાં આવી થપ્પડ !

યુવક બીજા સાધક પાસે ગયો અને એને કહ્યું, ‘‘બોધિધર્મ તો કેવા છે ! મેં સીધો-સાદો પ્રશ્ન પૂછ્યો કે ‘હું કોણ છું ?’ અને જવાબમાં એમણે થપ્પડ લગાવી. કેવું કહેવાય ?’’

બીજા સાધકે તો એથીય વધુ આક્રોશપૂર્વક કહ્યું, ‘બોધિધર્મે તો તને થપ્પડ લગાવી, પણ તેં મને આવો પ્રશ્ન કર્યો હોત તો આ મોટો ડંડો જ ફટકાર્યો હોત.’

યુવકની મૂંઝવણ ઓર વધી ગઈ. એ પુન: બોધિધર્મ પાસે ગયો અને કહ્યું, ‘મને આપની ઉત્તર આપવાની રીત અકળ લાગી. મારી જિજ્ઞાસાના ઉત્તરમાં તમે થપ્પડ મારી તે કેવું કહેવાય ? આપના જેવા જ્ઞાની પાસેથી જિજ્ઞાસાનું સમાધાન મળે, તમાચો નહીં.’

બોધિધર્મે સ્પષ્ટતાપૂર્વક કહ્યું, ‘હવે આટલેથી તું અટકી જા. હવે ફરી એ પ્રશ્ન પૂછતો નહીં. નહીં તો કાલે થપ્પડ મળી હતી, આજે એનાથીય વધુ આકરો જવાબ મળશે.’

જિજ્ઞાસુ યુવક ગભરાઈ ગયો. એને સમજાયું નહીં. બોધિધર્મને પૂછ્યું, ‘મારી જિજ્ઞાસાનો આવો જવાબ મળે છે તેનું કારણ કૃપા કરીને મને કહો.’

બોધિધર્મે કહ્યું, ‘‘ભન્તે, જે પ્રશ્ન તારે પોતાની જાતને પૂછવો જોઈએ, તે તું બીજાને પૂછે છે. તારી જાતને પૂછ કે ‘હું કોણ છું ?’ અને ભીતરમાંથી જ તને પ્રત્યુત્તર મળશે. એ ભીતરનો અવાજ સાંભળ એટલે તને તારા પ્રશ્નનો આપોઆપ ઉકેલ મળશે.’’

માણસ પોતાને વિશે જાણવા માટે બહાર કેટલું બધું ફરે છે ! ‘માંહ્યલા’ની ઓળખ માટે એ ભીતરમાં જવાને બદલે આસપાસ જગતમાં ઘૂમે છે. અન્ય પાસેથી પોતાના વિશેના અભિપ્રાયો ઉઘરાવે છે. સતત અન્યની નજરે સ્વયંને જોતો રહે છે. બીજાની ફૂટપટ્ટીથી પોતાની ઊંચાઈ માપવા કોશિશ કરે છે. પરિણામે એ સતત બાહ્ય જગતમાં એના તોલ-માપના ત્રાજવે પોતાની જાતને ઓળખે છે. હકીકતમાં જાતને ઓળખવા માટે એની પાસે બાહ્યદૃષ્ટિ નહીં, કિંતુ આંતરદૃષ્ટિ જોઈએ. એ આંતરદૃષ્ટિથી જ એ પોતાની જાતને પૂરેપૂરી જાણી શકે છે અને ‘હું કોણ છું ?’ તેનો ઉત્તર પામી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !

ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કરુણા જન્મતી નથી, મૃત્યુ

પામતી નથી

માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો ? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે એ કરુણા કોઈ નિમિત્તથી વિસરાઈ જતી નથી. આમ છતાં માનવ કરુણામય જીવનને બદલી સ્વાર્થી જીવન કેમ જીવે છે ? અંગત લાભને ખાતર અન્યને હાનિ કરતાં કેમ અચકાતો નથી ? પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે એ કોઈ પણ દાનવી કે અમાનવીય સાધન અજમાવતાં કેમ અચકાતો-ખચકાતો નથી ? આ બધી ક્ષણોએ એના હૃદયમાં કરુણા તો વહેતી જ હોય છે. માત્ર એના પર અવરોધ કે આવરણ આવી ગયું હોય છે. આકાશમાં સૂર્ય તો સદા ચમકતો હોય છે. એની આગળ વાદળોનું આચ્છાદન થાય તો સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી કે સૂર્ય સંપૂર્ણપણે અસ્ત કે નષ્ટ થયેલો છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે ભેદ એ છે કે કરુણા જન્મતી નથી અને મૃત્યુ પામતી નથી. ક્રૂરતા જન્મે છે અને મૃત્યુ પામે છે. ક્રૂરતા ક્યારેક પ્રગટ થાય છે અને કરુણા પર આવરણ નાખી દે છે, પરંતુ એ ક્રૂરતા દૂર થશે એટલે તરત જ કરુણા આપોઆપ અનુભવાશે. ક્રૂરતાને પ્રગટવા માટે કારણ જોઈએ. કોઈ આધાર કે સાધન જોઈએ, કરુણાને પ્રગટાવવાની હોતી નથી, એ તો માનવહૃદયમાં અવિરતપણે વહેતી હોય છે.

શોક અંગત હોય છે, કરુણા સાર્વત્રિક છે. શોકમાં દુ:ખ છે, કરુણામાં સ્નેહ છે. સ્વજનના મૃત્યુથી શોક થાય છે, કોઈ પરાયાની પીડા જોઈને કરુણા જાગે છે. શોકને ‘સ્વ’ની સીમા વળગેલી છે, કરુણા પાસે ‘સર્વ’ પ્રત્યે અસીમ સંવેદના હોય છે.

કુમારપાળ દેસાઈ