Categories
વાચન સમૃદ્ધિ

ચોવીસ કલાક પછી

સૂફી ફકીર જુનૈદને એના ગુરુએ એક શિખામણ ગાંઠે બંધાવી. ગુરુએ એને કહ્યું કે ‘કોઈ વ્યક્તિ કશું બોલે, ત્યારે તત્કાળ પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતો નહીં. કોઈ ગુસ્સે થઈને ગમે તેટલા અપશબ્દો કહે, તોપણ તરત એની સામે જવાબ આપવા જઈશ, તો તું તારો વિવેક અને મર્યાદા બંને ખોઈ બેસીશ. આથી ત્વરિત ઉત્તર આપવાને બદલે થોડા સમય પછી ઉત્તર આપજે, કારણ કે ઉત્તર આપવાને માટે આપણા મનને સારાસારનો વિચાર કરવાની પૂરતી તક આપવી જોઈએ.’ એમાં પણ ફકીર જુનૈદને કહ્યું કે, ‘કોઈ તારા પર અત્યંત કોપાયમાન થાય, ખૂબ ગુસ્સે થાય, એનાં ભવાં ચડી જાય, એની આંખો લાલઘૂમ થઈ જાય અને હાથની મુઠ્ઠીઓ વાળીને એ બોલે, ત્યારે પણ તું એના અપશબ્દો, આરોપો કે આક્ષેપોનો તરત ઉત્તર આપવાને બદલે ચોવીસ કલાક બાદ ઉત્તર આપજે.’ પોતાના ગુરુની સલાહ સ્વીકારીને જુનૈદે સાધના કરવા માંડી. એક વાર એના વિરોધીઓએ આવીને એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. કેટલાય અણછાજતા આક્ષેપો કર્યા. એનો આશય એટલો હતો કે જુનૈદ ગુસ્સે થાય અને ઉશ્કેરાઈને ફકીરને ન છાજે એવું દુર્વર્તન કરે. આવે સમયે જુનૈદ મૌન રહેતા. ગુરુએ આપેલી શિખામણનું સ્મરણ કરતા અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા પેલા માણસને કહેતા, ‘ભાઈ, હું તારી સઘળી વાતનો આવતીકાલે જવાબ આપીશ.’ બીજે દિવસે એ વ્યક્તિ ઉત્તર માટે ઉપસ્થિત થતી, ત્યારે જુનૈદ એને એટલું જ કહેતા કે ‘હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી.’ આ જોઈને અપશબ્દો બોલનારી વ્યક્તિ એમને પૂછતી કે, ‘ગઈકાલે મેં તમારા પર ક્રોધ કરીને અપશબ્દોનો મારો વરસાવ્યો, છતાં તમે એના પ્રતિઉત્તર તરીકે કશું ન બોલ્યા. માત્ર મૌન રાખ્યું. તમને હું સમજી શકતો નથી.’ જુનૈદે કહ્યું, ‘મારા ગુરુએ મને સૂચવ્યું છે કે એવી વ્યક્તિ તારા પર ગુસ્સે થાય, તો ચોવીસ કલાક પછી ઉત્તર આપજે. એ દરમિયાન તારા ગુસ્સાના કારણમાં સચ્ચાઈ હોય તો તેને સ્વીકારું છું અને તેં ખોટા ઇરાદાથી ગુસ્સો કર્યો હોય, તો ચોવીસ કલાકમાં ગુસ્સો ઓગળી જતાં ક્ષમા આપું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

કંપની અને કુટુંબ જુદાં છે !

એક જ માનવીએ બે રૂપ ધારણ કરવાનાં હોય છે. કંપનીનો કારોબાર કરતી વખતે એ જેવો હોય છે, તેવો ઘરના કારોબાર સમયે ન હોવો જોઈએ. કંપનીમાં કાર્યસિદ્ધિ એ એનું અંતિમ ધ્યેય હોય છે. ઘરમાં પ્રેમપ્રાપ્તિ એ એનું પરમ લક્ષ્ય હોય છે. કંપનીમાં એ ‘બૉસ’ હોય છે. ઘરમાં એ મોભી હોય છે. કંપની અને ઘર ચલાવવાની પદ્ધતિમાં ભિન્નતા હોય છે. કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ ઘરના મૅનેજમેન્ટમાં અપનાવે, તો ઘરમાં મહાઉલ્કાપાત સર્જાય, કારણ એટલું  જ કે કંપનીની રીતરસમ અને ઘરની જીવનશૈલી સર્વથા ભિન્ન હોય છે. આથી કંપનીના ચૅરમૅન ઘરના ઉંબરામાં પગ મૂકે, તે પહેલાં એણે ચૅરમૅનપદના બોજમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પતિ કે પુત્ર જ્યારે ચૅરમૅન બનીને કંપનીના પ્રવેશદ્વારે પ્રવેશે, ત્યારે એણે પતિના પ્રેમ અને પુત્રના સ્નેહને બહાર મૂકીને પ્રવેશવું જોઈએ. બને છે એવું કે શૅરબજારનો વેપારી ઘરમાં પણ શૅરબજારની રીતરસમથી જીવે છે અને પરિણામે એના સંસારજીવનમાં સ્નેહથી મંદીનો સપાટો જ અવિરત ચાલ્યા કરે છે. કંપની જેમ સૂત્રધાર બૉસની રાહ જુએ છે, એમ ઘર વાત્સલ્યભર્યા પિતા, પ્રેમાળ પતિ કે આજ્ઞાંકિત પુત્રની રાહ જુએ છે. ઘરમાં તમારા હોદ્દાનું મહત્ત્વ નથી, પણ સ્નેહની ગરિમા છે. વ્યક્તિના જીવનની સૌથી મોટી કસોટી એ છે કે એ કેવી કુશળતાથી પોતાની ભૂમિકા ભજવતી રહે છે. એક ભૂમિકા સાથે બીજી ભૂમિકાની ભેળસેળ થઈ જાય તો મોટો વિખવાદ કે વિસંવાદ ઊભો થાય છે, આથી ઑફિસમાં બૉસ તરીકે એ આદેશ આપતી હોય અને આજ્ઞાંકિત પુત્ર તરીકે પિતાની વાત શિરોધાર્ય કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યપદ્ધતિનું સ્મરણ

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ (૧૮૫૮થી ૧૯૧૯) રિપબ્લિકન પક્ષ તરફથી ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા. એ પછી પ્રમુખના નૌકાદળના મદદનીશ સચિવ બન્યા. અમેરિકાની સ્પેન સાથેની લડાઈમાં એમણે યશસ્વી વિજય અપાવ્યો અને ન્યૂયૉર્કના ગવર્નર થયા બાદ થિયોડોર રૂઝવેલ્ટ ૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખપદે રહ્યા. આ સમય દરમિયાન એમણે મોટાં મોટાં વ્યાપારી-ગૃહોની સત્તાને પડકાર ફેંક્યો. પનામા નહેર ખોદીને એમણે આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે અમેરિકન નૌકાકાફલો જઈ શકે તેવી નહેર બનાવી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવ ધરાવનારા થિયોડોર રૂઝવેલ્ટે રશિયા અને જાપાન વચ્ચેનું યુદ્ધ બંધ કરવામાં અને સંધિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અનેક કપરા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેતી વખતે થિયોડોર રૂઝવેલ્ટના દિવસો મૂંઝવણમાં પસાર થતા. તેઓ ચિંતિત હોય ત્યારે ખુરશી પર ટેકો દઈને બેસી રહેતા. એ પછી અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં તેમના ડેસ્ક પાછળ ટીંગાડેલા અબ્રાહમ લિંકનની મોટા કદની તસવીર તરફ થોડી વાર જોઈ રહેતા. તેઓ વિચારતા કે અબ્રાહમ લિંકને કેવી દૃઢતા અને નિર્ભયતાથી અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. સાહસિક નિર્ણયશક્તિ દાખવીને લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. કેવા સંઘર્ષો ખેડીને એમણે દેશહિતના નિર્ણયો કર્યા. આમ અબ્રાહમ લિંકન એમના પ્રેરણાસ્રોત હતા અને પછી તસવીર નિહાળ્યા બાદ થિયોડોર રૂઝવેલ્ટ પોતાની જાતને પ્રશ્ન કરતા, ‘મારી જગાએ અબ્રાહમ લિંકન હોય તો શું કરે? આ સમસ્યાનો તેઓ કઈ રીતે ઉકેલ શોધે ?’ અને પછી અબ્રાહમ લિંકનના ગુણો અને કાર્યપદ્ધતિનું સ્મરણ કરતાં એમને કપરી પરિસ્થિતિ પાર કરવાનો ઉકેલ મળી રહેતો.