Categories
વાચન સમૃદ્ધિ

શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ

તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટાટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જકડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સૂતા હતા એટલે હવે આજે મોડા ઊઠીશું, એમ માનીને ભરબપોરે ઊઠનારાઓની સંખ્યા ઓછી નથી, પણ તેઓની ઊંઘ એ માત્ર મન મનાવવા માટેની ઊંઘ છે. એમનું શરીર તો ક્યાંરનુંય જાગી ચૂક્યું હોય છે, પરંતુ એ વ્યક્તિ જાગ્રત થવાને બદલે માનસિક નિદ્રાધીનતા વધુ પસંદ કરે છે. આપણે આપણા નિયમોથી શરીરને બંધનમાં રાખીએ છીએ અને પરિણામે ભૂખ, તરસ, નિદ્રા જેવી સામાન્ય બાબતો અંગે પણ સહજતા કેળવી શક્યા નથી. શરીરની પ્રકૃતિને પણ ઓળખવાની જરૂર છે. એને ઓળખીને શરીરને પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવવાની મુક્તતા આપવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો પોતાના શરીરને નિયમોના એવા બંધનમાં બાંધી દે છે કે શરીર થાક્યું હોય, તોપણ નિયમને કારણે એની પાસેથી બળજબરીથી કામ લે છે. વળી એ ઓળખી શકતા નથી કે ઉંમર વધતાંની સાથે શરીરની પ્રકૃતિ પણ પલટાય છે. સિત્તેર વર્ષના શરીર પાસેથી સત્તર વર્ષના શરીર જેવી જ કામગીરી ન લેવાય. માનવીએ પોતાના શરીરના સંગીતના બદલાતા તાનને અને વીસરાતા સૂરને એકધ્યાને સાંભળવાની જરૂર છે. શરીરના સંગીતને નહીં સાંભળનારાના જીવનમાં સૂર બેસૂરા બની જાય છે અને એમાંથી નીકળતું સંવાદિતાનું સંગીત ખોરવાઈ જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

માણસનાં મૂળ

માર્ક્સ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ-ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમનાં દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, ‘બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે જતનથી જાળવજે.’ બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયાં, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સુકાઈ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ જેવો બની ગયો હતો. દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં ? ત્યારે માઓએ કહ્યું, ‘દાદીમા, હું રોજ આ પાંદડાંઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સુકાઈ ગયાં !’ દાદીમાએ કહ્યું, ‘બેટા, પાંદડાં લૂછવાથી કે રોટલીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઈએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળ અને એની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે અને વધતાં રહે છે.’ માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, ‘દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે ?’ દાદીમાએ ઉત્તર આપ્યો, ‘મનના સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.’ માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાનાં મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને શક્તિશાળી બનાવશે. આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી

આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજકીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની ક્રૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળિંબદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થૂળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.