Categories
વાચન સમૃદ્ધિ

શરીરની ઘડિયાળના કાંટાનો

અવાજ સાંભળીએ ——–

સમય બતાવતી ઘડિયાળ જોનારા માનવીએ શરીરની ઘડિયાળ પણ જોવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમયની ઘડિયાળ સાથે શરીરની ઘડિયાળને કચકચાવીને બાંધી દે છે. એ નિર્ધાર કરે છે કે ગમે તે થાય, તોપણ સવારે પાંચ વાગે ઊઠી જવું અને ઠંડા પાણીએ સ્નાન કરવું. કડકડતી ઠંડી હોય તોપણ એ કોઈ જક્કી કે હઠાગ્રહીની માફક પોતાના ‘સંકલ્પ’નું પાલન કરે છે. આમ કરવાની એના શરીરને નામરજી હોય, તો એ શરીરને ચાબુક મારીને જગાડે છે અને કોઈ સરમુખત્યારની માફક એને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવે છે. ઊંઘ અધૂરી રહેતી હોય, શરીરનો થાક ઊતર્યો ન હોય તોપણ એ નિયમભંગ કરવા ચાહતો નથી, નિયમ એટલે નિયમ. એમાં ક્યારેય ટસથી મસ થવાનું ન હોય એમ માનનારા લોકો જીવનની સ્ફૂર્તિ અને આનંદને ગુમાવે છે અને નિયમની જડતાને પકડી ઊછળકૂદ કરતા હોય છે. અધૂરી ઊંઘને કારણે એમના સ્વભાવમાં અકળામણ આવશે, દિવસ દરમિયાન એ અકળામણ ગુસ્સાનું સ્વરૂપ લેશે. શરીરને પૂરતો આરામ મળતો નહીં હોવાથી એ વહેલા થાકી જશે, પરંતુ બધી બાબતમાં એ સમયની ઘડિયાળને પૂછે છે, શરીરની ઘડિયાળની કોઈ પરવા કરતા નથી. હકીકતમાં વ્યક્તિએ નિદ્રાનો સમય નક્કી કરવા માટે ઘડિયાળના કાંટાને નહીં, પણ પોતાના શરીરની ઘડિયાળને પૂછવું જોઈએ. શરીરની ઘડિયાળ બરાબર ચાલે તે માટે સમયની ઘડિયાળના પાવરને બદલે અહીં આરામ અને પૂરતી નિદ્રાની જરૂર છે. વ્યક્તિએ પોતાના શરીરની ઘડિયાળને લક્ષમાં રાખીને નિદ્રાનો સમય નક્કી કરવો જોઈએ. ક્યારે ઊઠવું અને ક્યારે સૂઈ જવું, એ ઘડિયાળને બદલે શરીરના હાથમાં સોંપવું જોઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સાચી સિદ્ધિ છે સેવામાં !

દીર્ઘ સાધના બાદ પ્રાપ્ત સિદ્ધિથી બંને સાધુઓ પ્રસન્ન હતા, કિંતુ એમનામાં સાધનાના ગૌરવને બદલે એનો ગર્વ જાગ્યો અને પ્રાપ્ત સિદ્ધિઓનો અહંકાર ઘેરી વળ્યો. એક વાર આ બંને સાધુઓ એક સ્થળે ભેગા થઈ ગયા. બંનેના અહમ્ ટકરાયા. તરત જ તેમના અનુયાયીઓ સામસામા આવી ગયા. સવાલ એ જાગ્યો કે આ બંને સાધુઓમાં કોની સાધના ચડિયાતી ગણાય ?

પહેલા સાધુએ પોતાનું સિદ્ધિસામર્થ્ય દર્શાવતાં કહ્યું કે, ‘મારી પ્રબળ સાધનાને પરિણામે મેં અદભુત શક્તિ મેળવી છે. હું આકાશમાં ઊડી શકું છું.’

આમ કહીને એ સાધુએ ધ્યાન લગાવ્યું. ધીરે ધીરે તેઓ જમીનથી વધુ ને વધુ ઊંચે થવા લાગ્યા અને થોડી વારમાં તો આકાશમાં ઊડવા લાગ્યા. પહેલા સાધુની સિદ્ધિની મજાક ઉડાવતાં બીજા સાધુએ કહ્યું, ‘મારી પાસે એથીય વધુ અદભુત વિદ્યા છે. પાણીભર્યા સરોવરની વચ્ચે હું પલાંઠી વાળીને બેસીશ અને એથીય વિશેષ મારું શરીર એ પાણીથી સહેજે ભીંજાશે નહીં; જળકમળવત્ રહેશે.’

બીજા સાધુએ સરોવરની વચ્ચે પાણીમાં પલાંઠી લગાવી અને પાણીથી ભીંજાયા વિના પાણી મધ્યે બેઠા. સ્પર્ધા થઈ પણ પરિણામ ન આવ્યું. બંને વચ્ચે શ્રેષ્ઠ કોણ એનો ચુકાદો હજી બાકી હતો, આથી બંને એક તપોનિષ્ઠ સાધુ પાસે ગયા. એ સાધુ વૃક્ષ નીચે બેસીને અનાથ બાળકોને વિદ્યા આપતો હતો. વિકલાંગોને મદદ કરતો હતો, દુ:ખીઓને આશ્રય અને નોંધારાને આધાર આપતો હતો. પેલા બંને સાધુએ આ તપસ્વીને પોતાની સિદ્ધિની મહત્તા બતાવી, ત્યારે તપસ્વીએ જવાબ આપ્યો, ‘જુઓ ! આકાશમાં ઊડવાનો જાદુ એક નાનકડી ચકલી પણ કરી શકે છે. પાણીમાં  ભીના થયા વિના રહી શકવાની શક્તિ નાની માછલી પણ ધરાવે છે. આમાં કઈ મોટી શક્તિ અને સિદ્ધિ તમારી ગણાય ? આવી શક્તિ તો ચકલી અને માછલી જેવી ગણાય.’

બંને સાધુઓને સત્ય સમજાયું. એમણે આ મહાયોગીને પૂછ્યું, ‘આપ જ કહો કે સાચી સિદ્ધિ કઈ કહેવાય ?’

યોગીરાજે કહ્યું, ‘આકાશમાં ઊડવાથી કે સરોવરના પાણીથી અસ્પૃષ્ટ રહેવાથી કશું સધાશે નહીં. સાચી સિદ્ધિ તો ધરતી પર વસે છે એ સંતપ્ત માનવીઓની સેવા કરવામાં અને આત્મ-ઓળખમાં છે, એ બીજા કશામાં નથી.’

સિદ્ધિની પાછળ ઘેલા બનેલા સાધુ હોય કે પછી સિદ્ધિ-ચમત્કારો કરી આપનારા યોગી હોય, એનું સમાજને કશું કામ નથી. સમાજ તો સાચા સાધુને ઝંખે છે કે જે પોતાના આત્મકલ્યાણની સાથે જગતકલ્યાણની પ્રવૃત્તિ કરે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મન શયન કરે, તો નિદ્રા આવે !

આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.

એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન  થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.

વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.

માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.

કુમારપાળ દેસાઈ