Categories
વાચન સમૃદ્ધિ

કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાંનો ભારો બાંધતો. એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાંનો ભારો બાંધતા હતા. થોડાં લાકડાં બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાંનો ભારો તમે પોતે બાંધ્યો છે ?’ છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’ સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?’ છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને  અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે હતો ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરુણાના સંદેશવાહક

અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.