Categories
વાચન સમૃદ્ધિ

આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી

ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

કૃતિ એ જ સર્વસ્વ

બ્રિટનના વિખ્યાત શિલ્પકાર સ્ટોરીની વિશેષતા એ હતી કે તે એવી મૂર્તિઓનું નિર્માણ કરતો કે જાણે એ વ્યક્તિ સાક્ષાત્ જીવંત લાગતી. એનાં શિલ્પોને સહુ ‘બોલતાં શિલ્પો’ કહેતા, કારણ કે વ્યક્તિના ચહેરાને પથ્થરમાં કંડારીને એને જીવંત કરવાની એની પાસે બેનમૂન કલા હતી. શિલ્પી સ્ટોરીએ બ્રિટનના રમણીય ઉદ્યાનમાં મૂકવા માટે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું સર્જન કર્યું. આની પાછળ અથાગ પરિશ્રમ કર્યો. એના ચહેરાની રેખા પથ્થરમાં પ્રગટે એ માટે રાત-દિવસ મહેનત કરી. ઉદ્યાનમાં એ શિલ્પનું અનાવરણ કરવાનું નક્કી થયું અને સહુએ એક અવાજે કહ્યું કે આ અદભુત શિલ્પની અનાવરણ વિધિ આવા અનુપમ શિલ્પીના હસ્તે થવી જોઈએ, જેણે આવી કલા કંડારી, એને આ બહુમાન મળવું જોઈએ. દેશમાં આવા કલાકાર વિરલા છે. આવી કલાપ્રતિભા પણ ક્યાં જડે છે. સ્ટોરીનું સન્માન એ દેશની કલાનું સન્માન છે. રમણીય ઉદ્યાનમાં મોકાની જગ્યાએ જ્યોર્જ પિવોડીની મૂર્તિની અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અનાવરણ કરતાં પૂર્વે સહુએ પ્રવચનો કર્યાં.  જનમેદનીના હર્ષનાદ વચ્ચે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું અનાવરણ થયું અને શિરસ્તા મુજબ સ્ટોરીને પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. સ્ટોરીની કલાસાધનાની રોમાંચક કથા સાંભળવાની સર્વત્ર જિજ્ઞાસા હતી. સહુ કાન માંડીને બેઠા હતા. ત્યારે શિલ્પકાર સ્ટોરીએ એ મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘બસ, આ જ છે મારું ઉદઘાટન-પ્રવચન.’ આટલું કહીને એ સ્વસ્થાને બેસી ગયો. હર્ષધ્વનિ કરતા લોકો સમજ્યા કે કલાકારની સમગ્ર કૃતિ એ જ એનું આખું પ્રવચન હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને થતી આત્મહત્યા

માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.