Categories
Uncategorized વાચન સમૃદ્ધિ

અહંકાર આવે એટલે ભક્તિ ઓગળી જાય

એક વાર શ્રીકૃષ્ણ અર્જુન સાથે ફરવા નીકળ્યા. એવામાં એક બ્રાહ્મણને સૂકું ઘાસ ખાતો જોયો. એની અહિંસક વૃત્તિ જોઈને અર્જુનને આદર થયો, પરંતુ એણે કેડે બાંધેલી તલવાર જોઈને અતિ આશ્ચર્ય થયું. બ્રાહ્મણને પૂછ્યું, તો એણે કહ્યું, ‘હું ભગવાન શ્રીકૃષ્ણની એકનિષ્ઠ ઉપાસના કરું છું, પરંતુ મારે ચાર વ્યક્તિઓને એમના ગુનાની સજા કરવી છે. એમને માટે આ તલવાર રાખી છે. જો એ મળે તો આ તલવારથી એમનું મસ્તક ઉડાવી દઈશ.’ શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હોવાનો અહંકાર ધરાવતા અર્જુને જિજ્ઞાસાથી પૂછ્યું, ‘આટલો બધો ક્રોધ શાને ? કોણ છે એ ચાર વ્યક્તિઓ ?’ બ્રાહ્મણે કહ્યું, ‘જગતને તારનાર અને આતતાયીઓના સંહારક શ્રીકૃષ્ણને ખલેલ પહોંચાડનાર પ્રથમ વ્યક્તિ છે નારદ. બસ, એમને મન થાય એટલે શ્રીકૃષ્ણ પાસે પહોંચી જાય. સતત ભજન-કીર્તન કરી જાગતા રાખે. એમના આરામનો લેશમાત્ર ખ્યાલ ન રાખે.’અર્જુને કહ્યું, ‘વાત તો તમારી સાચી છે. બીજી વ્યક્તિ કોણ છે કે જેના પર તમે કોપાયમાન છો ?’ બ્રાહ્મણે કહ્યું, ‘બીજી વ્યક્તિ છે દ્રુપદની પુત્રી દ્રૌપદી. ભગવાન ભોજન આરોગતા હતા અને એમને પોકાર કરીને દ્રૌપદીએ બોલાવ્યા. શ્રીકૃષ્ણને ભોજન છોડીને તત્કાલ દોડવું પડ્યું. દુર્વાસા ઋષિના શાપમાંથી પાંડવોને ઉગાર્યા પણ ખરા. અરે ! આ દ્રૌપદીની ધૃષ્ટતા તો કેવી ? એણે પોતાનું વધ્યું-ઘટ્યું અન્ન પ્રભુને ખવડાવ્યું. જો આ ધૃષ્ટ દ્રૌપદી મળે તો એની બરાબર ખબર લઈ નાખીશ.’

અર્જુને કહ્યું, ‘સાવ સાચી વાત ભક્તરાજ, દ્રૌપદીએ શ્રીકૃષ્ણને ઘણી પીડા આપી છે. ત્રીજી વ્યક્તિ કોણ છે ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે હૃદયહીન પ્રહલાદ. એણે મારા પ્રભુને ગરમ તેલવાળી કડાઈમાં પ્રવેશ કરાવ્યો. હાથીના પગ નીચે કચડાવ્યા અને થાંભલામાંથી પ્રગટ થવા માટે વિવશ કર્યા.’ અર્જુને કહ્યું, ‘બરાબર. એણે પ્રભુને પારાવાર પરિતાપ આપ્યો.’ બ્રાહ્મણે કહ્યું, ‘આ ત્રણનો ગુનો તો ઠીક છે, પણ ચોથાના ગુનાને તો કોઈ રીતે માફ કરી શકાય તેમ નથી.

અર્જુને પૂછ્યું, ‘કોણ છે એ અક્ષમ્ય અપરાધ કરનાર ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે બાણાવાળી અર્જુન. મારા પ્રિય ભગવાનને એેણે પોતાના રથના સારથિ બનાવ્યા. આનાથી વધુ વિવેકહીન નિકૃષ્ટ અપરાધ બીજો કયો હોઈ શકે ?’ અર્જુન તો આ બ્રાહ્મણનાં વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયો. અપ્રતિમ કૃષ્ણભક્તિ હતી તેની. અર્જુનના મનનો ગર્વ ગળી ગયો. ભક્તિમાં જેટલી સાહજિકતા એટલી એની ઊંચાઈ વધુ. એમાં જ્યારે પ્રદર્શન કે અહંકાર આવે, ત્યારે ભક્તિ એ ઈશ્વરભક્તિ બનવાને બદલે આત્મભક્તિ બની જાય છે. સાચો ભક્તિવાન કદી અહંકાર કરતો નથી, કારણ કે એની પાસે એનું પોતાનું તો કશું હોતું નથી, કિંતુ પૂર્ણપણે સમર્પણશીલ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સંપૂર્ણતાની ઇચ્છા સાથે …

અપૂર્ણતાને આવકારીએ

સામાન્ય રીતે આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે આપણી આસપાસનું જીવન ગોઠવાય તેવો આગ્રહ રાખીએ છીએ. આ આગ્રહ મોટા ભાગે હઠાગ્રહમાં પરિણમે છે. પત્નીએ આમ જ બોલવું જોઈએ, પુત્રે આમ જ વર્તવું જોઈએ અને કુટુંબીજનોએ આમ જ કરવું જોઈએ એમ માનીએ છીએ. એ જ રીતે આપણા વ્યવસાયમાં પણ આપણે સતત દૃઢાગ્રહ સેવીએ છીએ કે આ કામ તો આ જ રીતે થવું જોઈએ અથવા તો આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ.

માનવી આસપાસની પરિસ્થિતિને પણ પોતાની ઇચ્છાનુકૂળ કરવા માગે છે. એ નસીબને પણ કહે છે કે તારે મને આટલું આપવું જોઈએ. આમ બધી બાબતમાં એ અન્યને અનુકૂળતા સાધવાનું કહે છે. પોતાનાં બધાં જ વલણો અને અભિપ્રાયોને મનસ્વી રીતે ગોઠવે છે અને આસપાસની દુનિયા એ પ્રમાણે જ વર્તે તેવી કઠપૂતળીનો ખેલ કરનાર સૂત્રધાર જેવી ભાવના રાખે છે, પરંતુ આ સમગ્ર સ્થિતિને જુદી દૃષ્ટિએ જોવાની જરૂર છે. સંપૂર્ણતાના આગ્રહની સાથે અપૂર્ણતાને સ્વીકારતાં શીખવું જોઈએ. પોતાની લાકડીથી જગતને હાંકવા જનારની અંતે લાઠી પણ છીનવાઈ જાય છે.

એકાદ દિવસ વ્યક્તિ પોતે જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ થવા કોશિશ કરે તો એને એક જુદો જ અનુભવ થશે. મારી ધારણા પ્રમાણે નહીં, પરંતુ આસપાસની વાસ્તવિકતા અને હકીકતનો સ્વીકાર કરીને એ જો જીવવાનો વિચાર કરે તો એને જુદી જ અનુભૂતિ થશે. જે છે તેની સાથે અનુકૂળતા સાધવાથી એક પ્રકારનો સ્વીકારભાવ કેળવાશે અને એથી સતત અસ્વીકારભાવને કારણે થતી પીડામાંથી મુક્તિ મળશે. ક્યારેક એવી પણ અજમાયશ કરીએ કે કુટુંબ કે વ્યવસાયની જે પરિસ્થિતિ છે, તે સ્વીકારીને એમાંથી શાંત આનંદ પામીએ. અસ્વીકારની સતત ચાલતી આંતરવેદનામાંથી મુક્ત થઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વૈરાગ્ય માગે છે પ્રબળ સાહસ

વન તરફ જતા પુત્ર શુકદેવને પિતા વ્યાસે કહ્યું, ‘અરે પુત્ર ! તારો જન્મ થતાં જ તું વનમાં ચાલી નીકળ્યો ? થોડા દિવસ તો ઘરમાં થોભી જા. હું તારા થોડા સંસ્કાર તો કરું !આ સાંભળી શુકદેવે કહ્યું, ‘મારા પર જન્મજન્માંતરના અસંખ્ય સંસ્કાર થઈ ગયા છે. એને કારણે તો મારે ભવાટવીમાં વારંવાર ભટકવું પડ્યું છે. હવે આવી કોઈ બાબત સાથે હું નિસ્બત રાખવા માગતો નથી.

આ સાંભળી ગંભીર અવાજે વેદવ્યાસે કહ્યું, ‘તારે ચાર વર્ણાશ્રમનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ, તો જ તને મોક્ષ પ્રાપ્ત થઈ શકે.બાળક શુકદેવે કહ્યું, ‘જો માત્ર બ્રહ્મચર્યથી જ મોક્ષ થતો હોય, તો તે નપુંસકોને સદાય પ્રાપ્ત થવો જોઈએ. જો ગૃહસ્થાશ્રમથી મોક્ષ થતો હોય તો તો આખી દુનિયા મુક્ત થઈ ગઈ હોત. જો વાનપ્રસ્થોને મોક્ષ મળતો હોય તો બધાં પશુ-પક્ષી મોક્ષ પામ્યાં હોત. જો સંન્યાસથી મોક્ષ સાંપડતો હોય તો બધા દરિદ્રોને એ તત્કાલ મળી ગયો હોત.’

મહર્ષિ વ્યાસે કહ્યું, ‘સદગૃહસ્થોને માટે લોક અને પરલોક બંને સુખદ હોય છે. ગૃહસ્થનો સંગ્રહ હંમેશાં સુખદાયક હોય છે.’શુકદેવે કહ્યું, ‘સૂર્યમાંથી બરફ વરસે, ચંદ્રમાંથી તાપ નીકળવા માંડે, તો જ પરિગ્રહથી વ્યક્તિ સુખી થાય તેવું બને. પરિગ્રહની લાલસા રાખીને સુખી થવું તે ત્રણે કાળમાં સંભવ નથી.’મહર્ષિ વ્યાસે કહ્યું, ‘બાળક ધૂળમાં રગદોળાતો હોય, ઝડપથી ચાલવાની કોશિશ કરતો હોય અને કાલુંઘેલું બોલતો હોય તો એ સહુને અપાર આનંદ આપે છે.’

શુકદેવે કહ્યું, ‘ધૂળમાં રમવાથી મેલાઘેલા બનેલા બાળક પાસેથી સુખ અને સંતોષની પ્રાપ્તિની કલ્પના કરવી તે સર્વથા અજ્ઞાનમૂલક છે. એમાં સુખ માનનારા માનવી જેવો બીજો કોઈ અજ્ઞાની હોતો નથી.’મહર્ષિ વ્યાસે કહ્યું, ‘તને એ તો ખ્યાલ હશે જ કે પુત્રહીન માનવી નરકમાં જાય છે.’શુકદેવે હળવેથી જવાબ વાળ્યો, ‘જો પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તો સુવ્વર અને કૂતરાઓને વિશેષ મળવું જોઈએ.’

વ્યાસદેવે કહ્યું, ‘પુત્રનાં દર્શનથી માનવી પિતૃઋણથી મુક્ત થાય છે. પૌત્રનાં દર્શનથી દેવ-ઋણથી મુક્ત થાય છે અને પ્રપૌત્રનાં દર્શનથી એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.’શુકદેવે કહ્યું, ‘લાંબી ઉંમર તો ગીધની હોય છે. તેઓ એમની ઘણી પેઢીઓ જોતા હોય છે. એમની આગળ આ પુત્ર કે પ્રપૌત્રની વાત બાલિશ લાગે. પણ ખબર નથી કે એમાંથી અત્યાર સુધી કેટલાએ મોક્ષ મેળવ્યો હશે.’આમ પિતા વ્યાસની પ્રત્યેક દલીલનો શુકદેવે પ્રત્યુત્તર આપ્યો.

શુકદેવના હૃદયમાં તીવ્ર વૈરાગ્યભાવ હતો તેથી પિતા વ્યાસની કોઈ દલીલ શુકદેવજીને અટકાવી શકી નહીં અને બાળ શુકદેવ વન તરફ ચાલી નીકળ્યા.વૈરાગ્ય એક સાહસ છે અને એ સાહસને માટે માનવહૃદયમાં દૃઢ સંકલ્પ જોઈએ. વૈરાગ્ય ત્યાગ માગે છે અને વ્યક્તિ જેમ અપેક્ષાઓ ઓગાળતો જાય છે, તેમ એના ભીતરનો વૈરાગ્ય પ્રગટતો જાય છે.

: કુમારપાળ દેસાઈ