Categories
વાચન સમૃદ્ધિ

સ્પૃહાવાન અમીર એ સૌથી

મોટો ગરીબ ————

ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ કણાદ ‘કણભૂક’ કે ‘કણભક્ષ’ તરીકે ઓળખાતા હતા. એમની આવી ઓળખનું કારણ એ કે ખેતરમાં અનાજ લણ્યા પછી ધરતી પર પડી રહેલા અનાજના કણનું જ તેઓ ભોજન કરતા હતા. કણાદ તરીકે ઓળખાયેલા આ મહર્ષિએ દસ અધ્યાય અને પ્રત્યેકમાં બે બે આહનિક ધરાવતા ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. ખેતરમાં પડેલા અન્નના કણ(દાણા)નું  ભોજન કરીને અખંડ વિદ્યાસાધના કરતા આ મહર્ષિ અત્યંત સંયમી જીવન જીવતા હતા. આ પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે પોતાના રાજ્યના આવા જ્ઞાની દાર્શનિક નીચે પડેલા દાણાનું ભોજન કરીને જીવે છે, તે વાત રાજાને પસંદ પડી નહીં. એમણે રાજ્યના મંત્રીને આદેશ આપ્યો કે મહર્ષિ કણાદને માટે તત્કાળ ઉત્તમ ભોજન મોકલાવો. ભાતભાતનાં પકવાન ધરાવતું ભોજન મહર્ષિ સમક્ષ મૂકવામાં આવ્યું, ત્યારે મહર્ષિએ આવું ભોજન લેવાની ના કહી. એમણે કહ્યું કે, ‘આની મારે કોઈ જરૂર નથી. તમે આ ભોજન ગરીબોને વહેંચી નાખજો.’ રાજાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને અકળામણ અને અધીરાઈ બંને થયાં. આ તે કેવા મહર્ષિ ? રાજા સ્વયં ભોજનસામગ્રી લઈને મહર્ષિ પાસે ગયા. મહર્ષિએ એ જ સાહજિકતાથી કહ્યું, ‘મારે આવા કોઈ ભોજનની જરૂર નથી. એને ગરીબોમાં વહેંચી દેજો.’ ગર્વભંગ થયેલા રાજવીએ કહ્યું, ‘ઓહ ! તમારાથી વધુ ગરીબ આ રાજ્યમાં બીજો કોણ હશે ? મહર્ષિ મૌન રહ્યા. રાજા મહેલમાં પાછા ફર્યા અને રાણીને સમગ્ર ઘટના કહી, ત્યારે રાણીએ કહ્યું, ‘મહારાજ, મહર્ષિ કણાદને ગરીબ કહીને તમે ઘણી ગંભીર ભૂલ કરી. એમની પાસે તો સુવર્ણસિદ્ધિ છે. કોઈ પણ ધાતુને સુવર્ણમાં પલટાવી શકે તેવી સિદ્ધિ. તમારે તો એમની પાસેથી આવી સુવર્ણસિદ્ધિ માગવાની જરૂર હતી.’ રાજાના મનમાં લોભ જાગ્યો એટલે મહર્ષિ પાસે આવીને ક્ષમાયાચના કરતાં કહ્યું, ‘હે મહર્ષિ ! કૃપા કરીને મને સુવર્ણસિદ્ધિ વિદ્યા શીખવો.’ ‘વાયુપુરાણ’ જેવો ગ્રંથ જેમને પ્રભાસપાટણના નિવાસી ગણાવે છે તેવા મહર્ષિ કણાદે કહ્યું, ‘હે રાજન્, થોડા સમય પહેલાં તમે મને ગરીબ કહેતા હતા. હવે કહો, ગરીબ તમે છો કે હું ? શું હું તમારે દરવાજે યાચના કરવા આવ્યો ખરો ? યાચના તો તમે કરો  છો.’ મહર્ષિ કણાદની વાત સાંભળીને રાજાનો ગર્વ ખંડિત થઈ ગયો.

હકીકત એ છે કે નિસ્પૃહી ઋષિ કરતાં સ્પૃહાવાન રાજા અતિ ગરીબ હોય છે. પોતાની ગરીબી કે ફકીરીમાં સંતોષથી જીવન જીવનાર કરતાં વધુ સમૃદ્ધિની સ્પૃહા રાખનાર અમીર વધુ ગરીબ હોય છે. ગરીબ આજના સંતોષ પર જીવતો હોય છે. અમીરની આજ સંતોષથી ભરેલી હોય છે અને એની આવતી કાલ વધુ સમૃદ્ધિ મેળવવાની ઝંખનાથી ઊગતી હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બાળપણની સ્મૃતિ જાગે છે

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા. કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એેને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તોપણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો. આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરે ધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં. અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી. શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. તમારા જેટલો હું  સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.’

અધ્યાપકો આશ્ર્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડ માંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદાં કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ રડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી જ્યારે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે આ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.’ પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

પોતે સહન કરેલી વેદના કે પરેશાની, બીજાને સહન કરવી ન પડે, તેની ચિંતા કરે, તે સાચો માનવ. અનુકંપા એ શીખવે છે કે બીજાના આત્મા પર  થનારી અસરનો વિચાર કરો. કોઈ લાચાર,  મજબૂર કે ગરીબ હોય, તો એની પરિસ્થિતિમાં તમારી જાતને મૂકીને જોતાં શીખો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ટીકાકારોની રુગ્ણ મનોવૃત્તિ

પર દયા કરજો ————-

સંવેદનશીલ વ્યક્તિને આલોચના અકળાવનારી લાગે છે, કારણ કે આલોચકે એને અકળાવવા માટે જ ટીકા-ટિપ્પણના તીવ્ર પ્રહાર કર્યા હોય છે. આવા ટીકાખોરની દૃષ્ટિ અન્યની ટીકા પર જ હોય છે અને તેથી એ હંમેશાં બીજાનું બૂરું જોવા ટેવાયેલા હોય છે. નઠારાની શોધ કરતો હોય છે અને તક મળે એ કોઈ ને કોઈ રીતે ટીકા કરતો હોય છે. સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જતા કેળવવાની હોય તો તે ટીકાખોરોનો સામનો કરવાની છે. ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી, પરંતુ એ ટીકાને વધુ ને વધુ જાહેર અને જાણીતી કરવાની કોશિશ કરે છે. કોઈક વાર કાનાફૂસીથી, કોઈક વાર છાનીછપની રીતે તો કોઈક વાર ખોટો રસ્તો અજમાવીને પણ એ પોતાના નિંદારસને તૃપ્ત કરતા હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજાની ટીકા કરવાનું હોય છે અને તેથી એ સમય જતાં પોતાના ટીકાકારોથી ઘેરાઈ જતો હોય છે ! ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછી પાડવાની શક્તિ ન હોય, ત્યારે તેની આલોચના કરીને એને પાછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. વ્યક્તિએ પણ આવા ટીકાખોરોની ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રુગ્ણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનસિક દુર્દશા માટે સહાનુભૂતિ કેળવવી જોઈએ અને ટીકાખોરોને જવાબ આપવાનો સૌથી મોટો માર્ગ પ્રગતિના પથ પર વધુ ને વધુ આગળ વધવાનો છે.

કુમારપાળ દેસાઈ