Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?

બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પરિચિત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ  ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના જીવનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુન: ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખુલ્લી આંખે જાગરણ

તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એેને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ  છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો. આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ જેમ એ આવરણો દૂર જાય છે, તેમ તેમ આત્મા પુન: પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકને એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય. જો દુનિયાની સફરે નીકળે અને દુન્વયી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્યજગતની જાણકારી મળશે, પણ એનું  આંતરજગત સાવ વણસ્પર્શ્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્ઘ યાત્રા જ એક માત્ર સહારો છે.