Categories
વાચન સમૃદ્ધિ

‘પીડ પરાઈ જાણે રે’

છત્રપતિ શિવાજીના મુખ્ય સલાહકાર અને સેનાપતિ પેશ્વા બાજીરાવ હતા. એક વીરપુરુષ તરીકે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા, એટલી જ ખ્યાતિ એક સજ્જન પુરુષ તરીકે તેમને વરી હતી. પરાક્રમી બાજીરાવ પેશ્વાએ માળવા પર આક્રમણ કરીને વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યો. યુદ્ધવિજય બાદ એમની સેના પાછી ફરતી હતી, ત્યારે રસ્તામાં સેના માટેનું અનાજ ખૂટી પડ્યું. એમણે સેનાના એક સરદારને સૈનિકો સાથે જઈને આસપાસનાં ખેતરમાંથી અનાજ લાવવા કહ્યું. સરદાર અને એના સૈનિકો ચોપાસ ઘૂમતા હતા, પણ હમણાં જ યુદ્ધ થયું હોવાથી ચોતરફ વિનાશ વેરાયેલો હતો. ઘણું શોધવા છતાં સરદાર અને સૈનિકોને ક્યાંય અનાજ મળ્યું નહીં. સરદાર ગુસ્સે ભરાયો. એવામાં એણે એક વૃદ્ધ ખેડૂતને આવતો જોયો. એને બોલાવીને રોફથી કહ્યું, ‘અરે, અમે બાજીરાવ પેશ્વાના બહાદુર સૈનિકો છીએ. વિજય મેળવીને પાછા ફરી રહ્યા છીએ, પરંતુ અમારી પાસેનું અનાજ ખૂટી ગયું છે. ચાલ,  અમને કોઈ સરસ ખેતર બતાવ કે જે ધાન્યથી ભરપૂર હોય. સરદાર અને એના સૈનિકો વૃદ્ધની સાથે ચાલ્યા. થોડેક દૂર ગયા અને સરદારે જોયું તો એક ખેતરમાં સુંદર પાક થયો હતો. એ જોઈને સરદારે સૈનિકોને કહ્યું, ‘જાઓ આ ખેતરમાં અને ઘઉં લઈ આવો.’ આ સાંભળી પેલા વૃદ્ધે સરદારને અટકાવતાં કહ્યું, ‘અરે ! આનાથી પણ એક સરસ મજાનું ખેતર છે. એમાં અનાજનો પાર નથી. એટલું બધું અનાજ પાક્યું છે કે તમે પ્રસન્ન  થઈ જશો. ખાધે ખૂટશે નહીં તેટલું  અનાજ છે.’ આમ કહી એ વૃદ્ધ સેના અને સરદારની સાથે આગળ  ચાલવા લાગ્યો. થોડેક દૂર  ગયા પછી એણે એક વિશાળ ખેતર બતાવ્યું. આ જોઈને સરદાર તાડૂકી ઊઠ્યો. એણે કહ્યું, ‘અલ્યા, કોઈ દગો તો કરતો નથી ને ! ક્યાં પેલું ખેતર અને ક્યાં આ ખેતર ! અહીં અનાજ છે, પણ પેલા ખેતર જેટલું નથી.’ વૃદ્ધે નમ્રતાથી કહ્યું, ‘સરદાર, હકીકતમાં અગાઉ જોયેલું ખેતર એ અન્યનું ખેતર હતું. જ્યારે આ મારું પોતાનું ખેતર છે. મારા ખેતરનું અનાજ ચાલ્યું જાય તો કોઈ વાંધો નથી, પરંતુ મારાથી બીજાને હાનિ પહોંચાડી શકાય નહીં. મારા ખેતરમાંથી ઇચ્છો તેટલો પાક લઈ લો.’ આ વૃદ્ધ ખેડૂતને લઈને સરદાર બાજીરાવ પેશ્વા પાસે આવ્યા અને એમને આખી ઘટના કહી. બાજીરાવ પેશ્વા વૃદ્ધના હૃદયની વિશાળતા અને પરોપકારપરાયણતા પર પ્રસન્ન થઈ ગયા. એેમણે કહ્યું, ‘આવી પરોપકારી વ્યક્તિ જ રાજ્યનો પાયો છે. જે પારકાને બચાવવા માટે પોતાનું સઘળું હોમવા તૈયાર થતી હોય. આ વૃદ્ધ ખેડૂતને મારું મંત્રીપદ આપું છું.’ સમય જતાં એ વૃદ્ધ એ બાજીરાવના પ્રસિદ્ધ મંત્રી રામશાસ્ત્રીના નામથી જાણીતા બન્યા.

એ જ વ્યક્તિ જીવન સાર્થક કરે છે, જે ‘પીડ પરાઈ જાણે’ છે. એ જ સ્વાર્થની સંકુચિત  દીવાલ તોડીને પરમાર્થના વિરાટ ગગનમાં વિહરે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

તોછડાં નામો વાપરનાર

ખૂની છે……………

કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિ’થી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસિયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે.  ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી’ તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’ કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટૂન’ કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક ‘ઉપનામ’થી બોલાવનાર વ્યક્તિ નિર્મળ માનસિકતા અને ક્ષુદ્ર વૈચારિકતા ધરાવે છે. એના મનમાં રહેલો તમામ વ્યક્તિઓ માટેનો તિરસ્કાર એના તોછડા શબ્દોમાં વ્યક્ત થાય છે અથવા તો પોતાની નિર્બળતાને ઢાંકવા કે અહમને પોષવા માટે એ તોછડાઈનો આશરો લે છે. જીવનની સ્થૂળતામાં રચ્યાપચ્યા અને સપાટી પર જીવતા આવા લોકોની વાણી એ એમના રુગ્ણ માનસનું પ્રગટીકરણ છે. સામેની વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ પ્રગટ કરવાનું માધ્યમ બને છે. આની પાછળ દુર્વૃત્તિ કામ કરતી હોય છે. વળી વ્યક્તિને ‘ડબ્બો’, ‘પંતુજી’, ‘લંબૂ’ કે ‘બામ’ એવાં નામોથી ઓળખીને એના સમગ્ર વ્યક્તિત્વને ઘોર અન્યાય કરીએ છીએ. એના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંની ઉપેક્ષા કરીએ છીએ. જેનું નવું ‘ઉપનામ’ પાડ્યું હશે, તેમને એના ઉપનામની ખબર પડશે ત્યારે બોલનાર તરફ તિરસ્કાર અને ધિક્કાર જાગશે. એના મનમાં એ વિશેનો ડંખ રહેશે. એ વ્યક્તિ પાસેથી તમે જે ચાહતા હશો તે મેળવી શકશો નહીં, બલકે ધીરે ધીરે એનાં દ્વેષ, ઉપેક્ષા અને ગુસ્સાનું કારણ બનશો. તમારા ઉદબોધનમાંથી આવી નકારાત્મકતા અને તિરસ્કારને ઓગાળી નાંખજો, નહીં તો તમને જ એ વ્યક્તિ માટે પ્રયોજાયેલા શબ્દનો બચાવ કરવો ભારે પડી જશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

માનવી એટલે તેજ-અંધારની

લીલા ————–

અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉમદા ચરિત્ર, દૃઢ મનોબળ, તીવ્ર બુદ્ધિમત્તા અને કાર્યક્ષમ વહીવટકર્તા હોવા છતાં એના શંકાશીલ માનસ અને ધાર્મિક કટ્ટરતાને કારણે મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બન્યો. એણે પિતાને કેદ કર્યા હતા, ભાઈઓ અને એમના પુત્રોની હત્યા કરી હતી. પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત યુદ્ધો ખેલતો રહ્યો. આ જ ઔરંગઝેબ રાજ્યના ધનને થાપણ સમાન માનતો હતો. ટોપીઓ ગૂંથીને અને કુરાનની નકલો કરીને અંગત આવક મેળવતો હતો. માંસ, કેફી પદાર્થો, મદિરા, જુગારખાનાં અને વેશ્યાગૃહો તરફ સખત નફરત ધરાવતો હતો અને ખૂબ મહેનતુ તથા મિતાહારી હતો.

એક વાર અમદાવાદના મહમ્મદ મોહસીન નામના કાઝીએ આવીને ઔરંગઝેબના દરબારમાં અદ્દલ ઇન્સાફની માગણી કરી. એણે બાદશાહ ઉપર એવો ઇલ્જામ મૂક્યો કે એમણે મારા પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાં ઘણા સમયથી વિના કારણે રાખી મૂક્યા છે. આ ઇલ્જામ સાંભળીને ઔરંગઝેબને પારાવાર આશ્ચર્ય થયું. કારણ એટલું કે એણે જિંદગીમાં ક્યારેય કોઈની પાસેથી પોતાના ખજાના માટે ઉધાર રકમ લીધી નહોતી, તો પછી આ પાંચ લાખ રૂપિયાની વાત આવી ક્યાંથી ? બન્યું હતું એવું કે શાહજહાંએ ગુજરાતના સૂબા તરીકે મુરાદને મોકલ્યો હતો, ત્યારે મુરાદે પોતાના નામના સિક્કા બહાર પાડવા માટે મહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. રાજના ખજાનામાં એ રકમ આવી ગઈ, પણ મુરાદની હત્યા થતાં એ સઘળી સંપત્તિ ઔરંગઝેબના શાહી ખજાનામાં આવી ગઈ. મહમ્મદ મોહસીને એનો દસ્તાવેજ રજૂ કર્યો એટલે બાદશાહ ઔરંગઝેબે કહ્યું, ‘મારો ગુનો કબૂલ. તમને અબી ને અબી રાજ-ખજાનામાંથી તમારી રકમ અદા કરવામાં આવશે.’ અને થોડીક ક્ષણોમાં જ પાંચ લાખની રકમની થેલીઓ રાજદરબારમાં હાજર થઈ, ત્યારે મોહસીનની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એણે કહ્યું, ‘જહાંપનાહ, આપનો આવો અદ્દલ ઇન્સાફ મારે માટે અમૂલ્ય છે. હવે મારે એ રકમ પાછી જોઈએ નહીં. આપ એને શાહી ખજાનામાં ફરીથી જમા કરો અને એ રકમ મને મળી ગઈ છે તેની આ પહોંચ સ્વીકારો.’

ન્યાય સત્યનો પૂજક છે. એ સત્યને જાળવવા માટે સઘળું સમર્પણ કરવા તૈયાર છે. ઔરંગઝેબ કટ્ટર ધર્મચુસ્ત હતો, પણ સાથોસાથ પોતે માનતો હતો તે મૂલ્યોને જીવનારો હતો.

કુમારપાળ દેસાઈ