Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખુલ્લી આંખે જાગરણ

તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એેને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ  છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો. આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ જેમ એ આવરણો દૂર જાય છે, તેમ તેમ આત્મા પુન: પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકને એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય. જો દુનિયાની સફરે નીકળે અને દુન્વયી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્યજગતની જાણકારી મળશે, પણ એનું  આંતરજગત સાવ વણસ્પર્શ્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્ઘ યાત્રા જ એક માત્ર સહારો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ખરીદીનો ખ્યાલ

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂર્વે ૪૬૯થી ઈ. સ. પૂર્વે ૩૯૯) એમ કહેતો કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ એનો એ આગ્રહ રહેતો કે એના તત્ત્વજ્ઞાનના વિચારો એના જીવનના આચરણમાં પ્રગટ થવા જોઈએ, કારણ કે જીવન સાથે સંકળાયેલા ન હોય એવા વિચારોનું સૉક્રેટિસને માટે કોઈ મૂલ્ય નહોતું. એમનો એક વિચાર એવો હતો કે ડાહ્યો માણસ ક્યારેય ઉડાઉ ન હોય, એને ખ્યાલ હોય કે જીવનમાં આગોતરી જાણ કર્યા વિના મુશ્કેલીના દિવસો પણ આવતા હોય છે, આથી તે બચત કરતો હોય છે. આ તત્ત્વજ્ઞાની એમ કહેતો પણ ખરો કે મારી માતા દાયણ અને પિતા શિલ્પી હોવાથી મેં પણ એમના વ્યવસાયના ગુણો અપનાવ્યા છે. માતાના ગર્ભમાંથી દાયણ શિશુને બહાર કાઢે છે, તેમ પોતે જનમાનસમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. શિલ્પી જેમ પથ્થરમાં માનવઆકૃતિ કંડારે, એ જ રીતે એ માનવ-વ્યક્તિત્વને કંડારવાનું કામ કરે છે. આથી સૉક્રેટિસ જ્યારે ગ્રીસના સૈન્યમાં હતો, ત્યારે બીજા બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે બીજાઓની જેટલી જ ઝડપથી ચાલતો હતો. એણે ક્યારેય બૂટ પહેર્યા નહોતા. એ ઍથેન્સની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. અહીં કોઈ માણસ મળે અને કંઈક વાત શરૂ કરે એટલે એ પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો. ઍથેન્સની શેરીઓ અને એના બજારમાં વારંવાર ઘૂમતા સૉક્રેટિસને એનો એક મિત્ર બજારમાં મળી ગયો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આટલો બધો સમય બજારમાં ફર્યા કરો છો અને એકે ચીજવસ્તુ તો ખરીદતા નથી. તો પછી આમ શહેરની બજારોમાં આટલું બધું ઘૂમવાનો અર્થ શો ?’ તત્ત્વજ્ઞાની સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, હું બજારમાં ફરું છું અને ત્યાંની સઘળી ચીજવસ્તુઓને નિહાળું છું અને વિચારું છું કે હું મારા જીવનમાં કેટલી બધી ચીજવસ્તુઓ વગર ચલાવી શકું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે

આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે. એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ? એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો. તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે.