Categories
વાચન સમૃદ્ધિ

અંતરદ્વારમાં સહુને આવકારજો

સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’

કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.

સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’

યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’

વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ  અસાધારણ બની શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આત્માને જાણ્યા વિના ‘હત્યા’

કરવા દોડી જાવ છો :

કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ પોતાની આજની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી એનો દિવસ-રાત વસવસો કરતી હોય છે. રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે, પરંતુ આ વ્યક્તિ એ હકીકત વીસરી જાય છે કે તમે તમારી જિંદગીને ગમે તેટલી તિરસ્કારશો,

તોપણ તમારે એ જીવવાની તો છે જ. એને જેટલી ધિક્કારશો એટલી ધિક્કારની ભાવના તમારા દિલમાં આવશે અને તેથી સ્વજીવન ધિક્કારપાત્ર બનશે, પણ એથીય આગળ વધીને તમારી જીવનદૃષ્ટિ જ ધિક્કારભરી બની જશે.

આસપાસના માણસો અળખામણા લાગશે. વારંવાર એમના પર ક્રોધાયમાન થઈ જશો. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એમને કટુવચનો કે અપશબ્દો કહેશો. કોઈક વાર હિંસક હુમલો પણ કરી બેસશો, કારણ કે પોતાની જિંદગીને ધિક્કારનારને બીજાના જીવન માટે કશો આદર હોતો નથી. આથી વ્યક્તિનું મહત્ત્વનું કાર્ય એ સ્વજીવનને ચાહવાનું છે. જીવનમાં જે સ્થિતિએ હોય, જે શારીરિક શક્તિ-મર્યાદા ધરાવતો હોય, જે પારિવારિક પરિસ્થિતિ હોય, તેમને સ્વીકારીને એણે સ્વ-જીવનને ચાહવું જોઈએ. એનું સીધુંસાદું કારણ એટલું જ કે તમે જીવનને ચાહશો કે ધિક્કારશો, પરંતુ એ જીવન તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથે જ રહેવાનું છે. સહેજ વિપરીત પરિસ્થિતિ ઉદભવતાં વ્યક્તિ પોતાના વર્તમાન જીવન પ્રત્યે નિરાશ અને ઉદાસીન બની જાય છે. જીવન બોજરૂપ લાગતાં આત્મહત્યા ભણી દોરાય છે. તમે હજી તમારા ‘આત્મા’ને ચાહ્યો જ નથી, ત્યાં વળી એની ‘હત્યા’ કરવા કેમ ધસી જાવ છો ?

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાવણના મૃત્યુથી રામની આંખોમાં આંસુ !

રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લક્ષ્મણે શ્રીરામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, ‘મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો અવસર છે.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું, એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ ખરું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !

લક્ષ્મણે પૂછ્યું, ‘કેવો લાગે છે રાવણ ?’

રામે કહ્યું, ‘રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.’ લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, ‘દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ રડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.’ આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, ‘સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.’ રાવણનો આ ઉત્તર સાંભળીને લક્ષ્મણ સ્તબ્ધ બની ગયો. પોતાના દુશ્મનના સારા ગુણો ભાગ્યે જ કોઈને દેખાય છે. દુશ્મનને દાનવ ચીતરવો સહુને ગમે છે. શત્રુના દોષને ઘણા મોટા કરીને જુએ છે પછી એને વિશે અવગુણોનું કાળું ચિત્ર પોતાના મનમાં દોરે છે. આનાથીય એની વૈરભાવનાને સંતોષ થતો નથી, ત્યારે એ કાળા ચિત્ર પર લાગે કે ન લાગે, તોય વધુ કાળો રંગ લગાડે જાય છે. રામ અને રાવણ એકબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.

કુમારપાળ દેસાઈ