Categories
વાચન સમૃદ્ધિ

વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો

માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે. આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે. વાતચીત કરતી વખને જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે. સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનાર’ની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.

Categories
વાચન સમૃદ્ધિ

તું યાદ કરજે !

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.

Categories
વાચન સમૃદ્ધિ

જગત દેખાય, તો આત્મતત્ત્વ અગોચર રહે !

જેની અવિરત શોધ ચાલવી જોઈએ, તેનું સમૂળગું વિસ્મરણ થઈ જાય, તો શું થાય ? દેહની આસપાસ ઘૂમ્યા કરીએ અને આત્માની ઉપેક્ષા થાય, ત્યારે શું થાય ? ઇન્દ્રિયોના ઇશારે મનની દોડ ચાલતી હોય, ત્યારે આત્મતત્ત્વનાં એંધાણ પણ ક્યાંથી સાંપડે ? મનની દોડ કોઈ પદાર્થ તરફ સતત આકર્ષિત રાખે છે અને જ્યાં સુધી એનું અદમ્ય આકર્ષણ છૂટતું નથી, ત્યાં સુધી વ્યક્તિ ક્યાંય પહોંચી શકતી નથી. ઇંદ્રિયોના આશ્રયે ચાલતી મનની દોડ વ્યક્તિને ન તો જીવનની શાંતિ ભણી લઈ જાય છે કે ન તો પ્રાપ્તિની તૃપ્તિ ભણી. આવે સમયે આત્મતત્ત્વનું વિસ્મરણ થાય છે, જે આત્મઘાતક નીવડે છે. વિસ્મરણનો અંતિમ છેડો મરણ છે અને તેથી એ વ્યક્તિનું આત્મતત્ત્વ અંદરોઅંદર ગૂંગળાઈને મૃત્યુ પામે છે. આ આત્મતત્ત્વના અસ્તિત્વને ખોળવા માટે મથામણ કરવી પડે. જેઓ જીવનમાં આત્મતત્ત્વને પામવાની કોઈ કશ્મકશ કરતા નથી, એમને ભીતરમાં રહેલા આત્મતત્ત્વની કોઈ જાણ હોતી નથી. જીવનપર્યંત રણની રેતી જોનારને ઘૂઘવતા મહાસાગરની કલ્પના ક્યાંથી આવે ? એવી જ પરિસ્થિતિ દેહના સુખ, સંપત્તિની સમૃદ્ધિ અને ઇંદ્રિયોના ઉપભોગની પાછળ આત્મતત્ત્વનું વિસ્મરણ પામનારની હોય છે. જે દેહને જુએ છે, તેને આત્મા દેખાતો નથી. જે જગતને જુએ છે, તેને આત્મતત્ત્વ દેખાતું નથી. જો એને આત્મતત્ત્વ દેખાય તો પછી એને જગત દેખાતું નથી. આત્મતત્ત્વની ઓળખ એ માનવજીવનની પરમ પ્રાપ્તિ છે. સાધક હોય કે સામાન્યજન, એ પામે એટલે એનો બેડો પાર થઈ જાય. ભૌતિકતાને પાર વસેલી આધ્યાત્મિકતામાં આત્મતત્ત્વનો વાસ છે. એક વાર એનો સાક્ષાત્કાર થાય, ત્યારે આસપાસની દુનિયા પલટાઈ જાય છે અને એની અનાત્મબુદ્ધિ આથમી જાય છે.