Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે

ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ના તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મૂંગે મોંએ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરે ધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કૅન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર  આવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બૂટની જોડી

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકોની અહિંસક લડતના અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) (ઈ. સ. 1929થી 1968) પર ગાંધીજીનાં લખાણોનો અને એમની અહિંસાની વિચારધારાનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે અશ્વેત લોકોના અધિકારો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદ અને અલગતાવાદ આચરવામાં આવતો હતો, એનો એમણે વિરોધ કર્યો અને લાંબા સમય સુધી જાહેર બસવ્યવહારનો બહિષ્કાર પોકારીને માર્ટિન લ્યૂથર કિંગે લડતની આગેવાની લીધી. અમેરિકામાં વિવિધ પ્રદેશોમાં એમણે રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. 1963ની 28મી ઑગસ્ટે અઢી લાખથી વધારે લોકોએ અમેરિકાની રંગભેદની નીતિ સામે વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. માર્ટિન લ્યૂથર કિંગ ઠેર ઠેર જાહેરસભાઓ ભરીને લોકજાગૃતિ સર્જતા હતા. એક વાર કોઈ સભામાં રંગભેદમાં માનતા એમના વિરોધીએ એમને નિશાન બનાવીને છુટ્ટો બૂટ ફેંક્યો. માર્ટિન લ્યૂથર કિંગને તે વાગ્યો નહીં, પણ એમના પગ પાસે પડ્યો. સભામાં ખળભળાટ મચી ગયો, પરંતુ સ્વસ્થ માર્ટિન લ્યૂથર કિંગે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ને માર્મિક રીતે કહ્યું, ‘ધન્ય છે એ દેશને કે જે પોતાના સેવકોની નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. મારા જેવા ખુલ્લા પગે ચાલતા સામાન્ય સેવકની પણ ચિંતા કરે છે. આ સભામાં ઉપસ્થિત એવા કોઈ દયાવાન સજ્જને ઉદારતા દાખવી છે, પરંતુ મને અફસોસ એટલો છે કે માત્ર એક જ બૂટ શા માટે આપ્યો ? બે બૂટ હોત તો વધારે સારું થાત !’ માર્ટિન લ્યૂથર કિંગનું વક્તવ્ય સાંભળીને લોકો સ્તબ્ધ બની ગયા. એમણે હસીને કહ્યું, ‘જે સજ્જને મને એક બૂટ આપવાની ઉદારતા દાખવી, તેમને મારી વિનંતી છે કે તેઓ બીજો બૂટ પણ આપે, તો એમની મહેરબાનીથી મને બૂટની જોડી મળી રહેશે.’ માર્ટિન લ્યૂથરની સ્વસ્થતા અને સહૃદયતાથી પ્રસન્ન એવા શ્રોતાજનોએ ‘લૉંગ લિવ માર્ટિન લ્યૂથર’ના નારા પોકાર્યા.

કુમારપાળ દેસાઈ