Categories
વાચન સમૃદ્ધિ

જે પરસેવે ન્હાય

અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી. અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે. સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.  એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બૅંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા. એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી. ૧૮૨૮માં અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એક જ ડાળી પર ગુલાબ અને

કંટક હોય છે ===================

માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને, ગુલાબ અને કાંટાને અલગ અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો અનુભવે છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે. પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ વસતાં જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટાય ઊગ્યા છે ! અને ગુલાબ પણ ઊગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે કાંટા ઊગે છે અને સાથે ગુલાબ પણ ઊગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રીના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણી વાર તો સુખનો પડછાયો દુઃખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એકસાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે, જાણે એક સિક્કાની બે બાજુ. આ દ્વંદ્વગ્રસ્ત જગતમાં નિર્ભેળ સુખ કે સર્વથા દુ:ખ હોતાં નથી, પરંતુ તમારી આજ્ઞાનું પાલન કરે અને જે તમારા પ્રભાવ હેઠળ હોય તે સુખ છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને સર્વથા અનાદર કરે તે દુ:ખ. જે વૃક્ષ મુશળધાર વરસાદને અને બળબળતા તાપને ધૈર્યથી સ્વીકારે છે, એ જ રીતે માનવીએ જીવનમાં સદૈવ સુખદુ:ખનું સ્વાગત કરવું જોઈએ. વિચિત્રતા તો એ છે કે માણસ એના સુખનું સ્મરણ દુ:ખની વેળાએ કરે છે અને દુઃખનું સ્મરણ એના સુખના સમયમાં થાય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

હાથવગા દીવડા

કૅનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ ઑસ્લર (૧૮૪૯થી ૧૯૧૯) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ?

આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, ‘આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.’ આ વાક્ય વાંચતાં જ સર વિલિયમ ઑસ્લરના ચિત્ત પરનો સઘળો ભાર ઊતરી ગયો. એમણે વિચાર્યું કે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો, ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ.’  આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો. આ વિચારને પરિણામે વિલિયમ ઑસ્લર કૅનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. ૧૮૭૩ સુધીમાં લોહીમાંના નહીં ઓળખાયેલા ગઠનકોશો(પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ’ને હું અનુસરું છું.

કુમારપાળ દેસાઈ