Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સંસારનું અકલ્યાણ કરનારા

સંતો

નિસ્પૃહી સંત મથુરાદાસજી સમક્ષ આવીને એક ધનવાને નાણાંની થેલી મૂકી. ચરણમાં પડીને પ્રણામ કર્યા અને કહ્યું,

‘આપના આશીર્વાદનો ઉત્સુક છું. આપના જેવા સંતના આશીર્વાદ તો મારી સમૃદ્ધિને એકસો ગણી બનાવી દે તેવા છે. આપ મને અંતરથી આવા આશીર્વાદ આપો.’

સંત મથુરાદાસજીએ ધનવાન સામે જોયું અને કળી ગયા કે એની બનાવટી નમ્રતાની પાછળ ધનનો અહંકાર વસેલો છે. વેપારી સઘળે વેપાર જુએ અને લાભનો વિચાર કરે. આ વેપારી થોડા ધનના બદલામાં અધિક સંપત્તિ મેળવવા ચાહતો હતો.

નિસ્પૃહી સંતે કહ્યું, ‘તને આશીર્વાદ તો આપું, પણ એ પહેલાં મારી એક વાતનો ઉત્તર આપ. વિચાર કર કે તારા ઘરને આંગણે તારી પુત્રીનું તેં ધામધૂમથી લગ્ન યોજ્યું હોય, તોરણોથી શોભતો મંડપ રહ્યો હોય, મહેમાનો આવી ગયા હોય, સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી હોય અને જાન પણ છેક બારણે આવીને ઊભી હોય, આવા સમયે તેં પાથરેલા મખમલના ગાલીચા અને સરસ મજાના ગાદીતકિયા પર કોઈ મૂર્ખ માણસ વિષ્ટા ફેંકે તો તું શું કરે ?’

વેપારીએ કહ્યું, ‘બાપજી, સાવ સીધી-સાદી વાત છે. એનાં હાડકાં ખોખરાં કરી નાખું. આમાં તે કંઈ બીજો વિચાર કરવાનો હોય ?’

સંત મથુરાદાસજીએ કહ્યું, ‘ભાઈ, તને જેવું થાય એવું જ મને થાય. વિચાર કર કે પ્રભુપ્રાપ્તિ માટે મેં સંસાર છોડ્યો, નદીકિનારે એકાંતમાં રહીને સાધના કરી, મારા અંતરના ઓરડામાં રહેલો સઘળો કચરો વાળીઝૂડીને સાફ કર્યો, મનના સઘળા મેલ ધોઈ નાખ્યા. હવે ઈશ્વરપ્રાપ્તિના તલસાટથી જીવું છું અને એકાંત-સાધના કરું છું એવા સંજોગોમાં તું તારી ધનરૂપી વિષ્ટા મારા અંતરના આંગણામાં નાખવા માટે આવ્યો છે. હવે કહે કે મારે તારી સાથે કેવું વર્તન અને વ્યવહાર રાખવાં જોઈએ ?’

વેપારીને પોતાની ભૂલ સમજાઈ અને એણે નાણાંની કોથળી પાછી લીધી. સંત મથુરાદાસજીની માફી માગી.

સંતની સાથે સંપત્તિ જોડાય છે ત્યારે ઘણો મોટો અનર્થ સર્જાય છે. સંત જ્યારે સંપત્તિની પાછળ દોડે છે, ત્યારે સત્ય એનાથી દૂર ભાગવા લાગે છે. સાધના એના જીવનમાંથી વિદાય લે છે અને વૈરાગ્ય નામશેષ થઈ જાય છે. એ સંત ભલે સંસારની બહાર હોય, પણ એક બીજો સંસાર સર્જે છે, જે સંસારનો શ્વાસ ખુશામત છે અને નિશ્વાસ પરિગ્રહ છે અને એના હૃદયના સિંહાસન પર ધનપ્રાપ્તિની લાલસા બિરાજમાન હોય છે. એનો ઉપદેશ માત્ર ઠાલા શબ્દો બની જાય છે, કારણ કે એમાં સચ્ચાઈ હોતી નથી. એની વાણીમાં કોઈ ચાલાક વેપારીની સામી વ્યક્તિ પાસેથી પૈસા કઢાવવાની યુક્તિ જોવા મળે છે. આવો સંત સંસારની બહાર રહીને સંસારી કરતાં પણ સંસારનું વધુ અકલ્યાણ કરે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પહેલાં તમારી જાતને પૂછો !

સાધક બોધિધર્મ પાસે એક યુવાને આવીને પૂછ્યું, ‘ગ્રંથો ઘણા વાંચ્યા, સંતોનાં ચરણ સેવ્યાં. ઘણું ઘણું કર્યું, કિંતુ એક પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે.’

બોધિધર્મે કહ્યું, ‘કયો પ્રશ્ન તમને આટલા બધા કાળથી પરેશાન કરે છે ?’

યુવાને કહ્યું, ‘‘મારી એક જિજ્ઞાસા આજ લગી વણછીપી રહી છે અને તે એ કે ‘હું કોણ છું ?’ એ પ્રશ્નનો ઉત્તર અથાગ પ્રયત્નો કરવા છતાં પામ્યો નથી.’’

બોધિધર્મે આ સાંભળતાં જ હાથ ઉગામ્યો અને યુવકને જોરથી થપ્પડ મારીને કહ્યું, ‘ચાલ્યો જા અહીંથી. આવા બેહૂદા પ્રશ્નો કરી મારો સમય વેડફીશ નહીં.

યુવક વિચારમાં પડ્યો. જ્ઞાની અને સાધક એવા બોધિધર્મનું વર્તન અકળ લાગ્યું. પ્રશ્નના પ્રત્યુત્તરમાં આવી થપ્પડ !

યુવક બીજા સાધક પાસે ગયો અને એને કહ્યું, ‘‘બોધિધર્મ તો કેવા છે ! મેં સીધો-સાદો પ્રશ્ન પૂછ્યો કે ‘હું કોણ છું ?’ અને જવાબમાં એમણે થપ્પડ લગાવી. કેવું કહેવાય ?’’

બીજા સાધકે તો એથીય વધુ આક્રોશપૂર્વક કહ્યું, ‘બોધિધર્મે તો તને થપ્પડ લગાવી, પણ તેં મને આવો પ્રશ્ન કર્યો હોત તો આ મોટો ડંડો જ ફટકાર્યો હોત.’

યુવકની મૂંઝવણ ઓર વધી ગઈ. એ પુન: બોધિધર્મ પાસે ગયો અને કહ્યું, ‘મને આપની ઉત્તર આપવાની રીત અકળ લાગી. મારી જિજ્ઞાસાના ઉત્તરમાં તમે થપ્પડ મારી તે કેવું કહેવાય ? આપના જેવા જ્ઞાની પાસેથી જિજ્ઞાસાનું સમાધાન મળે, તમાચો નહીં.’

બોધિધર્મે સ્પષ્ટતાપૂર્વક કહ્યું, ‘હવે આટલેથી તું અટકી જા. હવે ફરી એ પ્રશ્ન પૂછતો નહીં. નહીં તો કાલે થપ્પડ મળી હતી, આજે એનાથીય વધુ આકરો જવાબ મળશે.’

જિજ્ઞાસુ યુવક ગભરાઈ ગયો. એને સમજાયું નહીં. બોધિધર્મને પૂછ્યું, ‘મારી જિજ્ઞાસાનો આવો જવાબ મળે છે તેનું કારણ કૃપા કરીને મને કહો.’

બોધિધર્મે કહ્યું, ‘‘ભન્તે, જે પ્રશ્ન તારે પોતાની જાતને પૂછવો જોઈએ, તે તું બીજાને પૂછે છે. તારી જાતને પૂછ કે ‘હું કોણ છું ?’ અને ભીતરમાંથી જ તને પ્રત્યુત્તર મળશે. એ ભીતરનો અવાજ સાંભળ એટલે તને તારા પ્રશ્નનો આપોઆપ ઉકેલ મળશે.’’

માણસ પોતાને વિશે જાણવા માટે બહાર કેટલું બધું ફરે છે ! ‘માંહ્યલા’ની ઓળખ માટે એ ભીતરમાં જવાને બદલે આસપાસ જગતમાં ઘૂમે છે. અન્ય પાસેથી પોતાના વિશેના અભિપ્રાયો ઉઘરાવે છે. સતત અન્યની નજરે સ્વયંને જોતો રહે છે. બીજાની ફૂટપટ્ટીથી પોતાની ઊંચાઈ માપવા કોશિશ કરે છે. પરિણામે એ સતત બાહ્ય જગતમાં એના તોલ-માપના ત્રાજવે પોતાની જાતને ઓળખે છે. હકીકતમાં જાતને ઓળખવા માટે એની પાસે બાહ્યદૃષ્ટિ નહીં, કિંતુ આંતરદૃષ્ટિ જોઈએ. એ આંતરદૃષ્ટિથી જ એ પોતાની જાતને પૂરેપૂરી જાણી શકે છે અને ‘હું કોણ છું ?’ તેનો ઉત્તર પામી શકે છે.

કુમારપાળ દેસાઈ