Categories
વાચન સમૃદ્ધિ

મહેન્દ્ર કપૂર

જ. 9 જાન્યુઆરી, 1934 અ. 27 સપ્ટેમ્બર, 2008

હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરનો જન્મ અમૃતસરમાં થયો હતો. હિન્દી ફિલ્મજગતમાં જ્યારે સુપ્રસિદ્ધ દિગ્ગજ ગાયકો પોતાના અવાજ અને ગાવાની શૈલી સાથે છવાયેલા હતા ત્યારે શ્રી મહેન્દ્ર કપૂરે પોતાની આગવી ઓળખ બનાવી. તેઓ નાનપણથી જ મહંમદ રફીને પોતાની પ્રેરણામૂર્તિ માનતા. તેઓ બહુ જ નાની ઉંમરે મુંબઈમાં સ્થાયી થયા. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત હુસ્નલાલ, પંડિત જગન્નાથ બુઆ, પંડિત તુલસીદાસ શર્મા, ઉસ્તાદ નિઆજ અહેમદ ખાં અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાં પાસેથી લીધી. સેંટ ઝેવિયર્સના સ્નાતક મહેન્દ્ર કપૂરે રફીસાહેબે ગાયેલાં ગીતોને મૌલિક રીતે રજૂ કરીને મેટ્રો-મરફી ઑલ ઇન્ડિયા સંગીત સ્પર્ધા જીત્યા પછી તેમની કારકિર્દીનો રસ્તો ખૂલી ગયો. તેમણે પહેલી વાર 1958માં વી. શાંતારામની ‘નવરંગ’ ફિલ્મમાં ‘આધા હૈ ચંદ્રમા’ ગાયું. ટીવી સિરિયલ ‘મહાભારત’માં તેમણે ગાયેલ શીર્ષક ગીત ખૂબ લોકપ્રિય થયું. બી. આર. ચોપરાની ફિલ્મો ‘હમરાઝ’, ‘નિકાહ’, ‘ગુમરાહ’, ‘ધૂલ કા ફૂલ’ વગેરેમાં તેમણે ગાયેલાં ગીતો યાદગાર બન્યાં છે. તેમનો અવાજ મંદ્રસપ્તકથી તારસપ્તક સુધી એટલો આસાનીથી પહોંચતો કે તેમને ‘vibrant voice of India’ તરીકે ઓળખવામાં આવતા. અભિનેતા મનોજકુમારની ફિલ્મોના તેઓ ‘અવાજ’ કહેવાતા. ભારતના તે સૌથી પહેલા પાર્શ્વગાયક હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ રેકૉર્ડિંગ કર્યાં. ખૂબ જાણીતા બેન્ડ બોની-M સાથે સહયોગ કરીને તેમણે પ્રખ્યાત ગીતોને હિન્દી ભાષામાં પોપ આલબમ-3માં ગાયાં. પંજાબી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી એમ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં તેમણે ગાયું હતું. શ્રી કપૂરે ગાયેલ લોકપ્રિય ગુજરાતી ગીતો એટલે ‘ઓ રંગ રસિયા’, ‘જેને રામ રાખે’, ‘ધૂણી રે ધખાવી’, ‘જોબનિયું આજ આવ્યું’ વગેરે છે. સંગીતક્ષેત્રે તેમણે કરેલા અમૂલ્ય યોગદાન માટે 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. મહારાષ્ટ્ર સરકારે તેમને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે નવાજ્યા હતા અને અનેક ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

તાશ્કંદ

મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું છે. સોવિયેત સંઘના વિઘટન પછી ઉઝબેકિસ્તાને ડિસેમ્બર, 1991માં સ્વાતંત્ર્ય મેળવ્યું. પણ આ પહેલાં સોવિયેત સંઘની સત્તા દરમિયાન તાશ્કંદે ઘણી પ્રગતિ સાધી હતી. આ નગર લાંબા અને સૂકા ઉનાળા તેમજ ટૂંકા શિયાળાવાળી ખંડીય આબોહવા ધરાવે છે. તેનું જાન્યુઆરી તથા જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે લગભગ 2° સે. અને 25° સે. જેટલું રહે છે. તેના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 375 મિમી. જેટલું રહે છે. તે પર્વતીય પ્રદેશો વચ્ચે આવેલું છે, તેના રાજમાર્ગો પર અને ઠેકઠેકાણે આવેલાં ઉદ્યાનોમાં વૃક્ષોની હરિયાળી વિકસાવવામાં આવેલી તેથી તાશ્કંદ દુનિયાનાં અતિ હરિયાળાં નગરો પૈકીનું એક ગણાય છે. જ્યારે હવામાન સ્વચ્છ હોય, ત્યારે અહીંથી ચિત્કલ પર્વતોનાં હિમાચ્છાદિત શિખરો દૃષ્ટિગોચર થાય છે. વળી તેની આસપાસ અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ટૂંકમાં, આ શહેરનું વાતાવરણ હંમેશાં શાંત, ઠંડું અને આનંદદાયક રહે છે. આથી આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાવડા અથવા તો રાજકીય મંત્રણા માટેની શિખર પરિષદો ભરવા માટે તે અનુકૂળ સ્થળ ગણાય છે. તે માટેની બધી જ સુવિધાઓ આ નગરમાં ઉપલબ્ધ છે.

તાશ્કંદપ્રદેશનાં કપાસ પકવતાં ક્ષેત્રો : એક દૃશ્ય

1966ના ધરતીકંપથી આ નગરનાં લગભગ 75,000 કુટુંબોને અસર થઈ હતી. ધરતીકંપથી થયેલી તારાજી પછી આ શહેરને નવેસરથી અને નવીન સ્થાપત્યશૈલીથી બાંધવામાં આવ્યું છે. તેની લગભગ 15% ઇમારતો બે માળવાળી અને 35% ઇમારતો નવ માળવાળી છે. શહેરની મધ્યમાં સત્તર માળવાળી હોટેલ છે. નગરનાં નવાં રહેઠાણો, કચેરીઓ અને સંકુલો ખૂબ જ મજબૂત છે, ધરતીકંપ સામે ટક્કર ઝીલી શકે તેવી રચના તેઓ ધરાવે છે. તાશ્કંદ ભારે ઇજનેરી ઉદ્યોગો ઉપરાંત રેશમી અને સુતરાઉ કાપડની મિલો પણ ધરાવે છે. આ સિવાય અહીં યંત્રો, મશીનટૂલ્સ, તૈયાર કપડાં, પગરખાં, ચામડાંની બનાવટો, રસાયણો, તમાકુ, ખાદ્ય પદાર્થો વગેરેને લગતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. આ નગર રેલ, સડક અને હવાઈ માર્ગોનું મુખ્ય મથક છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત તે શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓ ધરાવે છે. વળી અહીં સંસ્કૃતિ અને કળાને લગતી પ્રવૃત્તિઓ પણ થાય છે. સૂર્યશક્તિના ઉપયોગના વિકાસને લગતાં સંશોધનોમાં તે અગ્રેસર રહ્યું છે. અહીનાં પંદરમી-સોળમી સદીનાં સૈનિકાગારોનાં અને સત્તરમી સદીનાં કુકેલ્ડાશની મદરેસાનાં સ્થાપત્યો વિશ્વવિખ્યાત છે. 2025માં શહેરની વસ્તી 31,64,000 (આશરે) હતી.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સઈદ જાફરી

જ. 8 જાન્યુઆરી, 1929 અ. 15 નવેમ્બર, 2015

આગવી અદાકારી અને અભિનય માટે જાણીતા ભારતીય સિનેજગતના અભિનેતા સઈદ જાફરીનો જન્મ પંજાબમાં થયો હતો. હિન્દી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું, જેનો ઉપયોગ તેઓ વિવિધ પાત્રોની ભજવણી વખતે કરતા હતા. પિતા હમિદહુસૈન જાફરી, સરકારી સ્વાસ્થ્ય ખાતામાં તબીબી હોવાને કારણે નોકરીમાં અનેક વાર બદલીઓ આવી. જ્યાં સઈદ જાફરીએ વિવિધ અનુભવો લીધા. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી માધ્યમની શાળા અને કૉલેજમાં અભ્યાસ કરવાથી બ્રિટિશ અંગ્રેજીનો સારો મહાવરો રહ્યો. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન રેડિયો બી.બી.સી. સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ નાટકોમાં અભિનય કરતા. 1977માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ સાથે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘હિના’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘ચશ્મેબદદુર’, ‘સાગર’, ‘કિસીસે ના કહેના’, ‘ગાંધી’, ‘માય બ્યૂટીફુલ લૉન્ડ્રેટ’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. હોલિવુડમાં સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેતા છે. તેમણે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1958થી 1966 સુધી તેઓ માધુરી જાફરી સાથે લગ્ન સંબંધમાં રહ્યા. 1980માં જેનિફર સોરેલ સાથે બીજાં લગ્ન કર્યાં. પહેલા લગ્નમાં ત્રણ પુત્રીઓ છે. 80 અને 90ના દાયકામાં બ્રિટનનો ટૉપ એશિયન ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો. લંડનમાં બ્રેઇનહેમરેજના કારણે એમનું અવસાન થયું. અવસાન બાદ 2016માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.