Categories
વાચન સમૃદ્ધિ

નરહરિ દ્વારકાદાસ પરીખ

જ. ૭ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૧૫ જુલાઈ, ૧૯૫૭

લેખક, સંપાદક, સમાજસુધારક અને સ્વાતંત્ર્યસેનાની નરહરિ પરીખનો જન્મ અમદાવાદમાં. વતન કઠલાલ. શાળેય શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૧૧માં ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૧૩માં એલએલ.બી. થયા પછી વકીલાત શરૂ કરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં ૧૯૧૬માં વકીલાત છોડી અને સ્વતંત્રતાના આંદોલનમાં જોડાયા. તેઓ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના શિક્ષક બન્યા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં બારડોલી પાસેના સરભોણમાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી અને દૂબળાઓને ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહમાં લાઠીચાર્જથી ઘવાયા અને જેલવાસ થયો. ૧૯૩૪માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક બન્યા. ૧૯૩૭માં રચાયેલ બુનિયાદી શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમાયા. તેઓ સેવાગ્રામમાં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓ પૈકી એક નરહરિ પરીખ હતા. તેમણે અસ્પૃશ્યતા, દારૂ તેમજ નિરક્ષરતા નાબૂદી માટે કાર્ય કર્યું. તેઓ થોડાં વર્ષો સુધી ગાંધીજીના અંગત સચિવ રહ્યા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. તેમણે અનેક મૌલિક પુસ્તકો લખ્યાં. સંપાદનો અને અનુવાદ પણ કર્યા છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’, ‘સરદાર વલ્લભભાઈ’ (ભાગ-૧, ૨), ‘માનવ અર્થશાસ્ત્ર’, ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘નામદાર ગોખલેનાં ભાષણો’, ‘ગોવિંદગમન’, ‘કરંડિયો’, ‘મહાદેવભાઈની ડાયરી’ (ભાગ ૧થી ૭), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’નો તથા ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનો ‘જાતે મજૂરી કરનારાઓને’ અને ‘ત્યારે કરીશું શું ?’ નામે અનુવાદ કર્યો છે. તેમના ‘કન્યાને પત્રો’નો હિન્દી, મરાઠી અને ઊડિયામાં અનુવાદ થયો છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

ડુન્ડાસ

ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે ૨૧° ૫´ ઉ. અ. અને ૭૧° ૩૫´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે ૧૩ કિમી. અને અમૃતવેલ રેલવેસ્ટેશનથી ૨ કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન ૧ની (ઈ. સ. ૫૨૫ – ૫૪૯) ભાણેજ પરમ ઉપાસિકા દુદ્દાનું નામ સંકળાયેલું છે. તેણે દુદ્દાવિહાર કે મહાવિહાર તરીકે ઓળખાતો વિહાર બંધાવ્યો હતો. આ વિહારને નિભાવવા માટે ધ્રુવસેને જમીનનું દાન કર્યું હતું. તે જ પ્રમાણે ધ્રુવસેન ૧ના અનુજ ધરપટ્ટના પુત્ર ગુહસેને (ઈ. સ. ૫૫૯ – ૫૬૭) અને ધરસેન બીજાએ (૫૭૧ – ૫૮૯) પણ આ વિહાર માટે ભૂમિદાન કર્યું હતું. શીલાદિત્ય બીજાના તામ્રપત્રમાં ડુન્ડાસ નામનો ઉલ્લેખ છે.

ડુન્ડાસ અને લુંસડીમાંનાં ખંડેરોમાંથી ક્ષત્રપ અને મૈત્રકકાલીન મોટી ઈંટો અને સિક્કાઓ મળેલ છે. ડુન્ડાસ નજીક પ્રાચીન ક્વા વાછરા (વત્સરાજ) સોલંકીનું થાનક છે. વત્સરાજ સોલંકી કતપર (કંકાવટી) પરણવા આવ્યા હતા. લગ્નવિધિ ચાલુ હતી અને બે મંગળફેરા બાકી હતા ત્યારે દુશ્મનો ગાયનું ધણ વાળી જાય છે એવી બૂમ સાંભળી. જરા પણ વિચાર કર્યા વિના તે વહારે ચડ્યા અને ધીંગાણામાં તેમનું મૃત્યુ થયું. લોકોક્તિ પ્રમાણે વત્સરાજનું મસ્તક ડુન્ડાસ આવીને પડ્યું. અહીં તેનું મસ્તક પૂજાય છે, જ્યારે મહુવા ખાતે ધડની પૂજા થાય છે.

શિવપ્રસાદ રાજગોર

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ-8, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુન્ડાસ/

Categories
વાચન સમૃદ્ધિ

દામિનીબહેન મહેતા

જ. ૬ ઑક્ટોબર, ૧૯૩૦ અ. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯

ખ્યાતનામ ગુજરાતી નાટ્ય અભિનેત્રી અને નિર્દેશિકા દામિનીબહેન મહેતાનો જન્મ અમદાવાદ ખાતે ચુસ્ત, ધાર્મિક અને સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા જીવણલાલ મહેતા. પિતાનું અકાળે અવસાન થતાં કુટુંબ કપરી આર્થિક પરિસ્થિતિમાં આવી પડ્યું. તે સમયે ‘જવનિકા’ નાટક કંપની દ્વારા ભજવાતાં નાટકોમાં બાળકલાકારની જરૂર જણાતાં દામિનીબહેનને અનાયાસે અભિનય કરવાની તક મળી. તેમાં ‘રૂપમતી’ નાટકનો તેમનો અભિનય ખૂબ વખણાયો. અભિનય દ્વારા મળતો પુરસ્કાર તેમના કુટુંબની આર્થિક પરિસ્થિતિમાં ટેકારૂપ બન્યો. ‘જવનિકા’ નાટક કંપનીમાં થોડાં વર્ષ કામ કર્યાં બાદ તેને છોડીને ‘નટરંગ’ નામની સંસ્થા સ્થાપી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ પછી તેઓ દર્પણ સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટમાં નૃત્યકલાગુરુ મૃણાલિનીબહેન સારાભાઈનું આમંત્રણ મળતાં તેમાં જોડાયાં. દર્પણમાં નાટ્યવિદ કૈલાસ પંડ્યાના સહયોગમાં નાટ્યવિભાગ શરૂ કર્યો. ૪૫ વર્ષ સુધી દર્પણ સંસ્થામાં કાર્યરત રહીને અનેક નાટ્યપ્રયોગો કર્યા. દામિનીબહેને તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦ જેટલા નાટકોમાં અભિનય કર્યો. તેમનાં કેટલાંક યાદગાર નાટકોમાં ‘પીળું ગુલાબ’, ‘કોઈ પણ ફૂલનું નામ લો’, ‘કાનન’, ‘લીલા’, ‘નવલશાહ હીરજી’, ‘તારામતી’, ‘મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. આકાશવાણી, દૂરદર્શન તથા માહિતીખાતાનાં દસ્તાવેજી ચિત્રો બનાવવામાં પણ તેમનો ફાળો હતો. ગુજરાતની અતિ પ્રાચીન કલા ભવાઈના જતન અને સંવર્ધન માટે તેમણે ખાસ યોગદાન આપ્યું છે. તે સમયે ભવાઈની પ્રસ્તુતિમાં પુરુષો જ સ્ત્રીની વેશભૂષા સાથે સ્ત્રીનું પાત્ર ભજવતા, પરંતુ દામિનીબહેને સ્ત્રીપાત્રમાં અભિનય કરવાનો નવીન પ્રયોગ શરૂ કર્યો. તેમણે નાટ્યક્ષેત્રે આપેલ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ‘નવલશા હીરજી’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર, પં. ઓમકારનાથ ઠાકુર સન્માન, ૧૯૯૪-૯૫માં ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ