અદનો સિપાઈ


ભીષણ રણસંગ્રામમાં સેનાપતિ સિડનીએ અપ્રતિમ વીરતા દાખવી. આ મૂર યુદ્ધમાં શત્રુઓ સામે ખેલવા જતાં સિડની ઘાયલ થયો અને દુશ્મન સૈનિકો એને ઘેરી વળ્યા. સેનાપતિ સિડનીની સેનાના એક સિપાઈએ આ દૃશ્ય જોયું. એણે વિચાર્યું કે કોઈ પણ ભોગે સેનાપતિને દુશ્મનોના ઘેરામાંથી ઉગારવા જોઈએ. આથી સિપાઈ વીરતાપૂર્વક દુશ્મનોનો ઘેરો પાર કરીને સેનાપતિ પાસે પહોંચી ગયો. ઘાયલ સેનાપતિને ઘોડા પર લઈને યુદ્ધના મેદાનની બહાર નીકળી ગયો. દુશ્મનોએ ઘણા પ્રહાર કર્યા, પરંતુ સિપાઈની વીરતા આગળ તેઓ ફાવ્યા નહીં. સિપાઈ સેનાપતિને છાવણીમાં લઈ ગયો, ત્યારે સેનાપતિએ સિપાઈને પૂછ્યું, ‘તારું નામ શું છે ?’ સિપાઈએ નામ કહેવાની આનાકાની કરી. આથી સેનાપતિએ ફરી નામ પૂછ્યું, ત્યારે સાહસિક સૈનિકે કહ્યું, ‘આપ મારું નામ જાણીને શું કરશો? હું તો સેનાનો એક અદનો સિપાઈ છું.’ સેનાપતિ સિડનીએ કહ્યું, ‘મારે તને શાબાશી આપવી છે. બધા સૈનિકોની હાજરીમાં તારી વીરતાની પ્રશંસા કરવી છે. તારા પર મોટા ઇનામની નવાજેશ કરવી છે.’ આ સાંભળીને સિપાઈએ કહ્યું, ‘મને માફ કરજો, મેં કાંઈ કીર્તિ કે કલદારની ઇચ્છાથી આ કામ કર્યું નથી. મેં તો માત્ર મારું કર્તવ્ય બજાવ્યું છે.’ આટલું કહીને સિપાઈ નમ્રતાથી છાવણીની બહાર નીકળી ગયો. એના ચહેરા પર કર્તવ્યનો આનંદ છલકાતો હતો. એની પ્રાપ્તિ જ એનું અંતિમ ધ્યેય હતું. ફરજ એટલે ફરજ. એમાં વળી બીજું શું હોય ? સેનાપતિએ ઘણી શોધ કરી, પરંતુ એ સિપાઈનાં નામ-ઠામ મળ્યાં નહીં. સેનાપતિ સિડની સિપાઈની આવી કર્તવ્યનિષ્ઠા પર વારી ગયા.