અરવલ્લી


દિલ્હીથી આખાય રાજસ્થાનને ઈશાન-નૈર્ઋત્યમાં વીંધતી અને ગુજરાતની ઉત્તર સરહદે પૂરી થતી ગિરિમાળા. દુનિયાની તેમ જ ભારતની તે અતિ પ્રાચીન (અંદાજે દોઢ અબજ વર્ષ – ૧૬૦ કરોડ વર્ષ જૂની) ગિરિમાળાઓ પૈકીની એક છે. તે હિમાલય કરતાં પણ જૂની છે. આ ગિરિમાળા આશરે ૮૦૦ કિમી. લાંબી છે. ઉત્તરમાં દિલ્હીથી શરૂ થઈ, રાજસ્થાનના વિસ્તારમાંથી પસાર થઈ, તે દક્ષિણે બાલારામ તથા ઈડર સુધી વિસ્તરેલી છે. તે જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈ ધરાવે છે. આ ગિરિમાળામાં અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો છે; તે પૈકી માઉન્ટ આબુનું ગુરુશિખર (૧૭૨૨ મીટર) સૌથી ઊંચું છે. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાનો ફાંટો આરાસુરથી જૈસોર થઈ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં છેક તારંગાની ટેકરીઓ સુધી વિસ્તરેલો છે.

અરવલ્લીની ગિરિમાળા

ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં આશરે ૨૫૦ કરોડ વર્ષ પૂર્વે તેનું ઉત્થાન શરૂ થયેલું અને ૧૬૦ કરોડ વર્ષ પૂર્વે પૂરું થયેલું. આ આખીયે ગિરિમાળા પટ્ટાયુક્ત નાઇસ ખડકસંકુલ (banded gneissic complex – BGC) તેમ જ અરવલ્લી-રચના, દિલ્હી-રચના, વિંધ્ય-રચનાના ખડકોથી બનેલી છે. તેમાં આગ્નેય અંતર્ભેદનો પણ થયેલાં છે. આ ગિરિમાળા આર્થિક ખનિજો અને ખડકોના ભંડાર સમાન છે. તે ગ્રૅનાઇટ, ચૂનાખડક, આરસપહાણ, સ્લેટ અને ફિલાઇટ જેવા ખડકો તથા સીસું, જસત, તાંબું અને ઍસ્બેસ્ટૉસ જેવાં અનેક કીમતી ખનિજો પૂરાં પાડે છે. સાબરમતી, હાથમતી, બનાસ, મહી, રૂપેણ અને સરસ્વતી જેવી અનેક નદીઓ અરવલ્લી પર્વતમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. અહીંનો આબુ પર્વત હવા ખાવાનું સ્થળ છે. દેલવાડાનાં પ્રખ્યાત દેરાં અહીં આવેલાં છે. અંબાજીનું પ્રખ્યાત યાત્રાધામ, તારંગાનાં જૈનમંદિરો, શામળાજીનું ગદાધર(ભગવાન વિષ્ણુ)નું મંદિર, ખેડબ્રહ્મા તેમ જ પુષ્કરનાં બ્રહ્માજીનાં મંદિર, એકલિંગજીનું શિવમંદિર, શ્રીનાથજીનું મંદિર, ચારભુજા, પોળોનાં શિલ્પ-સ્થાપત્ય રજૂ કરતાં ખંડિયેરો, જૈન તીર્થંકર ઋષભદેવનું મંદિર, રાણકપુરનું જૈનમંદિર વગેરે આ ગિરિમાળામાં આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અરવલ્લી, પૃ. 62)