કોઈ કુદરતી ઘટનાને પરિણામે સચવાઈ રહેલા પ્રાચીન કાળના પ્રાણી કે વનસ્પતિના નિશાનીરૂપ અવશેષો. તે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉદ્ભવેલા જીવન વિશેની માહિતી આપે છે. ૪૦૦ કરોડ વર્ષો પહેલાંનું, જૂનામાં જૂનું બૅક્ટેરિયાનું અશ્મિલ મળી આવ્યું છે. દુનિયાના દરેક ભાગમાંથી – વિશેષે જળકૃત ખડકોમાંથી – અશ્મિલ મળી આવે છે. સામાન્ય રીતે પ્રાણી મરી જાય તે પછી તેનું શરીર ધીમે ધીમે કોહવાઈને નષ્ટ પામે છે અને તેનો કોઈ અવશેષ કે નિશાની રહેતાં નથી; પણ ઘણી વાર પ્રાણી મરી ગયા પછી તરત જ તે સમુદ્રને તળિયે કે બરફમાં કે રેતીમાં દટાઈ જાય છે. તેનું અશ્મિલમાં રૂપાંતર થાય છે. એવું બને કે પ્રાણી સમુદ્રના તળિયે ડૂબ્યું હોય અને તેના ઉપર કાંપ, રેતી અને કાદવના થર પથરાયા હોય. આવા થરોથી કાળક્રમે જળકૃત ખડકો બને છે. આની અંદર ભીંસાયેલાં પ્રાણીનાં શંખ, છીપ કે હાડકાં જેવા કઠણ ભાગોનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે.

ખડકોમાં મળી આવેલાં પ્રાણી અને ડાઈનોસૉરના પંજાનાં અશ્મિલ
કેટલીક વાર નાનું જંતુ (જેમ કે કરોળિયો) ઝાડમાંથી નીકળતા રસ(એમ્બર)માં ઝડપાઈ જાય છે અને તે રસ કઠણ થઈ જતાં અંદરના જંતુનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે અને તે રસના ટીપામાં વૈજ્ઞાનિક માહિતીનો રસપ્રદ ખજાનો સચવાઈ જાય છે. કેટલીક વાર બરફથી છવાયેલા પહાડોમાં મનુષ્ય કે મનુષ્યેતર પ્રાણી દટાઈ જાય છે અને તેનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે. આવી રીતે સાઇબીરિયામાંથી મેમથ નામની લુપ્ત થઈ ગયેલી જાતિના હાથીનું અશ્મિલ રૂપ મળી આવ્યું હતું. હિમાલયના પર્વત-વિસ્તારમાંથી મળી આવતાં દરિયાઈ પ્રાણીઓનાં અશ્મિલ ઉપરથી એક સમયે ત્યાં દરિયો હશે એવું અનુમાન કરવામાં આવે છે. જર્મનીમાંથી પક્ષીનું એક એવું અશ્મિલ મળી આવ્યું છે જેને પાંખ, તેની સાથેનાં આંગળાં અને જડબા સાથેના દાંત છે. આ અશ્મિલના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે આ પક્ષીઓ ડાયનોસૉરથી ઊતરી આવ્યાં છે. આ અશ્મીભૂત પ્રાણીને આર્કિયૉપ્ટેરિસ તરીકે ઓળખવામાં આવે છે, તે ડાયનોસૉર અને પક્ષી વચ્ચેના જીવનની અગત્યની કડી છે.
અંજના ભગવતી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અશ્મિલ, પૃ. 78)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-1 માંથી
