આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજકીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની ક્રૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળિંબદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થૂળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.
કુમારપાળ દેસાઈ