આશારામ દલીચંદ શાહ


જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.