ઇન્દુલાલ યાજ્ઞિક


જ. 22 ફેબ્રુઆરી, 1892 અ. 17 જુલાઈ, 1972

વિવિધ પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિઃસ્પૃહી રાજકીય નેતા. મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદમાં સૌપ્રથમ ક્રમે આવ્યા અને બી.એ.ની પરીક્ષામાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી પ્રથમ ક્રમે આવ્યા. અભ્યાસમાં તેજસ્વી એવા ઇન્દુલાલ 1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. થોડો સમય વકીલાત પણ કરી, પણ તે છોડી 1915માં સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન અને સત્ય’ માસિકો શરૂ કર્યાં. 1922માં ‘યુગ ધર્મ’ની શરૂઆત કરી. વળી થોડો સમય દેશસેવાનું કામ છોડી ફિલ્મક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. ઇંગ્લૅન્ડમાં આયર્લૅન્ડની સ્વતંત્રતાના પ્રચંડ સમર્થક દ વેલેરા સાથે કામ કર્યું અને 1936માં ભારત પાછા આવ્યા. 1941-42માં ‘નૂતન ગુજરાત’ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. 1944માં નેનપુર આશ્રમ શરૂ કરી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, હોમરૂલ ચળવળમાં ભાગ લીધો અને રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. રાષ્ટ્રીય કેળવણીનો આગ્રહ રાખી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં બી રોપ્યાં. સવિનય કાનૂનભંગની લડતમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી મૉસ્કો અને વિયેનાનો પ્રવાસ કર્યો અને સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના સમયે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું. ‘જનતા પરિષદ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી ગુજરાતના લાડીલા ‘ઇન્દુ ચાચા’ બન્યા. 1957થી 1972 સુધી લોકસભાના સાંસદ રહ્યા. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું. તેમણે છ ભાગમાં આત્મકથા લખી. નર્મદ સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. રાજકીય વિષયવસ્તુવાળાં ભાવનલક્ષી અને પ્રચારલક્ષી નાટકો આપવા ઉપરાંત ‘માયા’ નવલકથા, ‘વરઘોડો’, ‘આશા-નિરાશા’, ‘રણસંગ્રામ’, ‘શોભારામની સરદારી’ જેવાં નાટકો પણ લખ્યાં. ગાંધીજી સાથેનાં સંસ્મરણો આલેખતી ‘ગાંધીજીના સહવાસમાં’, ‘સત્યાગ્રહ : નિષ્ફળ અને નકામું શસ્ત્ર’ જેવાં પુસ્તકો પણ આપ્યાં. અંગ્રેજીમાં ‘મિ. ગાંધી એઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો પણ આપ્યાં. આમ એક નીડર, નિખાલસ, સ્વમાની અને પુરુષાર્થી વ્યક્તિ તરીકે લોકો તેમને સદા યાદ રાખશે.