ઇમરે કેરતેસ


જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016

ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. 1957થી હંગેરી પર કમ્યુનિસ્ટોનું શાસન આવ્યું. લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. રશિયાએ હંગેરીની પ્રજા પર અનેક સિતમ વરસાવ્યા. કેરતેસને ગુલામી પસંદ નહોતી, તેથી તેમણે નોકરી છોડવી પડી. ત્યારબાદ તેમણે નિત્શે ફ્રૉઇડ, વિટગેંસ્ટાઇન, શ્વાઇત્ઝર વગેરેના સાહિત્યનો અનુવાદ કરી તેની કમાણીમાંથી પેટગુજારો કર્યો. આ રીતે ચાળીસ વર્ષ વીતી ગયાં. આ કઠોર જીવનને લીધે તેમણે મુશ્કેલીઓ સામે હસતાં શીખી લીધું. તેઓ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા તેથી ઘણી યાતનાઓ વેઠવી પડી. સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમણે 2002માં મળ્યું. આ પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હંગેરિયન છે. 1989માં સામ્યવાદી રશિયાનું માળખું તૂટી પડ્યું ત્યારે હંગેરી રશિયાની ચુંગાલમાંથી છૂટ્યું અને આઝાદીના શ્વાસ લીધા. ઇમરેની પ્રથમ નવલકથા ‘ફેટલેસ’ 1965માં લખાઈ, જે નોબેલ પારિતોષિક માટે મુખ્ય કારણ છે. ત્યારબાદ 1988માં ‘ફિઆસ્કો’, અને 1990માં ‘કૅડિશ ફોર એ ચાઇલ્ડ નોટ બોર્ન’ નામની નવલકથા લખી. 1992માં ‘ગેબી ડાયરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ સર્વ રચનામાં વીસમી સદીની ત્રાસદાયક ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકો વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં. તેઓને ‘બ્રેન્ડેનબર્ગ’ જર્મન પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.