જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિઓએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી. પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી. પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂર એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય’ કરવા આવતો હોત. પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોય તો માનવીએ હોંશે હોંશે ચૂકવ્યા હોત. ઈશ્વરે માનવીને વિનામૂલ્યે આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ આહલાદની તમને અનુભૂતિ થશે. મંદ મંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતી-ખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરે ધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.
કુમારપાળ દેસાઈ
