જ. ૨૮ મે, ૧૯૨૩ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૯૬

NTR તરીકે જાણીતા એન. ટી. રામારાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મનિર્માતા, ફિલ્મદિગ્દર્શક, પટકથાલેખક, ફિલ્મસંપાદક અને રાજકારણી હતા. તેમનું પૂરું નામ નંદમુરી તારકા રામારાવ છે. તેમણે ચાર ટર્મમાં સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. રામારાવે ૧૯૪૯માં એલ. વી. પ્રસાદદિગ્દર્શિત તેલુગુ સામાજિક ફિલ્મ ‘માના દેશમ્ֹ’થી અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. તેમને ૧૯૫૪માં ‘રાજુ પેડા’ નામની ફિલ્મથી વિશેષ સફળતા પ્રાપ્ત થઈ હતી. ૧૯૪૯થી ૧૯૮૨ સુધીમાં આશરે ૩૦૦ ફિલ્મોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી. મુખ્યત્વે પૌરાણિક પાત્રો કૃષ્ણ, શિવ અને રામની ભૂમિકા દ્વારા તેઓ વધુ જાણીતા બન્યા હતા. જેના કારણે તેઓ ‘જનતાના મસીહા’ અને સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા હતા. બાદમાં તેઓ ફિલ્મોમાં ખલનાયક અને રોબિન હૂડ જેવાં હીરો પાત્રો દર્શાવવા માટે જાણીતા બન્યા હતા. તેમણે ૧૯૫૧માં ‘પથલા ભૈરવી’ ફિલ્મમાં અભિનય કરેલો, જે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થયેલી એકમાત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ હતી તો ‘મલ્લીશ્વરી’ ફિલ્મને પેકિંગ ફિલ્મ ફેસ્ટિવલ બેઇજિંગ, ચીનમાં દર્શાવવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલ આફ્રો-એશિયન ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવેલી તેમની શાશ્વત ક્લાસિક ફિલ્મ ‘માયાબજાર’ (૧૯૫૭) અને ‘નર્તનશાલા’ (૧૯૬૩) જેવી ફિલ્મ CNN-IBNની સર્વકાલીન ૧૦૦ મહાન ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. રામારાવે ૧૯૮૨માં તેલુગુ દેશમ્ પાર્ટી TDPની સ્થાપના કરી હતી અને ૧૯૮૩થી ૧૯૯૫ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ વખતે સેવા આપી હતી. તેઓ આંધ્રપ્રદેશની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખના હિમાયતી તરીકે જાણીતા હતા. રામારાવે ૧૯૭૦માં ‘કોડાલુ દીદીના કપુરમ્’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો તો નૅશનલ આર્ટ થિયેટર, ચેન્નાઈ દ્વારા ‘થોડ ડોંગાલુ’ (૧૯૫૪) અને ‘સીતારામ કલ્યાણમ્’ (૧૯૬૦)ના સહનિર્માણ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ મેળવ્યા હતા. ૧૯૬૮માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી