કે. એસ. નરસિમ્હાસ્વામી


જ. 26 જાન્યુઆરી, 1915 અ. 27 ડિસેમ્બર, 2003

કન્નડ કવિ કિક્કેરી સુબ્બારાવ નરસિમ્હાસ્વામી(કે. એસ. નરસિમ્હાસ્વામી)નો જન્મ કિક્કેરી, મડિયા જિલ્લો, કર્ણાટકમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ અભ્યાસ છોડી દઈ મ્યુનિસિપાલિટીની ઑફિસમાં ક્લાર્ક તરીકે જોડાઈ ગયા. પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા તેથી 1934માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા, પરંતુ આર્ટસની ડિગ્રી મેળવી. 1954માં બૅંગાલુરુ બદલી થઈ અને 1970માં કર્ણાટક હાઉસિંગ બોર્ડના સુપરિન્ટેન્ડેટ તરીકે નિવૃત્ત થયા. તેમની કવિતાઓ મોટા ભાગે લગ્નજીવનમાં પાંગરતા પ્રણયને અનુલક્ષીને હતી. તેના માટે તેઓ પોતાની પત્ની વેન્કમ્માને પ્રેરણાસ્રોત માનતા. જોકે તેમની પ્રણય કવિતાઓ રોબર્ટ બર્ન્સની કવિતાઓથી પ્રેરિત હતી. તે સમયમાં કન્નડ કવિતાઓ મોટા ભાગે કુદરત અને કુદરતી સૌંદર્ય ઉપર આધારિત રહેતી તેથી નરસિમ્હાસ્વામીની કવિતાઓ જુદી તરી આવતી. લગ્નપ્રસંગમાં યુગલને તેમની કવિતાનું પુસ્તક ભેટ આપવામાં આવતું. ‘માયસૂરુ મલિગે’ (Mysooru Mallige) તેમનો ખૂબ પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ છે, જેનું 32 વખત પુનઃમુદ્રણ થયું હતું. તેમણે લગભગ 20 કાવ્યસંગ્રહો લખ્યા છે, ત્રણ અનુવાદો કર્યા છે તથા ચાર ગદ્યસંગ્રહો આપ્યા છે.

તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, કન્નડા સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સાહિત્ય માટેના એશિયન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.