ગાયત્રીદેવી


જ. ૨૩ મે, ૧૯૧૯ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૯

જયપુરના મહારાજા સવાઈ માનિંસહ(બીજા)નાં પત્ની, જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીનો જન્મ કૂચબિહારમાં મહારાજા જિતેન્દ્ર નારાયણ તથા વડોદરાનાં રાજકુંવરી ઇન્દિરા રાજેના કુટુંબમાં થયો હતો. કૂચબિહારની ગાદી તેમનાં માતા ઇન્દિરા વિધવા થતાં તેઓએ સંભાળી. ગાયત્રીદેવી સાથે પાંચ સંતાનોનો ઉછેર અત્યંત વૈભવી વાતાવરણમાં થયો હતો. ગાયત્રીદેવી લંડનની ગ્લેનડોવર સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યારબાદ શાંતિનિકેતન તથા સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનમાં ભણતર લીધું હતું. જ્યારે ૧૨ વર્ષનાં હતાં ત્યારે ગાયત્રીદેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવાન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ(બીજા)ને મળ્યાં હતાં. તેઓ અવારનવાર કૂચબિહારની મુલાકાતે આવતા હતા, તેઓ પોલોના ઉત્તમ ખેલાડી હતા. ઈ. સ. ૧૯૪૦માં ગાયત્રીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. બંને જીવનભર એક આદર્શ દંપતી બની રહ્યાં, દરેક કાર્યમાં બંને એકબીજાને સહકાર આપતાં હતાં. તેઓને ૧૯૪૯માં જગત નામે એક પુત્ર જન્મ્યો હતો. ગાયત્રીદેવી અતિ સુંદર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વિશ્વની શ્રેષ્ઠ, સુંદર મહિલાઓમાં તેમની ગણના થતી હતી. જયપુરની પ્રજાના કલ્યાણ માટે તેઓએ રાજ્ય વહીવટમાં ભાગ લીધો. જયપુરમાં સૌપ્રથમ કન્યાશાળા સ્થાપી, સ્ત્રીઓને કેળવણી આપવી શરૂ કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યું, જયપુરમાં વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીના સમયમાં તેઓએ જેલવાસ વેઠ્યો. તેઓએ પોતાની આત્મકથા ‘અ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ લખી છે.