જ. ૧૦ સપ્ટેમ્બર, ૧૮૮૭ અ. ૭ માર્ચ, ૧૯૬૧

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ- મુખ્યમંત્રી અને પૂર્વકેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. બાળપણથી તેમના પર પરદાદા અને મામાનો ખૂબ પ્રભાવ હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે લીધું હતું. ભણવામાં શરૂઆતથી જ એમની કારકિર્દી તેજસ્વી હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ તેમણે ત્યાંથી જ કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી હતી અને લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ૧૯૧૨માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાની વક્તૃત્વશક્તિના પ્રભાવથી ગૃહમાં પક્ષના નેતા તરીકે નિમાયા હતા. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની નોંધપાત્ર હિસ્સેદારી હોવાથી તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોનાં પ્રકરણ લખવામાં વિશેષ ફાળો આપ્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, ૧૯૫૫માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન અને ત્યારબાદ ગૃહમંત્રીપદે જવાબદારી સંભાળી હતી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા માટે તેમજ સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ માટે જીવનપર્યંત કાર્યો કર્યાં. માનવતાવાદી ગુણોથી વિભૂષિત પંતજી અજાતશત્રુ હતા. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે ૨૬ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ તેમને મરણોપરાંત ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી
