ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !


કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.