સાયમન ઍન્ડ શુસ્ટર નામની પ્રકાશન સંસ્થાના અધ્યક્ષ અને એ પછી અમેરિકાની પૉકેટ બુક્સ કંપનીના પ્રેસિડેન્ટ બનેલા લીઓન શિમકિનની કાર્યપદ્ધતિ એવી હતી કે રોજ સવારે પોતાના કર્મચારીઓને એકઠા કરીને એમની સાથે ઘણી લાંબી ચર્ચા કરતા. દરેક કર્મચારી પોતાની સમસ્યાની લંબાણભરી વાત કરતા અને એ પછી એ વાતમાં બીજી વાતો નીકળતી. એક વ્યક્તિ એક સૂચન આપે, તો બીજી વ્યક્તિ બીજું સૂચન આપે. જ્યારે ત્રીજી વ્યક્તિ એ બંનેને ખોટા ઠેરવવા પ્રયત્ન કરે અને ચોથી વ્યક્તિ સાવ જુદી જ વાત કરે. પરિણામે મૂળ પ્રશ્નો અને સમસ્યાઓ બાજુ પર રહી જતાં અને કલાકો સુધી ચર્ચા ચાલવા છતાં કશું નક્કર કામ થતું નહોતું. લીઓન શિમકિન આવી લાંબી ચાલેલી એક મિટિંગ પૂરી કરે, ત્યાં એમને બીજે કૉન્ફરન્સમાં જવાનો સમય થઈ જતો. ચર્ચા અધૂરી રહેતી અને આખો દિવસ આમ મિટિંગોમાં વ્યતીત થઈ જતો. પંદરેક વર્ષ સુધી આવી પરિસ્થિતિ રહ્યા પછી એક દિવસ શિમકિને વિચાર્યું કે એમની જિંદગીનો મોટા ભાગનો સમય તો ચર્ચા-વિચારણા અને સભામાં જ પૂરો થઈ જાય છે. આને બદલે કોઈ બીજો ઉપાય કરવો જોઈએ. એમણે પોતાની જૂની રીત બંધ કરી. બધા કર્મચારીઓને બોલાવીને એક સાથે ચર્ચા કરવાને બદલે એમણે કાર્યકરોને કહ્યું કે, હવે તમે આવો ત્યારે સ્પષ્ટ રૂપે લખીને આવજો કે તમારી સમસ્યા કેમ ઉદ્ભવી છે ? એના ઉકેલની કઈ શક્યતાઓ છે ? અને એનો તમે કયો ઉકેલ આપવા માંગો છો ? આ પદ્ધતિને પરિણામે લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ. પહેલાં લોકો એક ને એક વાતો વારંવાર કરતા, સભામાં અંગત મંતવ્યોને આમતેમ ઉછાળતા. એને બદલે એમની પાસેથી જ વિશ્લેષણ મળતાં લીઓન શિમકિનનો ઝાઝો સમય ચર્ચામાં બરબાદ થતો અટકી ગયો અને સમસ્યા જાણીને એના ઉકેલનો રસ્તો શોધવા પર ધ્યાન આપવા લાગ્યા. અભિગમ બદલાતાં લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ.
કુમારપાળ દેસાઈ
