જ. 22 જાન્યુઆરી, 1906 અ. 4 જાન્યુઆરી, 1991

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જયંતીલાલ શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. શાળેય શિક્ષણ અમદાવાદની આર. સી. સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1929માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની હત્યા પછી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેઓ ગાંધી હત્યા કેસમાં નાથુરામ ગોડસે અને બીજા આરોપીઓ સામે કેસ ચલાવતી પબ્લિક પ્રોસિક્યૂશન ટીમનો ભાગ હતા. તેઓ 1949માં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા અને દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1959માં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 11 વર્ષ પછી 17 ડિસેમ્બર, 1970માં તેઓ સુપ્રીમ કોર્ટના બારમા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેઓ 21 જાન્યુઆરી, 1971ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. સુપ્રીમ કોર્ટના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 728 ચુકાદાઓ આપ્યા હતા અને 2094 બેન્ચ પર બેઠા હતા. કેરળમાં ફૂડ પોઇઝનિંગનાં કારણોની તપાસ માટે ભારત સરકાર દ્વારા એક પંચ નીમવામાં આવ્યું હતું. તેઓ આ ઝેર તપાસ પંચના અધ્યક્ષ હતા. 28 મે, 1977ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલયે કટોકટી દરમિયાન કરવામાં આવેલા અતિરેકની તપાસ કરવા માટે એક પંચની રચના કરી. આ પંચના વડા તરીકે જયંતીલાલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ઑગસ્ટ, 1978ના રોજ શાહ કમિશનનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં 26 પ્રકરણો હતાં. જેમાં શાહ કમિશને તારણ કાઢ્યું હતું કે ઇન્દિરા ગાંધી દ્વારા 21 મહિના દરમિયાન આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અને સંરક્ષણ નિયમોની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકીય વિરોધીઓને નુકસાન પહોંચાડવા માટે કટોકટીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, તેમણે એ પણ નોંધ્યું કે દેશમાં કટોકટી જાહેર કરવી પડે એવી કોઈ આર્થિક કે કાયદો અને વ્યવસ્થાની કટોકટી નહોતી.
અનિલ રાવલ
