જીવનમાં ખુલ્લી આંખે જાગરણ


તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એેને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ  છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો. આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ જેમ એ આવરણો દૂર જાય છે, તેમ તેમ આત્મા પુન: પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકને એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય. જો દુનિયાની સફરે નીકળે અને દુન્વયી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્યજગતની જાણકારી મળશે, પણ એનું  આંતરજગત સાવ વણસ્પર્શ્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્ઘ યાત્રા જ એક માત્ર સહારો છે.