ઝીણાભાઈ દરજી


જ. ૨૪ મે, ૧૯૧૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪

દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. ઝીણાભાઈનું જીવન સાદું અને ખડતલ હતું. તેઓએ દારૂબંધી, ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. વાંચવાનો શોખ હોવાથી તેઓ પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી પુસ્તકો લાવીને વાંચતા. હાઈસ્કૂલનું શિક્ષણ સૂરતમાં લીધું અને પુસ્તકાલય મંત્રી બન્યા તે દરમિયાન ગાંધીસાહિત્ય વાંચ્યું. ગાંધીવિચારોની અસર એમના જીવન પર થઈ. તેઓ કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. મૅટ્રિક થયા બાદ તેઓએ વ્યારામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કામ કર્યું. નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. ૧૯૩૮થી ૧૯૪૨ સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને બે માસ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને સફાઈ-કામદારોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત કરી અને તેના પ્રમુખ થયા. પછાત વિસ્તારોનો વિકાસ કર્યો. ગુજરાત ખેતવિકાસ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા તથા ૧૯૮૭થી ૧૯૮૯ નૅશનલ કમિશન ફોર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. તેઓએ વેડછીની ગાંધી વિદ્યાપીઠ અને ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૫માં તેઓ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા હતા.