જ. 28 માર્ચ, 1927 અ. 30 મે, 2013

ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મઝુમદાર. પાંચ ભાઈબહેનોમાં સૌથી નાનાં વીણા મઝુમદાર હતાં. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કૉલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કૉલેજ અને કૉલકાતાની આશુતોષ કૉલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કૉલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનનાં સેક્રેટરી બન્યાં. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડની સેન્ટ હ્યુજ કૉલેજમાં ગયાં. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી. દેશમાં પાછાં ફર્યાં. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતાં હતાં. થોડા જ સમયમાં ત્યાં ટીચર્સ ઍસોસિયેશનનાં સેક્રેટરી બન્યાં. આમ, કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુ ભૂષણ દાસની ભલામણથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડાં વર્ષો કાર્ય કર્યાં પછી ભારત આવ્યાં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણઅધિકારી તરીકે જોડાયાં હતાં. તેમનો વિશેષ અભ્યાસ દેશમાં મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ(CWDS)નાં સ્થાપક ડિરેક્ટર હતાં અને બે વર્ષ ફેલો તરીકે પણ કાર્ય કરેલું. તેમનાં સંસ્મરણોનું પુસ્તક ‘મેમોરિઝ ઑફ એ રોલિંગ સ્ટોન’ નામે પ્રકાશિત થયું છે.
નલિની દેસાઈ
