જ. ૧૩ મે, ૧૯૧૮ અ. ૯ ફેબ્રુઆરી, ૧૯૮૪

નૃત્ય-અભિનયમાં ઉત્તમ પ્રતિભા ધરાવનાર નૃત્યાંગના. કર્ણાટક સંગીત અને નૃત્યનો ભવ્ય કલાવારસો ધરાવનાર કુટુંબમાં જન્મ્યાં હોવાથી બાળપણથી જ નૃત્ય-સંગીત શીખ્યાં. પ્રતિષ્ઠિત નૃત્ય શિક્ષક કે. કંડપ્પન પિલ્લાઈના હાથ નીચે ચાર વર્ષની ઉંમરે ભરતનાટ્યમની તાલીમ શરૂ થઈ. બાલારસસ્વતીની કારકિર્દીની શરૂઆત સાત વર્ષની ઉંમરથી થઈ. સોળ વર્ષની ઉંમરે ૧૯૩૪માં કૉલકાતામાં પ્રથમ પ્રદર્શન કર્યું અને નૃત્યનિર્દેશક ઉદયશંકરે તેમના વિદેશપ્રવાસમાં બાલા જોડાય તેવી ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ માતાને લાગ્યું કે બંનેની નૃત્યશૈલીનો મેળ નહીં ખાય તેથી સંમતિ ન આપી. ત્યારબાદ લખનઉમાં રવીન્દ્રનાથ ટાગોરે તેનું નૃત્ય જોઈને શાંતિનિકેતનમાં નૃત્ય માટે આમંત્રણ આપ્યું. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેમણે પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં કાર્યક્રમો કર્યા ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં તેમણે વારંવાર અમેરિકામાં એક શિક્ષક અને કલાકાર તરીકે પ્રવાસ કર્યા. ૧૯૬૧માં ટોકિયો ખાતે કૉન્ફરન્સમાં કપિલા વાત્સ્યાયનના અથાગ પરિશ્રમને કારણે બાલાસરસ્વતીનો કાર્યક્રમ રખાયો. હૃદય અને સાંધાની બીમારી હોવા છતાં ઘણાં વર્ષો તેમણે કાર્યક્રમો આપ્યા. આમ બાલાસરસ્વતીએ ભારતમાં અને વિદેશમાં ભરતનાટ્યમની પરંપરાગત શૈલીથી અનેક પ્રેક્ષકોને પરિચિત કરાવ્યા, તેમનામાં રુચિ જગાડી, અને ઘણાને તાલીમ પણ આપી. તેમણે તેમની નૃત્યકારકિર્દી માટે દેશ-વિદેશમાં અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં. તેમાં ભારત સરકાર દ્વારા ૧૯૫૭માં પદ્મભૂષણ, ૧૯૭૭માં પદ્મવિભૂષણ તથા ૧૯૭૮માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. દક્ષિણ ભારતનો સર્વોચ્ચ સંગીત કલાનિધિ પુરસ્કાર ૧૯૭૩માં આપવામાં આપ્યો હતો. અમેરિકાઝ ઇરિપ્લેસેબલ ડાન્સ ટ્રેઝર : ધ ફર્સ્ટ હન્ડ્રેડ(૨૦૦૦)ના સંકલનમાં તેઓ એકમાત્ર ભારતીય હતાં. સત્યજિત રેએ તેમના પર ૧૯૭૬માં ‘બાલા’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. ૨૦૧૦માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી હતી.
પ્રીતિ શાહ